૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ ચારિત્ર પ્રગટે છે એમ નથી. ચારિત્ર તો આત્માનો ગુણ છે, વીતરાગી શક્તિ છે. એનો આશ્રય લઈને વિશેષ એકાગ્ર થાય ત્યારે તેને ચારિત્રદશા પ્રગટ થાય છે. એવા ચારિત્રવંતને તે કાળમાં પંચમહાવ્રતાદિના પરિણામ હોય છે અને તેને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનીને વ્યવહાર કેવો? સમયસાર ગાથા ૪૧૩માં ત્રણ બોલ કહ્યા છે-તેઓ (અજ્ઞાનીઓ) અનાદિરૂઢ, વ્યવહારમૂઢ, નિશ્ચય પર અનારૂઢ વર્તતા થકા ભગવાન સમયસારને દેખતા- અનુભવતા નથી એમ કહ્યું છે. જેને આત્મદર્શન થયું નથી અને બાહ્ય વ્યવહારને પાળે છે તેને અનાદિરૂઢ વ્યવહારમૂઢ કહ્યો છે. જાણનાર જાગ્યો નથી તેને વ્યવહાર કેવો? આ વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે કે-જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ તેને નહિ કરતા એવા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મપણું નથી. કેટલી સ્પષ્ટતા છે!
ગાથા ૭૬ માં કહ્યું હતું તે અનુસાર અહીં પણ ભાવાર્થ જાણવો. ત્યાં ગાથા ૭૬ માં ‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું એને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’ એમ કહ્યું છે. બસ આટલો ફેર છે. લ્યો, ગાથા ૭૭ પૂરી થઈ.