દ્વાદશ તપ ][ ૨૬૭ -વૈદિક આદિનાં લૌકિકશાસ્ત્રો લોકોને ઠગવા અર્થે ભણે છે તેને સ્વાધ્યાય શાનો? અહીં કોઈ પ્રશ્ન કરે કે – મુનિ અને પંડિતપુરુષો તો બધાંય શાસ્ત્રો ભણે છે; જો એમ છે તો તેઓ શા માટે ભણે છે? તેનું સમાધાન – અહીં રાગ-દ્વેષથી પોતાના વિષય – આજીવિકાદિક પોષવા માટે, લોકોને ઠગવા માટે, જે ભણે છે તેનો નિષેધ છે. પણ જે ધર્માર્થી થયો થકો કાંઈક (પારમાર્થિક) પ્રયોજન જાણી એ શાસ્ત્રોને ભણે, જ્ઞાન વધારવા માટે, પરોપકાર કરવા માટે, પુણ્ય – પાપનો વિશેષ નિર્ણય કરવા માટે, સ્વ-પરમતની ચર્ચા જાણવા માટે, અને પંડિત હોય તો ધર્મની પ્રભાવના થાય તેથી અર્થાત્ ‘જૈનમતમાં આવા પંડિત છે’ ઇત્યાદિ પ્રયોજન માટે, એવા શાસ્ત્રાભ્યાસનો નિષેધ નથી, પરંતુ માત્ર દુષ્ટ અભિપ્રાયથી ભણે તેનો નિષેધ છે.
અર્થઃ — જે મુનિ આ અપવિત્ર શરીરથી પોતાના આત્માને પરમાર્થે ભિન્ન – જ્ઞાયકસ્વરૂપ જાણે છે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં.
ભાવાર્થઃ — જે મુનિ શાસ્ત્રાભ્યાસ અલ્પ પણ કરે છે, પરંતુ જો પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન, જ્ઞાયક (દેખવા – જાણવાવાળું) શુદ્ધોપયોગસ્વરૂપ છે એમ જાણે છે તો તે બધાંય શાસ્ત્રો જાણે છે, પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહિ અને ઘણાં શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું?