ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જેમ આ નિઃશંકિતાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય – પંચાસ્તિકાય – સાતતત્ત્વ – નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચન — સિદ્ધાન્તથી સમજવા. આ આઠ ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થઃ — દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવું — એ આઠ ગુણ તેમાં (દેવ – ગુરુ તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે ‘આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી, વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.