સમયસાર ગાથા પ૦-પપ ] [ ૯પ
ઉત્તરઃ– ભગવાન! નિમિત્ત તો છે. (છે એનો કોણ નિષેધ કરે?). પણ નિમિત્ત કરે શું? ભાઈ! શરીરના એકેએક રજકણનો તે તે કાળે પરિણમવાનો સ્વભાવ છે તેથી તે પોતાના કારણે સ્વકાળે પરિણમે છે. તેમાં નિમિત્તનો દાવ જ કયાં છે? રમતમાં દાવ આવે ત્યારે પાસા નાખે છે. પણ અહીં તો નિમિત્તનો દાવ જ આવતો નથી. કહ્યું છે ને કે-
જેમ સૂર્યનો રથ એક પૈડાથી ચાલે છે તેમ દરેક પદાર્થ એકલા પોતાના પરિણમન- સ્વભાવથી જ પરિણમે છે, તેમાં બીજાની અપેક્ષા નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણમનમાં પણ પરની અપેક્ષા નથી. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે ‘નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્-શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધરત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.’ આમ નિશ્ચય મોક્ષમાર્ગને વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. આ પરમ વીતરાગના શાસ્ત્રનું કથન છે.
પ્રશ્નઃ– તો વ્યવહારનય શી રીતે પ્રયોજનવાન છે?
ઉત્તરઃ– તેને જાણવો તે પ્રયોજનવાન છે. બારમી ગાથાની ટીકામાં આવે છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. તે કઈ રીતે? કે નિશ્ચયસ્વભાવનો આશ્રય થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, સમ્યગ્દર્શન થાય છે છતાં પર્યાયમાં અપૂર્ણતા તથા રાગનો અશુદ્ધતાનો ભાગ તે તે કાળે હોય છે. તેને તે તે કાળે જાણવો-‘तदात्वे प्रयोजनवान्’ પ્રયોજવાન છે. જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા થાય નહીં ત્યાં સુધી પર્યાયમાં જે અશુદ્ધતાનો ભાગ છે તેને તે સમયે જાણવો-એમ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય છે, વ્યવહારનયનો વિષય પણ છે; પરંતુ વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.
ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે નિશ્ચયનયનો વિષય છે. જ્યારે પર્યાયમાં જે સાધકપણું છે, અપૂર્ણતા છે અર્થાત્ શુદ્ધતા તેમ જ અશુદ્ધતાના અંશો છે એ બધો વ્યવહારનયનો વિષય છે. તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહારનય આશ્રય કરવા લાયક નથી માટે વ્યવહારનય છે જ નહિ એમ નથી. જો વ્યવહારનય હોય જ નહિ તો ચોથું, પાંચમું, છઠ્ઠું, આદિ ગુણસ્થાનો બનશે જ નહિ. અને તો પછી તીર્થનો જ નાશ થશે, અર્થાત્ પર્યાયના જે ભેદ છે તે રહેશે જ નહિ. માટે જેમ નિશ્ચયનયનો વિષય છે, તેમ વ્યવહારનયનો પણ વિષય તો છે પણ તે આશ્રય કરવા લાયક નથી એમ યથાર્થ સમજવું.
અહીં કાર્મણ શરીરની વાત ચાલે છે. જે કર્મનો ઉદ્રય છે તે જડની પર્યાય છે, પુદ્ગલના પરિણામમય છે. માટે તે ભગવાન આત્માથી ભિન્ન છે એમ કહે છે. પાઠમાં તો શરીરને આત્માથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યું છે, કેમકે રાગ, કર્મ અને શરીરની પરિણતિથી લક્ષ છોડીને જેણે એક ચૈતન્યસ્વભાવી આત્માના લક્ષે અનુભૂતિ પ્રગટ કરી છે તેને તેઓ ભિન્ન છે એમ જણાય છે. શરીરાદિને કહેવા છે તો આત્માથી ભિન્ન, પણ