૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ સ્તુતિ કહે છે. જે પોતાની ચીજ હોય તે દૂર ન થાય, અને જે દૂર થાય એ પોતાની ચીજ કેમ હોય? જેને કેવળીની સ્તુતિ કરવી હોય તેણે આનંદ અને સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ ભગવાન આત્મા સાથે રાગ અને નિમિત્તથી ભિન્ન પડી, એક્તાની નિર્વિકલ્પ ભાવના કરવી. આવી એક નિશ્ચય સ્તુતિની વાત ૩૧ મી ગાથામાં આવી ગઈ.
હવે આ ગાથામાં એમ કહ્યું કે-રાગ અને નિમિત્તથી ભિન્ન પડીને, ભગવાન આત્મા જે શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે તેની સન્મુખ થવાથી જેને પર્યાયમાં શુદ્ધતા પ્રગટી છે (જ્ઞેય-જ્ઞાયક સંકરદોષ દૂર થયો છે) તે જ્ઞાનીને હજુ (મોહ) કર્મનું નિમિત્તપણું છે, અને તેના તરફના વલણવાળી વિકારી ભાવ્ય દશા થાય છે. હવે એ જ્ઞાની નિમિત્તનું લક્ષ છોડીને અંદર નિજ જ્ઞાયકભાવનો ઉગ્ર આશ્રય લઈને તે ભાવ્ય મોહ-રાગાદિને જીતે છે અર્થાત્ મોહનો ઉપશમ કરે છે. તેથી તેને ભાવ્યભાવકસંકરદોષ થતો હતો તે ટળે છે, અને આત્માની સ્તુતિ થાય છે અર્થાત્ આત્માના ગુણની વૃદ્ધિ થાય છે.
જડકર્મ જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી આત્મા ભાવ્યરૂપે થતો હતો તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવ્યો તે જિતમોહ જિન થયો. ઉપશમ શ્રેણી ચઢતાં મોહના ઉદયનો અનુભવ ન રહે, પણ પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે તે જિતમોહ છે. ઉપશમાદિ કેમ કહ્યું? ઉપશમશ્રેણીમાં જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમભાવ હોય છે અને જેમ પાણીમાં મેલ હોય તે ઠરીને નીચે બેસી જાય તેમ વિકાર (ચારિત્ર મોહ) ઉપશમશ્રેણીમાં દબાઈ જાય છે, પણ તેનો ક્ષય થતો નથી તેથી તેને ઉપશમ કહે છે.
ઉપશમ એક મોહકર્મનો હોય છે ત્યારે ક્ષયોપશમ, ઉદ્રય, ક્ષય ચારેય ઘાતીકર્મનો હોય છે. ક્ષયોપશમભાવ ૧ થી ૧૨ ગુણસ્થાન સુધી, ક્ષાયિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધી અને ઉદયભાવ ૧ થી ૧૪ ગુણસ્થાન સુધી હોય છે. પારિણામિકભાવ તો સદાય સર્વ જીવોને હોય છે.