૨૨૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ જડ-પુદ્ગલનું જ કાર્ય છે એમ અપેક્ષાથી કહ્યું છે. આ પ્રમાણે પુદ્ગલના નિમિત્તથી થતો વિકાર પણ જડ-પુદ્ગલ જ છે, જીવ નથી એમ નક્કી થાય છે. ભાઈ! શાસ્ત્ર જે કહે છે તે પ્રમાણે પોતાની દ્રષ્ટિ કરવી જોઈએ, પણ પોતાની દ્રષ્ટિથી શાસ્ત્રનો વિચાર કરવો જોઈએ નહિ; અન્યથા સત્ય હાથ નહીં આવે.
પર કારકોથી નિરપેક્ષ વિકાર પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકોથી ઉત્પન્ન થાય છે. જુઓ, પંચાસ્તિકાયની ૬૨મી ગાથા. આત્માના દ્રવ્ય-ગુણમાં તો વિકાર નથી, છતાં પર્યાયમાં જે વિકાર થાય છે પોતાના ષટ્કારકથી ઉત્પન્ન થાય છે. દ્રવ્ય-ગુણ વિકારનું કારણ નથી કેમકે દ્રવ્ય-ગુણમાં વિકાર નથી. પર નિમિત્ત પણ વિકારનું કારણ નથી કેમકે પરને એ વિકારની પર્યાય અડતીય નથી, અર્થાત્ વિકારની પર્યાયનો પરમાં અભાવ છે, અને પર નિમિત્તનો વિકારમાં અભાવ છે. અહા! એ પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય સિદ્ધ કરવો છે. તેથી જીવની પર્યાયમાં વિકાર પોતાથી છે એમ કહ્યું છે. પણ અહીં એ વિકાર ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી તથા પુદ્ગલ-કર્મના નિમિત્તના સંબંધે જેમ જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ સમજવી જોઈએ.
શુભ આચરણથી જીવને ધર્મ થાય એ વાત અજ્ઞાનીને એવી અતિશયપણે દ્રઢ થઈ છે કે ત્યાંથી ખસવું એને કઠણ પડે છે. એને મન પ્રશ્ન થાય છે કે શુભભાવને તમે ધર્મ નથી કહેતા તો શું ખાવું-પીવું અને મોજ-મઝા કરવી એ ધર્મ છે? અરે, પ્રભુ! તું શું કહે છે? એ વાત જ અહીં કયાં છે? ખાવા-પીવામાં જે શરીરાદિની ક્રિયા છે એ તો જડની છે. એને તો તું કરી શક્તો નથી, તથા ખાવા-પીવાનો જે રાગ છે એ તો અશુભ જ છે. એનાથી તો ધર્મ કેમ હોય? પરંતુ જે વ્રત-તપ-ઉપવાસાદિનો ભાવ છે તે પણ શુભરાગ જ છે. એ શુભાશુભ બન્ને પ્રકારના રાગ સ્વયં થયેલા ચૈતન્યના વિકાર છે, ચૈતન્યસ્વરૂપ નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેઓ ચૈતન્યથી ભિન્ન જણાય છે.
અહાહા! ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં દ્રષ્ટિ દેતાં એ બન્ને શુભાશુભ રાગ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તેઓ અચેતન છે. તથા એ શુભાશુભ રાગ, ચૈતન્યપૂર્વક નહિ પણ કર્મના ઉદયપૂર્વક થાય છે તેથી તે નિશ્ચયથી કર્મ-પુદ્ગલના જ છે એમ સિદ્ધ થાય છે, કારણકે કારણ જેવું કાર્ય હોય છે. ભાઈ! સ્વભાવ-વિભાવનું આ પ્રમાણે ભેદજ્ઞાન કરી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરી વિભાવને કાઢી નાખવાની આ જ રીત છે; અને આ પ્રમાણે અનુસરણ કરતાં ધર્મ થાય છે. આવી વાત છે.
હવે પૂછે છે કે-વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? રંગ, ગંધ, સ્પર્શ, રસ, શરીર, સંસ્થાન, સંહનન, વર્ગ, વર્ગણા અને કર્મ-બધા રંગમાં જાય છે, અધ્યવસાન, રાગ, દ્વેષ, સંકલેશ-વિશુદ્ધિનાં સ્થાનો એ બધાં રાગમાં જાય છે અને સંયમલબ્ધિસ્થાન, માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાન-એ બધાં ભેદમાં જાય છે. રંગ-રાગ