Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 544

 

background image
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
અંતરંગ -બહિરંગ છેદ, ઉપધિનિષેધ, ઉત્સર્ગ -અપવાદ, યુક્તાહારવિહાર, એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ,
મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષયો આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા
છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્યયુગલે ચરણાનુયોગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય
રાખીને, શુદ્ઘદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભ ભાવોનો સંબંધ દર્શાવતાં
દર્શાવતાં, નિશ્ચય -વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા
અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે
છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાદ્યંત
શાંતરસનિર્ઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા
અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે
જે જે વિષયને તે સ્પર્શે તે તે વિષયને પરમ રસમય, શીતળ શીતળ, સુધાસ્યંદી બનાવી દે છે.
આમ ત્રણ શ્રુતસ્કંધોમાં વિભાજિત આ પરમ પવિત્ર પરમાગમ મુમુક્ષુઓને યથાર્થ
વસ્તુસ્વરૂપ સમજવામાં મહા નિમિત્તભૂત છે. જિનશાસનના અનેક મુખ્ય મુખ્ય સિદ્ઘાંતોનાં બીજ
આ શાસ્ત્રમાં રહેલાં છે. આ શાસ્ત્રમાં પ્રત્યેક પદાર્થના સ્વાતંત્ર્યનો ઢંઢેરો છે, દિવ્યધ્વનિ દ્વારા
નીકળેલા અનેક પ્રયોજનભૂત સિદ્ઘાંતોનું દોહન છે. ગુરુદેવ અનેક વાર કહે છેઃ ‘શ્રી સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં
એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ
સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે.
પરમ અદ્ભુત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી
તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને
ઝૂલતા મહામુનિના આત્મ -અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ
મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓ
આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ઘ છે. તે પરમ ઉપકારી
આચાર્યભગવાને રચેલાં સમયસાર, પ્રવચનસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૐકારધ્વનિમાંથી જ
નીકળેલો ઉપદેશ છે.’
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર તત્ત્વદીપિકા નામની સંસ્કૃત
ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦મા સૈકામાં થઈ ગયેલા) શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે.
જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે.
તેમણે સમયસારની તથા પંચાસ્તિકાયની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ઘ્યુપાય
આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની
લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા,
વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ઘ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-
વ્યવહારનું સંધિબદ્ઘ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી
[ 9 ]