Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 908 of 4199

 

૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ સમયસાર ગાથા ૭૮ઃ મથાળું

હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? ૭૬મી ગાથામાં પુદ્ગલકર્મ એટલે રાગને જાણતા જ્ઞાનીની વાત કરી હતી. અહીં પુદ્ગલકર્મનું ફળ જે હરખ-શોકના ભાવ તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ છે કે નથી?-તે વાત કરે છે. જુઓ, હરખશોકના ભાવ એ પુદ્ગલકર્મનું ફળ છે અને અતીન્દ્રિય આનંદ એ આત્માનું ફળ છે.

પ્રવચનસારમાં આવે છે કે શુદ્ધોપયોગરૂપ કર્મનું ફળ આનંદ છે. ત્યાં શુદ્ધોપયોગને કર્મ કહ્યું છે. આત્માના પરિણામ શુદ્ધોપયોગ છે, નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે. તેનું કર્મફળ આનંદ છે. અહીં રાગદ્વેષના પરિણામ તે પુદ્ગલકર્મ છે. એનું ફળ હરખ, શોક, દુઃખ છે. અરે! ભગવાનના આ ભરતમાં વિરહ પડયા! સમોસરણસ્તુતિમાં આવે છે કે-રે! રે! સીમંધર જિનના વિરહા પડયા આ ભરતમાં’ -અને આ બધો ગોટો ઊઠયો. શિષ્ય પૂછે છે કે પુદ્ગલકર્મ જે શુભાશુભ રાગ છે એનું ફળ જે સુખ-દુઃખ, હરખ-શોક તેને જાણતા જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? હરખ-શોકના ભાવ થાય એને જાણે છે એટલો સંબંધ તો છે, તો એને ભોગવે છે કે નહિ? એની સાથે કર્તાકર્મનો સંબંધ છે કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર ગાથામાં કહે છે-

* ગાથા ૭૮–ટીકા ઉપરનું પ્રવચન *

જુઓ, ‘परदव्वपज्जाए’–પરદ્રવ્યપર્યાય શબ્દ પાઠમાં પડયો છે. ૭૬, ૭૭ અને ૭૮ ત્રણે ગાથામાં આ શબ્દ પડયો છે. એટલે કે દયા, દાન આદિ વિકલ્પો અને હરખ-શોકના પરિણામ એ બધા પરદ્રવ્યની પર્યાયરૂપ પરિણામ છે એમ અહીં કહે છે. ‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મ- ફળસ્વરૂપ જે કર્મ, તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફળને કરે છે.’ શું કહે છે? જે હરખ-શોકના પરિણામ થાય છે તે પુદ્ગલનું પ્રાપ્ય એટલે ધ્રુવ છે. ધ્રુવ છે એટલે જે પરિણામ થવાના છે તે જ થયા છે; અને તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે, આત્મા પ્રાપ્ત કરતો નથી. જુઓ, અહીં દ્રવ્યદ્રષ્ટિ અને સ્વભાવની અપેક્ષાથી આ વાત છે. જ્યારે જ્ઞાનપ્રધાન શૈલી હોય ત્યારે એ સુખ-દુઃખના પરિણામનું ભોક્તાપણું જીવને છે, તથા રાગ-દ્વેષ, સુખ-દુઃખની અવસ્થા જીવની છે એમ કથન આવે. જીવ પોતે તે-રૂપે પરિણમે છે અને તેનું કર્તાપણું જીવને છે એમ જ્ઞાનનય જાણે છે. ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ વિકારી પરિણામ જીવના નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરવાની અપેક્ષાથી વિકારી