૧૩૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ. આ સંન્યાસ ગ્રહણ કરવાનો ક્રમ છે.
રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર, દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે, અને ઇચ્છિત ફળ દાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. શરીર મરણ બાદ બીજું પણ મળે છે પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા પામવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન–વચન–કાયાનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ અને ‘‘જન્મ, જરા તથા મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી’’–એવું ચિંતવન કરી નિર્મમત્વી થઈ, વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાના ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃશ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયોને પાતળા પાડવા જોઈએ, પછી ૧ચાર પ્રકારના સંઘની સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન–ઉદ્યમવંત થવું.
અંતની આરાધનાથી ચિરકાળથી કરેલી સમ્યક્ વ્રત–નિયમરૂપ ધર્મ આરાધના સફળ થઈ જાય છે, કેમકે તેથી ક્ષણભરમાં ઘણા કાળથી સંચિત પાપનો નાશ થઈ જાય છે. અને જો અંત મરણ બગડી જાય અર્થાત્ અસંયમપૂર્વક યા દેહમાં એકતા–બુદ્ધિપૂર્વક મૃત્યુ થઈ જાય તો કરેલી ધર્મારાધના નિષ્ફળ થઈ જાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, ‘‘જો અંત સમય સમાધિમરણ કરી લેવાથી ક્ષણમાત્રમાં પૂર્વ પાપોનો નાશ થઈ જાય છે તો પછી યુવાઅવસ્થામાં ધર્મ કરવાની શી જરૂર છે? અંત સમયે સંન્યાસ ધારણ કરી લેવાથી જ સર્વ મનોરથ સિદ્ધ થઈ જશે,’’ તો તેનું સમાધાન–જે જીવ પોતાની પૂર્વઅવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેમણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત–નિયમ આદિ ધર્મારાધના નથી કરી તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી. કેમકે–ચંદ્રપ્રભચરિત્ર પ્રથમ સર્ગમાં કહ્યું છે કે ‘‘चिरन्तनाभ्यासनिबन्धनेरितागुणेषु दोषेषु च जायते मतिः’’ અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત કરવામાં આવેલી બુદ્ધિ ગુણ અથવા દોષોમાં જાય છે. જે વસ્ત્ર પ્રથમથી જ ઉજળું કરેલું હોય છે તેની ઉપર મનપસંદ રંગ ચઢી શકે છે, પણ જે વસ્ત્ર પ્રથમથી મેલું છે તેની ઉપર કદીપણ રંગ ચઢાવી શકાતો નથી. માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય. હાં, કોઈ સ્થાને એવું પણ જોવામાં આવે છે કે જેણે _________________________________________________________________ ૧. ચાર પ્રકારના સંઘ મુનિ, અર્જિકા, શ્રાવક, શ્રાવિકા.