તથા જીવમાં અજીવની કલ્પના કરે છે, દુઃખદાયી રાગદ્વેષાદિક વિભાવભાવોને સુખદાયી સમજે છે, જ્ઞાન-વૈરાગ્યાદિ જે આત્માને હિતકારી છે તેને અહિતકારી જાણી તેમાં અરુચિ યા દોષ કરે છે, શુભ કર્મફલને સારાં અને અશુભ કર્મફલને બૂરાં માની તે પ્રત્યે રાગ – દ્વેષ કરે છે, શરીરનો જન્મ થતાં પોતાનો જન્મ અને તેનો નાશ થતાં પોતાનો નાશ માને છે તે મિથ્યાદ્રષ્ટિ ‘બહિરાત્મા’ છે.
વળી આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથી – આત્માથી પર (ભિન્ન) જ છે, છતાં તેને પોતાના માનવા, તેમજ શરીરની બોલવાચાલવા વગેરેની ક્રિયા હું કરું છું, મને તેનાથી લાભ – અલાભ થાય છે; આ શરીર મારું, હું પુરુષ, હું સ્ત્રી, હું રાજા, હું રંક, હું રાગી, હું દ્વેષી, હું ધોળો, હું કાળો – એમ બાહ્ય પદાર્થોથી પોતાના આત્માને ભિન્ન નહિ જાણતો તે પર પદાર્થોને જ આત્મા માને છે અને મોક્ષમાર્ગમાં પ્રયોજનભૂત જીવ અજીવાદિ તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાન્તિથી પ્રવર્તે છે તે જીવ ‘બહિરાત્મા’ છે.
પર પદાર્થોમાં આત્મભ્રાન્તિને લીધે આ અજ્ઞાની જીવ વિષયોની ચાહરૂપ દાવાનલમાં રાતદિન જલતો રહે છે, આત્મશાન્તિ ખોઈ બેસે છે, અતીન્દ્રિય ચૈતન્ય આત્માને ભૂલી બાહ્ય ઇન્દ્રિય – વિષયોમાં મૂર્છાઈ જાય છે અને આકુલતા રહિત મોક્ષ – સુખની પ્રાપ્તિ માટે કોઈ પ્રયત્ન કરતો નથી.
ચૈતન્ય લક્ષણવાળો જીવ છે અને તેનાથી વિપરીત લક્ષણવાળો અજીવ છે; આત્માનો સ્વભાવ જ્ઞાતા – દ્રષ્ટા છે, અમૂર્તિક છે અને શરીરાદિક પરદ્રવ્ય છે, પુદ્ગલપિંડરૂપ છે, જડ છે, વિનાશીક છે; તે મારાં નથી અને હું તેનો નથી – એવું ભેદજ્ઞાન કરનાર સમ્યગ્દ્રષ્ટિ ‘અંતરાત્મા’ છે.
વળી તે જાણે છે કે, ‘હું દેહથી ભિન્ન છું, દેહાદિક મારા નથી, મારો તો એક જ્ઞાનદર્શન લક્ષણરૂપ શાશ્વત આત્મા જ છે, બાકીના સંયોગ લક્ષણવાળા (વ્યાવહારિક ભાવો) જે કોઈ ભાવો છે તે બધાય મારાથી ભિન્ન છે; આત્માના આશ્રયે જે જ્ઞાન – વૈરાગ્યરૂપ ભાવ પ્રગટે છે તે સંવર – નિર્જરા – મોક્ષનું કારણ હોઈ મને હિતરૂપ છે અને બાહ્ય પદાર્થોને આશ્રયે જે રાગાદિ ભાવો થાય છે તે આસ્રવ – બંધરૂપ હોઈ સંસારનું કારણ છે, મને તે અહિતરૂપ છે.’ આ રીતે જીવાદિ તત્ત્વોને જેમ છે તેમ જાણીને તેની સાચી પ્રતીતિ કરીને જે પોતાના જ્ઞાનાનંદ – સ્વરૂપ આત્મામાં જ અંતર્મુખ થઈને વર્તે છે તે ‘અંતરાત્મા’ છે.