હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં તપવિધાનનું નિરૂપણ કરે છેઃ —
અર્થઃ — જિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું છે તપ? કર્મ નિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે જાણવા.
ભાવાર્થઃ — નિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર છે. અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશૈયાસન અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે. તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને ચાર ગાથામાં કહે છેઃ —
અર્થઃ — ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ, ઉપવાસ સહિત જ કહ્યો છે.