કહાનજૈનશાસ્ત્રમાળા ]
विशेषणं दुर्भिक्षजरारुजानां प्रत्येकं सम्बन्धनीयं । किमर्थं तद्विमोचनं ? धर्माय रत्नत्रयाराधनार्थं न पुनः परस्य ब्रह्महत्याद्यर्थं ।।१२२।। શકે નહિ તેવો). આ વિશેષણનો ‘दुर्भिक्ष, जरा અને रुजा’ — એ પ્રત્યેક સાથે સંબંધ જોડવો. (અર્થાત્ ઉપાયરહિત દુર્ભિક્ષના સમયે, ઉપાયરહિત ઘડપણમાં અને ઉપાયરહિત રોગના સમયે). શા માટે તેનો ત્યાગ કરવો? ‘धर्माय’ ધર્મ માટે અર્થાત્ રત્નત્રયની આરાધના માટે, પણ નહિ કે બીજાના આત્મઘાતાદિ માટે (સંલ્લેખના કહી છે.)
ભાવાર્થ : — બેઈલાજ (નિરુપાય) ઉપસર્ગ આવી પડતાં, દુષ્કાળ પડતાં, ઘડપણ આવતાં અને અસાધ્ય રોગ થતાં, રત્નત્રયસ્વરૂપ ધર્મની આરાધના માટે કષાયને કૃષ કરીને શરીરનો ત્યાગ કરવો તેને સંલ્લેખના કહે છે.
સંલ્લેખનાને સમાધિમરણ યા સંન્યાસમરણ પણ કહે છે. સમ્યક્પ્રકારે કષાય અને કાયને કૃષ કરવી તેને સંલ્લેખના કહે છે.
કષાયોને કૃષ કરવા – મંદ કરવા તે નિશ્ચય સંલ્લેખના છે અને કષાય મંદ થતાં આહાર – જળ આદિ પ્રત્યે ઉપેક્ષાભાવ થવો અને તેના કારણે શરીરનું કૃષ થવું તે વ્યવહાર સંલ્લેખના છે.
ચિત્તને શાંત અર્થાત્ રાગ – દ્વેષની મંદતા યુક્ત કરવું તેને સમાધિ કહે છે અને પર પદાર્થો પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરવો, તેને સંન્યાસ કહે છે.
તેથી કાય – કષાયને કૃષ કરી, સ્વરૂપનું ધ્યાન કરી, શાંત ચિત્તથી શરીરનો ત્યાગ કરવો તે સમાધિમરણ છે. તેના બે ભેદ છે —
૧. અવિચાર સમાધિમરણ અને ૨. સવિચાર સમાધિમરણ.
અચાનક દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા અચેતનકૃત ઉપસર્ગ આવી પડે, ઘરમાં લાગેલી આગમાંથી બચવાનો ઉપાય રહે નહિ, દરિયામાં વહાણ ડૂબવાની તૈયારીમાં હોય. એકાએક સર્પ કરડે અને તેના ઉપાય માટે કોઈ સમય રહે નહિ, પ્રાણઘાતક ડાકૂ ઘેરી લે – એવા અચાનક પ્રશ્ન ઉપસ્થિત થતાં પોતાના શરીરને સ્વયમેવ વિનાશ સન્મુખ આવેલું જાણી સંન્યાસ ધારણ કરવો, તે અવિચાર સમાધિમરણ છે.