૨૭૬ ]
અર્થઃ — જે બધાય અન્ય વિકલ્પોને છોડી, આત્મસ્વરૂપમાં મનને રોકી આનંદ સહિત ચિંતવન હોય તે ઉત્તમ ધર્મધ્યાન છે.
ભાવાર્થઃ — સમસ્ત અન્ય વિકલ્પરહિત આત્મસ્વરૂપમાં મનને સ્થિર કરવાથી જે આનંદરૂપ ચિંતવન કહે છે તે ઉત્તમ ધર્મધ્યાન છે. અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર ધર્મધ્યાનનું વિશેષ કથન કર્યું છે; તેને સંક્ષેપમાં લખીએ છીએઃ —
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, તથા સંસ્થાનવિચય. ત્યાં જીવાદિક છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં વિશેષ સ્વસ્વરૂપ – વિશિષ્ટ ગુરુના અભાવથી તથા પોતાની મંદબુદ્ધિવશ પ્રમાણ-નય નિક્ષેપથી સાધી શકાય એવું (સ્વરૂપ) જાણ્યું ન જાય ત્યારે એવું શ્રદ્ધાન કરે કે ‘જે સર્વજ્ઞવીતરાગદેવે કહ્યું છે તે મારે પ્રમાણ છે’ એ પ્રમાણે આજ્ઞા માની તે અનુસાર પદાર્થોમાં ઉપયોગને સ્થિર કરે તે આજ્ઞાવિચય-ધર્મધ્યાન૧ છે.
‘અપાય’ નામ નાશનું છે. ત્યાં જેમ કર્મોનો નાશ થાય તેમ ચિંતવે, મિથ્યાત્વભાવ એ ધર્મમાં વિધ્નનું કારણ છે તેનું ચિંતવન રાખે અર્થાત્ તે પોતાનામાં ન થવા દેવાનું અને પરને મટવાનું ચિંતવન રાખે તે અપાયવિચય છે.
‘વિપાક’ નામ કર્મના ઉદયનું છે. ત્યાં જેવો કર્મનો ઉદય થાય તેના તેવા સ્વરૂપનું ચિંતવન કરે તે વિપાકવિચય છે.