૨પ૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧
હવે કોઈને થાય કે આ તે વળી કેવો ધર્મ? ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, નાગાને કપડાં દેવાં, ને માંદાની માવજત કરવી-એવી કોઈ વાત તો સમજાય. અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયા બાપુ! તે કાળે જડની ક્રિયા તો જડમાં થવાયોગ્ય થઈ, તે ક્રિયા તારી નહિ, ને રાગની ક્રિયા પણ તારી નથી. અરે, તે કાળે રાગનું જ્ઞાન થયું તે જ્ઞાન રાગનું નથી, રાગ તેમાં પેઠો નથી, જાણવાની ક્રિયા તારા અસ્તિત્વમાં થઈ છે તે તારી છે, અને તે ખરેખર તારું જ્ઞેય છે, રાગાદિ પરમાર્થે તારાં જ્ઞેય નથી. સમજાય છે કાંઈ...?
અજ્ઞાની જીવોને આટલું બધું (દયા, દાન આદિને) ઓળંગીને અહીં (જ્ઞાનભાવમાં) આવવું મોટો મેરુ પર્વત ઉપાડવા જેવું લાગે છે. પણ આમાં તારું હિત છે ભાઈ!
હવે કહે છે-‘આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે.’
જુઓ, આ બધાનો સરવાળો કર્યો. જણાવવાયોગ્ય પર પદાર્થો પરમાં રહ્યા છે, અને જાણનારો જાણનારમાં રહેલ છે. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે. આમ આત્મા પોતે જ જણાવાયોગ્ય છે; જ્ઞાનમાત્ર ભાવ જ પોતાનું જ્ઞેય છે. પર પદાર્થને જ્ઞેય કહેવો એ વ્યવહાર છે બસ.
વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. અહાહા...! પરની સાથે પરમાર્થે આત્માને કોઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ, અહાહા...! જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય ત્રણેય એકરૂપ. અંતરમાં દ્રષ્ટિ મૂકતાં આવા ત્રણ ભેદ આત્માના છે એમ રહેતું નથી. પર વસ્તુ જ્ઞેય ને પોતે જ્ઞાતા એ તો કયાંય રહી ગયું. પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન, ને પોતે જ જ્ઞાતા-એવા ત્રણ ભેદ પણ અંતર્દ્રષ્ટિમાં સમાતા નથી, બધું અભેદ એકરૂપ અનુભવાય છે. લ્યો, આનું નામ ધર્મ છે; જેમાં સામાન્યવિશેષનું અભેદપણું પ્રાપ્ત-સિદ્ધ થયું તે ધર્મ છે.
અહાહા...! ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું, ને જ્ઞેય પણ હું-એમ ત્રણેય એક હું-આવો જે જ્ઞાનમાત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. આવો અનુભવ થવો તે ધર્મ છે. ‘અનુભવ’-અનુ નામ અનુસરીને, ભવ નામ ભવન થવું; આત્માને- જ્ઞાનમાત્ર વસ્તુને-અનુસરીને થવું તે અનુભવ છે ને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને થવારૂપ જે અનેક ક્રિયાઓ છે એ બધો સંસાર છે, એ બધું રણમાં પોક મૂકવા જેવું છે.
અહાહા...! અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે ય હું, જ્ઞાનેય હું, ને જણાવાયોગ્ય જ્ઞેય પણ હું જ છું. આ ત્રણેના અભેદની દ્રષ્ટિ થતાં એને સ્વાનુભવ પ્રગટ થયો છે, ને તેમાં એને અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સમકિત અને ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?
જુઓ, અહીં સામાન્ય-વિશેષ બેય ભેગું લીધું છે, કેમકે પ્રમાણજ્ઞાન કરાવવું છે. પ્રમાણજ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત્, એની શક્તિઓ ત્રિકાળી સત્ અને એની વર્તમાન પર્યાય એ ત્રણે થઈને વસ્તુ આત્મા કહ્યો છે. એમાં શરીર, મન, વાણી, કર્મ, ને વિકાર ઇત્યાદિ ન આવે.
આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી– એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ–
क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम।
तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः