આપતા તે મુરબ્બી શ્રી વકીલ રામજીભાઈ માણેકચંદ દોશીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે જ્યારે ભાષાંતર કરતાં કોઈ અર્થ બરાબર ન બેસતા હોય ત્યારે ત્યારે હું (અમૃતલાલભાઈ મારફત) પત્ર દ્વારા પં
દરેક વખતે વિનાસંકોચે પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે. તેમની સલાહ મને ભાષાંતરમાં ઘણી ઉપયોગી થઈ છે. આ રીતે તેમણે કરેલી મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ સિવાય જે જે ભાઈઓની આ અનુવાદમાં સહાય છે તે સર્વનો હું આભારી છું.
આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મશાંતિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી અંતરની ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવના શબ્દોમાં ‘આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.’ જે કોઈ તેના પરમ ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. શ્રી જયસેનાચાર્યદેવના શબ્દોમાં સમયસારના અભ્યાસ આદિનું ફળ કહીને આ ઉપોદ્ઘાત પૂર્ણ કરું છુંઃ — ‘સ્વરૂપરસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૃતનો જે કોઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે.’ દીપોત્સવી, વિ. સં. ૧૯૯૬ — હિંમતલાલ જેઠાલાલ શાહ
પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે. આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૭૫માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત સમયસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિ. સં. ૧૯૭૫ની મુદ્રિત ટીકામાં) ક્યાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતોના આધારે) સુધારી લેવામાં આવી છે, તેમ જ ક્યાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતોના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં હસ્તલિખિત પ્રતો પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે.
ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે; માત્ર કોઈક જૂજ સ્થળોએ અલ્પ ફેરફાર કર્યો છે.
જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ૠણી છું. ફાગણ સુદ ૧૧ હિં. જે. શાહ વિ. સં. ૨૦૦૯