ભાવાર્થ : — શરીર અને આત્માના સંયોગ – સંબંધને લીધે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે શરીરની ક્રિયા જીવ કરે છે. આચાર્ય આ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. અંધ, લંગડાને ખભા ઉપર બેસાડી રસ્તે જઈ રહ્યો છે. ઠીક રસ્તે જવા માટે લંગડો અંધાને ઇશારો કરે છે. લંગડા – આંધળાનું – બંનેનું સંયોગરૂપ જોડું છે. માર્ગે ચાલવામાં લંગડાની દ્રષ્ટિ અને આંધળાના પગ કામ કરે છે. આ બંનેની સંયુક્ત ગતિનો ભેદ નહિ જાણનાર કોઈ મંદ દ્રષ્ટિવાળો પુરુષ એમ સમજે છે કે આ અંધો જ સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે, પણ તેનો એ ભ્રમ છે; તેવી રીતે આત્મા અને શરીરના સંયોગ સંબંધનો ભેદ નહિ જાણનાર બહિરાત્મા શરીરની ક્રિયાને આત્માની ક્રિયા સમજે છે અર્થાત્ શરીરને જ આત્મા માને છે. એ તેનો તેવો જ ભ્રમ છે.
જેમ આંધળાની ગતિમાં લંગડાની દ્રષ્ટિ નિમિત્તમાત્ર છે – અર્થાત્ જેમ એ ગતિ અને દ્રષ્ટિ વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્ત – નૈમિતિક સંબંધ છે – તેમ શરીરની ગતિનો આત્મા કર્તા નથી. બંને વચ્ચે કોઈ વખતે માત્ર નિમિત્ત – નૈમિત્તિક સંબંધ હોય છે, પરંતુ કર્તાકર્મ સંબંધ હોતો નથી. અજ્ઞાનીને સંયોગ – સંબંધને લીધે બંનેના એકપણાનો ભ્રમ થઈ જાય છે અને તેથી તે શરીર અને આત્માને એક ગણી શરીરની ક્રિયા જીવ કરે છે એમ માને છે.
નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે.૧ ૯૧.
અંતરાત્મા શું કરે છે તે કહે છેઃ —
અન્વયાર્થ : — (दृष्टभेदः) જે ભેદ જાણે છે તે (यथा) જેમ (पंगोः दृष्टिं) લંગડાની દ્રષ્ટિને (अंधे) અંધ પુરુષમાં (न योजयेत्) યોજતો નથી – આરોપતો નથી (तथा) તેમ १. वज्झ कारण निरपेक्खो वथ्थु परिणामो । વસ્તુનું પરિણમન બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે. (જુઓ-જયધવલ-પેરા – ૨૪૪, પૃ. ૧૧૭; પુસ્તક ૭.)