૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર- મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે.
હવે પૂછે છે કે-જો અધ્યવસાન આદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? આ શુભાશુભ ભાવો, પુણ્ય-પાપના ભાવો, સુખ-દુઃખના વેદનની કલ્પના ઇત્યાદિ ભાવોને અહીં પુદ્ગલસ્વભાવો કહ્યા. પરંતુ સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કહ્યા છે; જેમકે કષાય આત્મા, યોગ આત્મા, ઇત્યાદિ. તો એ કેવી રીતે છે? બન્ને વાત સર્વજ્ઞના આગમની છે તો એ કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છેઃ-
આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે.
શું કહે છે? પહેલાં જે આઠ બોલથી કહ્યા હતા ને?-એ બધા અધ્યવસાનાદિ ભાવો જીવ છે એમ સર્વજ્ઞદેવોએ વ્યવહારનય કહ્યો છે. (વ્યવહારનયથી કહ્યું છે). જોકે વ્યવહારનય અભૂતાર્થ છે, ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ પર્યાયભાવો અભૂતાર્થ છે તોપણ વ્યવહારનયને પણ દર્શાવ્યો છે કેમકે વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે. વ્યવહારનય પોતે પરમાર્થભૂત નથી, પણ પરમાર્થનો કહેનાર છે. જરા અટપટી વાત છે. પર્યાયમાં જે રાગદ્વેષ છે, પુણ્ય-પાપના ભાવો છે તે સ્વભાવની દ્રષ્ટિમાં અપરમાર્થભૂત હોવા છતાં પર્યાયમાં ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે પર્યાયને દર્શાવવી, વ્યવહારનયને દર્શાવવો ન્યાયસંગત જ છે.
પર્યાય પણ (અસ્તિપણે) છે, ચૌદ ગુણસ્થાનો છે. જો ગુણસ્થાનો નથી એમ કોઈ કહે તો વ્યવહારનો નિષેધ થઈ જાય. અને ચોથું, પાંચમું, છઠ્ઠું ઇત્યાદિ જે ગુણસ્થાનો છે તેનો નિષેધ થઈ જતાં ધર્મતીર્થનો (મોક્ષમાર્ગનો) જ નિષેધ થઈ જાય. ધર્મતીર્થની