અર્થઃ — જે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.
ભાવાર્થઃ — સર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઇચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા) ચિંતવવી યોગ્ય છેઃ —
હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છે – વિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? મનુષ્યપણું છે તે જીવ અને પુદ્ગલના સંયોગજનિત પર્યાય છે અને ધન-ધાન્યદિક છે તે પુદ્ગલના પરમાણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવું – વિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છેઃ —