દ્વાદશ તપ ][ ૨૮૧ ઉપયોગ પલટાશે ત્યાં ‘સર્વનો પ્રત્યક્ષ જ્ઞાતા થઈ લોકાલોકને જાણવું’ એ જ પલટાવું રહ્યું છે.
અર્થઃ — કેવળજ્ઞાન છે સ્વભાવ જેનો એવા સયોગકેવળી- ભગવાન જ્યારે સૂક્ષ્મકાયયોગમાં બિરાજે છે ત્યારે તે કાળમાં જે ધ્યાન હોય છે તે સૂક્ષ્મક્રિયા નામનું ત્રીજું શુક્લધ્યાન છે.
ભાવાર્થઃ — જ્યારે ઘાતિકર્મનો નાશ કરી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેરમા ગુણસ્થાનવર્તી સયોગકેવળી થાય છે. ત્યાં તે ગુણસ્થાનના અંતમાં અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે મનોયોગ – વચનયોગ રોકાઈ જાય છે અને કાયયોગની સૂક્ષ્મક્રિયા રહી જાય છે, ત્યારે તેને શુક્લધ્યાનનો (સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો) ત્રીજો પાયો કહે છે. અહીં કેવળજ્ઞાન ઊપજ્યું ત્યારથી ઉપયોગ તો સ્થિર છે અને ધ્યાનમાં અંતર્મુહૂર્ત ટકવાનું કહ્યું છે; પરંતુ એ ધ્યાનની અપેક્ષાએ તો અહીં ધ્યાન નથી પણ માત્ર યોગ થંભાઈ જવાની અપેક્ષાએ ધ્યાનનો ઉપચાર છે. અને જો ઉપયોગની અપેક્ષાએ કહીએ તો ઉપયોગ અહીં થંભી જ રહ્યો છે – કાંઈ જાણવાનું બાકી રહ્યું નથી. વળી પલટાવવાવાળું પ્રતિપક્ષી કર્મ પણ રહ્યું નથી, તેથી તેને સદાય ધ્યાન જ છે – પોતાના સ્વરૂપમાં રમી રહ્યા છે, સમસ્ત જ્ઞેયો આરસીની માફક પ્રતિબિંબિત થઈ રહ્યા છે અને મોહના નાશથી કોઈ પદાર્થોમાં ઇષ્ટ – અનિષ્ટભાવ નથી. એ પ્રમાણે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનું ત્રીજું શુક્લધ્યાન પ્રવર્તે છે.
હવે વ્યુપરતક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન કહે છેઃ —