૧૯૦
यथा लोकस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापक- भावाभावेऽपि तदुत्पादको राजेत्युपचारः, तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि तदुत्पादको जीव इत्युपचारः ।
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ राजा ] રાજાને [ दोषगुणोत्पादकः इति ] પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી [ आलपितः ] કહ્યો છે, [ तथा ] તેમ [ जीवः ] જીવને [ द्रव्यगुणोत्पादकः ] પુદ્ગલદ્રવ્યનાં દ્રવ્ય-ગુણનો ઉત્પન્ન કરનાર [ व्यवहारात् ] વ્યવહારથી [ भणितः ] કહ્યો છે.
ટીકાઃ — જેમ પ્રજાના ગુણદોષોને અને પ્રજાને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ- ભાવથી જ (પ્રજાના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં — જોકે તે ગુણદોષોને અને રાજાને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ — ‘તેમનો ઉત્પાદક રાજા છે’ એવો ઉપચાર કરવામાં આવે છે; તેવી રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષોને અને પુદ્ગલદ્રવ્યને વ્યાપ્યવ્યાપકભાવ હોવાને લીધે સ્વ-ભાવથી જ (પુદ્ગલદ્રવ્યના પોતાના ભાવથી જ) તે ગુણદોષોની ઉત્પત્તિ થતાં — જોકે તે ગુણદોષોને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે તોપણ — ‘તેમનો ઉત્પાદક જીવ છે’ એવો ઉપચાર કરવામાં આવે છે.
ભાવાર્થઃ — જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણદોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પુદ્ગલદ્રવ્યના ગુણદોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં એ સત્ય નથી, ઉપચાર છે.
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ —