આપત્તિ આવે છે; તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થવું, તે જેનું મૂળ છે એવું પરસમયપણું, તેનાથી ઉત્પન્ન થતું (પરસમય-સ્વસમયરૂપ) દ્વિવિધપણું તેને (જીવ નામના સમયને) ક્યાંથી હોય? માટે સમયનું એકપણું હોવું જ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ– નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યે જ શોભા પામે છે. પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પુદ્ગલકર્મ સાથે નિમિત્તરૂપ બંધઅવસ્થા છે; તે બંધાવસ્થાથી આ જીવમાં વિસંવાદ ખડો થાય છે તેથી તે શોભા પામતો નથી. માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે; તેનાથી આ જીવ શોભા પામે છે.
હવે સમયના દ્વિવિધપણામાં આચાર્યદેવ બાધા બતાવે છે. આ ગાથાનું મથાળું છે. (પર્યાયમાં) એકપણું (સ્વસમયપણું) ન થતાં દ્વિવિધપણું થવું તે વિસંવાદ- અસત્યપણું છે એમ કહે છે.
એકત્વનિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. જયસેન આચાર્યદેવે એકેન્દ્રિયથી માંડી બધા જીવો એક દ્રવ્યપણે (દ્રવ્યે એકપણે) હોવાથી સુંદર છે એમ સામાન્યપણે કહ્યું છે. અહીં કહે છે કે એકત્વનિશ્ચયને પ્રાપ્ત-અર્થાત્ ભગવાન શુદ્ધસ્વભાવી ચૈતન્યઘન પ્રભુ જે નિજ શુદ્ધાત્મા એના એકત્વમાં પરિણમે એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમે તે સમય છે અને તે બધે સુંદર છે. તેથી એકત્વમાં બીજાની સાથે બંધની કથા, નિમિત્તના સંબંધની કથા કહેવી તે વિસંવાદ છે, અસત્ય છે. વિસંવાદ એટલે અસત્ય એમ જયસેનાચાર્યે અર્થ કર્યો છે.
ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ, એની સાથે એકત્વ પરિણમન તે સુંદર છે- શોભાસ્પદ છે. વસ્તુ સુંદર છે, અને તેનું પરિણમન પણ સુંદર છે; કેમકે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમનમાં વસ્તુ જેવી સુંદર છે તેવી ખ્યાલમાં આવે છે. એકલો આત્મા જે ત્રિકાળદ્રવ્ય છે તે ત્રણે કાળ સુંદર છે, ભલે એકેન્દ્રિયમાં- નિગોદમાં હોય તો પણ સુંદર છે. અહીં તો એથી વિશેષ કહે છે કે જે સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના પરિણામમાં આત્માના સુંદરપણાના સ્વરૂપની હયાતીનું ભાન થયું તે પણ સુંદર છે, સત્ય છે. વસ્તુ શ્રદ્ધા-જ્ઞાનમાં આવતાં સુંદરતાની પરિણતિ થઈ ત્યારે તેને સુંદર કહેવામાં આવે છે, એને જ સત્યાર્થ કહેવામાં આવે છે. ત્રિકાળ, ધ્રુવ આત્મા સત્યાર્થ તો છે જ, પણ એ સત્યાર્થને પ્રતીતિ અને જ્ઞાનમાં લીધાં ત્યારે તેને સત્યાર્થ કહેવામાં આવે છે.