ધર્માનુપ્રેક્ષા ]
અને તેનું ફળ અજ્ઞાનનો નાશ થઈ ઉપાદેયની બુદ્ધિ તથા વીતરાગતાની પ્રાપ્તિ છે. આ કથનનો મર્મ (રહસ્ય) પામવો મહાભાગ્યથી બને છે. આ પંચમ કાળમાં હાલ આ કથનીના વક્તા ગુરુનું નિમિત્ત સુલભ નથી. તેથી શાસ્ત્રને સમજવાનો નિરંતર ઉદ્યમ રાખી (શાસ્ત્રને યથાર્થ) સમજવું યોગ્ય છે; કારણ કે મુખ્યપણે તેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જોકે જિનેન્દ્ર-પ્રતિમાનાં દર્શન તથા પ્રભાવનાઅંગનું દેખવું ઇત્યાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિનાં કારણો છે તો પણ શાસ્ત્રશ્રવણ કરવું, ભણવું, તેનું ચિંતવન કરવું, ધારણ કરવું તથા હેતુ
જાણી, નયવિવક્ષા સમજી, વસ્તુના અનેકાન્તસ્વરૂપનો નિશ્ચય કરવો એ મુખ્ય કારણ છે. તેથી ભવ્યજીવોએ તેનો (આગમના અભ્યાસનો) ઉપાય નિરંતર રાખવો યોગ્ય છે.
હવે સમ્યગ્દ્રષ્ટિ થતાં અનંતાનુબંધીકષાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ છે તે પુત્ર-કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો તથા પરદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી, (જો પરદ્રવ્યોથી પોતાને મોટો માને તો તેને સમ્યક્ત્વ શાનું?) ઉપશમભાવોને ચિંતવે છે. અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ-દ્વેષ પરિણામોના અભાવથી ઉપશમભાવોની નિરંતર ભાવના રાખે છે તથા પોતાના આત્માને તૃણસમાન હલકો માને છે, કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિરૂપ છે એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી.