Pravachan Ratnakar (Gujarati). Gatha: 26-30.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 20 of 210

 

PDF/HTML Page 381 of 4199
single page version

अथाहाप्रतिबुद्धः–

जदि जीवो ण सरीरं तित्थयरायरियसंथुदी चेव।
सव्वा वि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो।। २६ ।।

यदि जीवो न शरीरं तीर्थकराचार्यसंस्तुतिश्चैव।
सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः।। २६ ।।
(शार्दूभविक्रीडित)
कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये
धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये।
दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं
वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।। २४ ।।

હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ-

જો જીવ હોય ન દેહ તો આચાર્ય–તીર્થંકરતણી
સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ–દેહની! ૨૬.

ગાથાર્થઃ– અપ્રતિબુદ્ધ કહે છે કેઃ [यदि] જો [जीवः] જીવ છે તે [शरीरं न] શરીર નથી તો [तीर्थकराचार्यसंस्तुतिः] તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે [सर्वा अपि] બધીયે [मिथ्या भवति] મિથ્યા (જૂઠી) થાય છે; [तेन तु] તેથી અમે સમજીએ છીએ કે [आत्मा] આત્મા તે [देहः च एव] દેહ જ [भवति] છે.

ટીકાઃ– જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છેઃ-

શ્લોકાર્થઃ– [ते तीर्थेश्वराः सूरयः वन्द्याः] તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? [ये कान्त्या एव दशदिशः स्नपयन्ति] પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, [ये धाम्ना उद्दाम–महस्विनां धाम निरुन्धन्ति] પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, [ये रूपेण जनमनः मुष्णन्ति] પોતાના


PDF/HTML Page 382 of 4199
single page version

રૂપથી લોકોનાં મન હરી લે છે, [दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः] દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખઅમૃત વરસાવે છે અને [अष्टसहस्रलक्षणधराः] એક હજારને આઠ લક્ષણોને ધારણ કરે છે, -એવા છે. ૨૪.

-ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલદ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહૃાું.

હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે તેની ગાથા કહે છેઃ-

અજ્ઞાની કહે છે કે-તમે બધી આવી વાતો કરો છો તો જે સ્તુતિ કરાય છે તે કોની કરાય છે? શરીરની. માટે શરીર તે આત્મા છે. તમે ‘શરીર રહિત, શરીર રહિત’ એમ આટલો બધો પોકાર શાનો કરો છો? આમ અજ્ઞાની જીવ સામી દલીલ કરે છે.

* ગાથા ૨૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે આત્મા છે તે જ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ આ શરીર છે.’ શરીર અને આત્મા બન્ને એક જ છે. વળી તમે જુદા જુદા કહો છો, પણ એ અમને બેસતું નથી. જો એમ ન હોય તો તીર્થંકર-આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છેઃ-(આમ અજ્ઞાનીએ શાસ્ત્રમાંથી આધાર કાઢયો).

* કળશ ૨૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

મહારાજ! તમે કહો છો કે શરીર અને આત્મા બન્ને જુદા છે પણ તમારા જ શાસ્ત્રમાં શરીરની સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરી છે. જેમ કેઃ-

ते तीर्थेश्वराः सूरयः वन्द्या તે તીર્થંકર-આચાર્યો વાંદવાયોગ્ય છે. કેવા છે તે? ये कान्त्या एव दशदिशः स्नपयन्ति પોતાના દેહની કાન્તિથી દશે દિશાઓને ધૂએ છે- નિર્મળ કરે છે, ये धाम्ना उद्दाममहस्विनाम् धाम निरुन्धन्ति અને પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળજ્ઞાન થતાં તેના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે. એટલે સૂર્યના તેજથી પણ અધિક દેદીપ્યમાન ભગવાનનું પરમ ઔદારિક શરીર હોય છે. ये रूपेण जनमनः मुष्णन्ति પોતાના રૂપથી લોકોનાં મન હરી લે છે. તીર્થંકરના શરીરનું રૂપ એવું હોય છે કે લોકોનાં મનને હરી લે છે. दिव्येन ध्वनिना श्रवणयोः साक्षात् सुखं अमृतं क्षरन्तः દિવ્યધ્વનિ-વાણીથી (ભવ્યોના) કાનોમાં સાક્ષાત્ સુખ-અમૃત વરસાવે છે. અને अष्टसहस्त्रलक्षणधराः એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે-એવા છે. આ બધાં લક્ષણો તો શરીરનાં છે અને તમે તેને ચૈતન્ય ભગવાનની સ્તુતિ કહો છો.


PDF/HTML Page 383 of 4199
single page version

-ઇત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે એમ તમે કહો છો તે બધીય મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, આ પ્રમાણે અપ્રતિબુદ્ધનું કહેવું છે.

અહીં શિષ્યનો પ્રશ્ન છે કે શરીર અને આત્મા તદ્ન જુદા છે એમ તમે કહો છો પણ એ વાત અમને બેસતી નથી. કેમકે તમે તીર્થંકરની સ્તુતિ કરો છો ત્યારે એના શરીરની અને એની વાણીની સ્તુતિ કરો છો. જેમકેઃ-જેમના દેહના રૂપના પ્રકાશમાં સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય છે અને જેની દિવ્યધ્વનિથી ભવ્યોના કાનોમાં સાક્ષાત્ સુખ- અમૃત વરસાવે છે ઇત્યાદિ. આ બધી શાની સ્તુતિ કરો છો? શરીરની. માટે અમે તો માનીએ છીએ કે શરીર અને આત્મા એક છે. જો દેહ અને આત્મા એક ન હોય તો તમે કરેલી બધી સ્તુતિ મિથ્યા ઠરે. માટે દેહ અને આત્મા એક છે એમ અમારો નિશ્ચય છે.

વળી કોઈ એમ કહે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ વેદે? શરીરમાં રોગાદિની પીડા આત્મા વેદે છે કે નહિ? વળી શરીરની ક્રિયા-હાલવું, ચાલવું ઇત્યાદિ કોણ કરે છે? ભાઈ! એ (આત્મા) શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ કરી રાગને વેદે છે. અને શરીરની ક્રિયા એ તો જડની ક્રિયા છે. આત્મા તે ક્રિયા કરતો નથી. તથા જે કર્મના નિમિત્તે ક્રિયા થાય છે તે જડકર્મને પણ આત્મા અનુભવતો નથી. કેમકે જડ અને ચૈતન્ય વચ્ચે તો અત્યંતાભાવ છે. તેથી આત્માને જડકર્મનો અનુભવ નથી, પણ એના નિમિત્તે થતા મિથ્યાત્વ અને રાગદ્વેષનો અનુભવ છે.

વળી (અન્ય) સંપ્રદાયમાં તો શરીર અને આત્મા અત્યંત ભિન્ન છે એવું સ્પષ્ટ લખાણ જ નથી, એવી શૈલી જ નથી. ત્યાં તો એમ માનતા કે આપણે બ્રહ્મચર્ય પાળીએ, સંયમ પાળીએ, પર જીવની રક્ષા કરીએ ઇત્યાદિ બધું આત્મા કરે છે. પરજીવની હિંસા ન કરવી, પરજીવને બચાવવો એ “અહિંસા પરમો ધર્મઃ” એ આખા સિદ્ધાંતનો સાર છે એમ કહેતા. એ જેણે જાણ્યું એણે બધું જાણ્યું.

અહીં તો કહે છે કે એ પરની હિંસા અને અહિંસા આ જીવ કરી શકે જ નહિ. બંધ અધિકારમાં આવે છેઃ-પરને હું મારી શકું છું, પરને હું જીવાડી શકું છું, બીજાને હું સુખદુઃખ દઈ શકું છું, સંયોગો, આહાર-પાણી વગેરે હું લઈ શકું છું અને છોડી શકું છું, પરથી હું જીવું છું, પર બધા રક્ષા કરનારા છે તેથી હું જીવું છું ઇત્યાદિ બધી


PDF/HTML Page 384 of 4199
single page version

માન્યતા જેની છે તે મિથ્યાદ્રષ્ટિ છે. કેમકે જીવનું જીવન-મરણ તેના આયુકર્મને આધીન છે, તથા પર વસ્તુને આત્મા ગ્રહી કે છોડી શક્તો નથી. વળી પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના વીસ બોલમાં ૧૩ મો બોલ છે. એમાં આવે છે કે પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ (મન, વચન અને કાય) શ્વાસોચ્છ્વાસ અને આયુ એ દશ પ્રાણથી જીવનું જીવન છે જ નહિ. નિશ્ચયથી એનું જીવન અંતર જીવતર-જ્ઞાનદર્શનરૂપ ચેતન પ્રાણથી છે. અશુદ્ધ- નિશ્ચયનયથી કહો તો એ ભાવેન્દ્રિયથી છે અને જડ દશ પ્રાણથી જીવે છે એ તો અસદ્ભૂત વ્યવહારનયથી કથન છે.

આ એક એક રજકણ છે એમાં અનંત શક્તિઓ-ગુણ છે. એમાં ક્રિયાવતી નામની એક શક્તિ-ગુણ છે. આ શરીર, મન, વાણી આદિનું જે હલન-ચલન થાય છે એ તો રજકણોની ક્રિયાવતી શક્તિને લઈને છે, પણ આત્માને લઈને નહિ. આ આંગળીને આત્મા હલાવે તો હાલે છે એમ ત્રણ કાળમાં નથી. એ તો એની (રજકણોની) ક્રિયાવતી શક્તિને લઈને હાલે છે. જડનું હાલવું જડના અસ્તિત્વમાં અને ચેતનનું હાલવું ચેતનના અસ્તિત્વમાં છે. ભાઈ! આ તો મૂળ વાત છે. જડ અને ચેતન બન્નેનો સ્વભાવ પ્રગટ ભિન્ન ભિન્ન છે. અહીં તો રાગ અને દયા, દાનનો જે વિકલ્ય ઊઠે એનો એ (અજ્ઞાની) ર્ક્તા થાય છે. એ જ્ઞાનસ્વરૂપ આત્મા એ વિકારને કેમ કરે? એ તો ચૈતન્ય જ્ઞાનસ્વરૂપી ભગવાન જ્ઞાતા-દ્રષ્ટાના ભાવથી ભરેલો છે. એ પરને શી રીતે મારે કે જીવાડે? એ રાગને શી રીતે કરે? આત્મામાં વિકાર કરવાની તો કોઈ શક્તિ નથી. એવો ગુણ નથી જે વિકાર કરે. વિકાર જે પર્યાયમાં થાય છે એ તો પર્યાયની યોગ્યતાથી પર્યાયમાં થાય છે, પણ કર્મથી નહિ અને દ્રવ્ય-ગુણથી પણ નહિ. ઝીણી વાત, ભાઈ. વીતરાગ માર્ગને અનંતકાળમાં સમજ્યો નથી.

વળી કોઈ એમ કહે છે કે શાસ્ત્રમાં કુંદકુંદાચાર્યે પુણ્યને વ્યવહાર ધર્મ કહ્યો છે અને વ્યવહારને સાધન કહ્યું છે. કહે છે-पुण्णफला अरहंता એટલે કે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે. પરંતુ આ અજ્ઞાનીની ખોટી માન્યતા છે. પુણ્યનું ફળ અરિહંતપદ છે જ નહિ. પુણ્યના ફળમાં તો બહારના અતિશયની વાત લીધી છે. પ્રવચનસાર ગાથા ૪પની ટીકા જુઓ. પુણ્યનો વિપાક ભગવાનને-જ્ઞાનને અકિંચિત્કર છે એમ ત્યાં લીધું છે. વાત તો આવી છે. ગાથાના મથાળે तीर्थकृतां पुण्यविपाकोऽकिंचित्कार एव પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે એમ કહ્યું છે. આત્માને પુણ્યનું ફળ કાંઈ કાર્યકારી નથી. અરિહંતને જે દેહાદિની ક્રિયા, વાણી નીકળવી, ચાલવું ઇત્યાદિ ક્રિયા છે તે પુણ્યના ફળરૂપ છે.


PDF/HTML Page 385 of 4199
single page version

અને એનો પણ ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે. ભાઈ! ત્યાં તો એમ કહે છે કે ભગવાન તો પોતાના પુરુષાર્થથી કેવળજ્ઞાન પામ્યાં છે. એને જે પુણ્ય બાકી રહ્યું છે તે પુણ્યને લઈને આસન, વિહાર થાય અને વાણી નીકળે એ બધી ઉદ્રયની જે ક્રિયા છે તે ક્ષણે ક્ષણે નાશ પામે છે તેથી તેને ક્ષાયિકી કહી છે એમ ત્યાં વાત આવે છે. पुण्णफला अरहंता એટલે પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એમ છે જ નહિ. આ આવા ઊંધા અર્થ કરે, પણ શું થાય?

શિષ્ય આ રીતે અનેક પ્રકારે આત્મા અને શરીર એક છે એવી ઊંધી માન્યતા શાસ્ત્રમાંથી કાઢે છે. એને આચાર્ય ભગવાન કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તું શાસ્ત્રોના વ્યવહારનયના કથનોને સમજતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે. એમ આગળની ગાથામાં કહેશે.

[પ્રવચન નં. ૬૭-૬૮ * દિનાંક પ-૨-૭૬ અને ૬-૨-૭૬]




PDF/HTML Page 386 of 4199
single page version

नैवं, नयविभागानभिज्ञोऽसि–

ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।।

व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः।
न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।।

ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ-

જીવ–દેહ બન્ને એક છે–વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ–દેહ કદાપિ એક પદાર્થના. ૨૭.

ગાથાર્થઃ– [व्यवहारनयः] વ્યવહારનય તો [भाषते] એમ કહે છે કે [जीवः देहः च] જીવ અને દેહ [एकः खलु] એક જ [भवति] છે; [तु] પણ [निश्चयस्य] નિશ્ચયનયનું કહેવું છે કે [जीवः देहः च] જીવ અને દેહ [कदा अपि] કદી પણ [एकार्थः] એક પદાર્થ [न] નથી.

ટીકાઃ– જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.

માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે.

ભાવાર્થઃ– વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે.


PDF/HTML Page 387 of 4199
single page version

અપ્રતિબુદ્ધે તીર્થંકર-આચાર્યોની સ્તુતિ ઉપરથી એમ કહ્યું કે-અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુદ્ગલ દ્રવ્ય છે. તેને (અપ્રતિબુદ્ધને) આચાર્ય કહે છે કે-એમ નથી. તું નયવિભાગને જાણતો નથી. તે નયવિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એકક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે.’ જુઓ, સોનું અને ચાંદીને ગાળી એક કરીને એને ધોળું સોનું એમ કહેવામાં આવે છે. પણ ધોળું તો રૂપુ (ચાંદી) છે અને સોનું તો પીળું છે. બન્ને જુદાં જુદાં છે. તેમ ચૈતન્ય લક્ષણવાન આત્મા છે અને અચેતન લક્ષણવાન (જડ) શરીર છે. એમ બન્ને જુદાં જુદાં છે.

કર્મનાં રજકણો કર્મની પર્યાયને કરે પણ આત્મા એને ન કરે તથા કર્મની પર્યાય આત્માને રાગ ન કરાવે, અહાહા! સ્વતંત્ર પરમાણુ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પોતાના અસ્તિત્વથી રહેલ છે. એ પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પ્રવેશ કર્યા વિના એને (પરને) કરે શી રીતે? એથી કહે છે કે આત્મા અને શરીર એક છે એ તો વ્યવહારનું કથન માત્ર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું કહેવામાં આવે છે. બન્ને એક ક્ષેત્રમાં રહેલાં છે એ અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારનયથી એક છે એમ કહે છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી.

કારણ કે નિશ્ચયનયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું આદિ, અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે.’ જુઓ, સોનું અને ચાંદીનો ભિન્નભિન્ન સ્વભાવ છે તેથી નિશ્ચયથી સોનું અને ચાંદી એક નથી. અરે! સોનાના એક એક રજકણને બીજા રજકણનો સંબંધ નથી. પરમાણુ એકલો હોય તોપણ પોતાના સ્વચતુષ્ટયમાં (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં) છે અને સ્કંધમાં હોય તોપણ પોતાના સ્વચતુષ્ટયમાં છે. પ્રવચનસાર ગાથા ૮૭માં કહ્યું છે કે સ્કંધમાં પણ જે અનંત રજકણો છે તે દરેકે દરેક રજકણ સ્વતંત્ર છે, એકે એક રજકણ પોતાના સ્વચતુષ્ટયમાં છે, પણ અન્ય રજકણ સાથે અભેદ નથી. અનંત રજકણો અનંત તત્ત્વ છે. તે પ્રત્યેક સ્વપણે રહે અને પરપણે ન રહે તો અનંત અનંતપણે રહી શકે. અનંતની અનંતતાનું અસ્તિત્વ સિદ્ધ કરવા જાય તો પ્રત્યેક પોતામાં છે અને પરમાં નથી એમ પ્રત્યેકની ભિન્નભિન્ન સ્વસત્તા (સ્વરૂપ અસ્તિત્વ) સિદ્ધ થઈ જાય છે. ભાઈ! પરથી આમાં થાય અને આનાથી પરમાં થાય એમ માને તો અનંતની ભિન્નભિન્ન સત્તા સિદ્ધ નહિ થાય.


PDF/HTML Page 388 of 4199
single page version

એક રજકણનું જે ક્ષેત્રાંતર થાય એ રજકણની પોતાની ક્રિયાવતીશક્તિને કારણે પોતાના અસ્તિત્વથી થાય છે, પણ બીજા રજકણને કારણે નહિ અને આત્માના કારણે પણ નહિ. આવું તત્ત્વ છે. વસ્તુ પરથી ભેદરૂપ (ભિન્ન) છે એ અહીં કહે છે. સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી તેમને એકપદાર્થપણાની અસિદ્ધિ છે. તેથી અનેકપણું છે. જોયું, અનંત અનંતપણે છે માટે એકબીજા સાથે કાંઈ સંબંધ નથી. સોનું અને ચાંદી બે છે ને? એ બન્ને પોતપોતાપણે છે. બે એક નથી થયાં માટે અનેક છે. ભાઈ! એક સ્કંધમાં અનેક રજકણો છે તેમાં દરેક રજકણ તથા એક નિગોદના શરીરમાં અનંત જીવો છે તેમાં પ્રત્યેક જીવ પોતાના સ્વચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ)ને છોડીને બીજાના ચતુષ્ટયમાં જતા નથી. બધાય અનંતપણે રહ્યા છે, એકપણે થયા નથી. આવો છે, ભાઈ! વીતરાગમાર્ગ બહુ સૂક્ષ્મ છે.

આ તો એમ માને શરીરથી દયા પળે, શરીરથી સંયમ થાય, શરીરથી ઉપવાસ થાય, આત્મા હોય તો શરીરની ક્રિયા થાય, શરીરનું દુઃખ આત્માને વેદાય ઇત્યાદિ-માટે શરીર અને આત્મા એક છે. ભાઈ! આ તારી માન્યતા મૂઢની છે. આ બધી ક્રિયામાં રાગ મંદ હોય, શુભક્રિયા થઈ હોય તો પુણ્ય થાય પણ એ શરીરની ક્રિયાથી અને આહાર છોડવાથી કે શુભક્રિયાથી ધર્મ થયો માને તો એ મિથ્યાત્વભાવ છે. ભાઈ! આત્મામાં પરવસ્તુના ગ્રહણ-ત્યાગની શક્તિ જ નથી. આત્મામાં ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે. એટલે પરનો ત્યાગ અને પરનું ગ્રહણ આત્મા કરી શકે જ નહિ. તો પછી પરદ્રવ્યને શી રીતે તે ગ્રહે અને છોડે? (અન્યત્ર) સંપ્રદાયમાં તો આ વાત જ મળતી નથી.

એક આત્મા બીજા આત્માના ચતુષ્ટયથી ભિન્ન છે. તેમ એક રજકણ બીજા રજકણના ચતુષ્ટયથી ભિન્ન છે. સપ્તભંગીમાં પહેલો ભંગ એમ છે કે-વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવથી અસ્તિ છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ છે.

પ્રશ્નઃ– પણ વ્યવહારથી તો બીજાનું કરે ને?

ઉત્તરઃ– ધૂળે ય ન કરે. એ તો બોલાય. નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે પરનું કરી શકે નહિ. જેમ અમારો દેશ, અમારું ગામ એમ બોલાય પણ એથી ગામ અને દેશ એના થઈ ગયા? (સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર, સમયસાર ગાથા ૩૨પ માં આ વાત આવે છે.) શ્રીમદ્ એમ બોલતા કે અમારો કોટ, અમારી ટોપી, અમારું ઘર ઇત્યાદિ. લોકો આ સમજી શક્તા નહિ. તેમને એમ થાય કે આ શું બોલે છે? અ-એટલે નહિ. અમારો એટલે મારો નહિ એવો ભાવ એની પાછળ હતો. પણ સમજવાની કોને પડી છે? આમ ને આમ આ આત્મા અનંતકાળથી પરને પોતાનું માનીને, પોતાના સ્વરૂપને ભૂલી રખડે છે. શ્રીમદ કહે છે કે “તારા દોષથી તને રખડવું થયું છે. તારો દોષ એટલો કે પરને


PDF/HTML Page 389 of 4199
single page version

પોતાનો માનીને ભૂલ્યો.” આ ટૂંકી ભાષા છે. કર્મે તને ભૂલાવ્યો નથી. કર્મોએ તને રખડાવ્યો નથી. પૂજામાં આવે છે કેઃ-

“કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહૈ ઘનઘાત લોહકી સંગતિ પાઈ.”

એટલે લોઢાનો સંગ અગ્નિ કરે તો અગ્નિ ઉપર ઘણ પડે તેમ આત્મા પોતે પરનો સંગ કરે તો રાગાદિ થાય, દુઃખના ઘણ પડે; પણ પરને લઈને થાય એમ નથી.

અહીં એ કહે છે કે સોનું અને ચાંદીના રજકણો ભિન્ન ભિન્ન છે, અનેકપણે છે. સોનાને ધોળું કહેવું એ તો કથનમાત્ર છે, વસ્તુ એમ છે નહિ, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે.’ અહાહા! જ્ઞાયકસ્વભાવી આત્મા નિત્યઉપયોગસ્વરૂપ વસ્તુ-તત્ત્વ છે. એ અનાદિ અનંત અસ્તિત્વવાળી સત્યાર્થ પરમાર્થ વસ્તુ છે. આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત ઈશ્વરતા-એમ અનંત અનંત ગુણોના અસ્તિત્વના સ્વભાવથી સ્વભાવવાન વસ્તુ છે.

પરને પોતાનું માનવું એ તો મિથ્યા ભ્રમ-અજ્ઞાન છે જ. પરંતુ આત્માને એક સમયની પર્યાય જેટલો માને એ પણ પર્યાયમૂઢ જીવ છે, પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે. અહાહા! વસ્તુ તો આખી આનંદકંદ, જ્ઞાનાનંદરસકંદ, ત્રિકાળી સત્ના સત્ત્વરૂપે અંદર પડી છે. એક સમયની પર્યાય તો એના અનંતમા ભાગે એક અંશ વ્યક્ત છે. એ અનંત- સ્વભાવનો સ્વભાવવાન તું, એનું ત્રિકાળી સત્ત્વ કાંઈ એક સમયની પર્યાયમાં નથી આવતું. આવો ભગવાન પૂર્ણાનંદનો નાથ છે. એને પરપણે માનવો કે પરથી હું છું એમ માનવો એ તો મિથ્યાભ્રમ, અજ્ઞાન અને ભવભ્રમણનું મૂળ છે. ૮૪ લાખના અવતારની એ જડ છે. સંયોગી ચીજ પરવસ્તુ અને સંયોગીભાવ એટલે પુણ્ય-પાપના વિકાર એ બધું છે. પણ પોતાના સ્વભાવવાનને ભૂલીને સંયોગી ચીજ અને સંયોગીભાવને પોતાના માનવા એ ભવભ્રમણની જડ છે.

વસ્તુ સહજાનંદસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ નિત્યઉપયોગસ્વભાવે અંદર પડેલી છે એને આત્મતત્ત્વ કહીએ. એના ઉપર અનંતકાળમાં પણ નજર ગઈ નહિ અને બહાર જોયા કર્યું. પોતે જોનારો કેવડો અને કયાં છે અંદર એ જોયું નહિ, અને માત્ર પરને અને બહુ બહુ તો એક સમયની પર્યાયને જોઈ. પર્યાય જેમાંથી ઊભી થાય છે અને જેના આશ્રયે છે એવી ત્રિકાળી, ધ્રુવ ચીજને જોઈ નહિ અને માની નહિ. અને શરીરની ક્રિયાઓ કરો, સંયમ શરીરથી પળે એમ શરીરની ક્રિયામાં તથા ગામને સુધારી દઉં, દુનિયાને સુધારી દઉં, ઉપદેશથી સમજાવીને લોકોને તારી દઉં ઇત્યાદિ ક્રિયાઓ તથા ભાવોમાં પોતાપણું


PDF/HTML Page 390 of 4199
single page version

કરે છે તે મૂઢ, મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની છે. અરે ભગવાન! તને શું થયું છે આ? ભાઈ! તારામાં એ ચીજ છે નહિ. પરને તું તારે કે મારે એ તારા સ્વરૂપમાં નથી. એ તો તે વિકલ્પથી (ખોટું) માન્યું છે.

જુઓ શરીર, કર્મ આદિ અજીવ-જડ છે એ તો અણ-ઉપયોગસ્વરૂપે છે. પરંતુ જે પરના લક્ષે ઉત્પન્ન થાય છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પ એ પણ અણ-ઉપયોગસ્વરૂપ છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે ધ્રુવ ત્રિકાળી જ્ઞાયકભાવ કદી શુભાશુભભાવોના સ્વભાવે થયો નથી. જ્ઞાયક વસ્તુ ઉપયોગસ્વરૂપે છે. એ અણ-ઉપયોગસ્વરૂપ શુભાશુભભાવપણે થઈ નથી. આ દયા, દાન, ભક્તિ આદિના ભાવમાં ચૈતન્યનો અંશ નહિ હોવાથી એ સર્વ રાગાદિ ભાવો અણ-ઉપયોગસ્વરૂપ છે. તો પછી શરીર અને કર્મની તો વાત જ શી? અહીં કહે છે કે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવો જ્ઞાયક આત્મા અને શરીરાદિને ભિન્નપણું છે, અનેકપણું છે, એકપણું નથી.

ગાથા ૧૭-૧૮ માં એમ કહ્યું કે આબાળ-ગોપાળ સૌને જ્ઞાન જ અનુભવમાં આવે છે, એટલે શરીર અને રાગ સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ જાણવામાં આવે છે પણ એમ ન માનતાં હું શરીરને જાણું છું, રાગને જાણું છું એમ એનું લક્ષ પર ઉપર જાય છે. એ મિથ્યા ભ્રમ છે. આ જાણનારો જણાય છે અને રાગ અને શરીરને જાણનારું જ્ઞાન રાગ અને શરીરનું નથી પણ જ્ઞાયકનું છે. એ પરજ્ઞેયનું જ્ઞાન નથી પણ ત્રિકાળી ભગવાનનું છે. આમ જ્ઞાયક આત્મા અને શરીરાદિ પરવસ્તુને ભિન્નપણું છે, અનેકપણું છે.

અરે! વસ્તુની દ્રષ્ટિ વિના અનંતવાર વ્રત, તપ, નિયમ કરીને બિચારો મરી ગયો (રખડયો). કહ્યું છે ને (પુણ્ય-પાપ અધિકાર, ગાથા ૧પર માં) કે અજ્ઞાનભાવે વ્રત, તપ આદિ કરે એ બાળવ્રત અને બાળતપ છે. આહાહા! છ છ માસના ઉપવાસ કરે, બબ્બે મહિનાના સંથારા કરે, ઝાડની ડાળની જેમ પડયો રહે પણ નિજસ્વરૂપને જાણ્યા વિના એ બધું બાળતપ અને બાળવ્રત છે. ભગવાન જ્ઞાનની મૂર્તિ છે. એની પર્યાયમાં જે જાણવું થાય છે એ તો આત્માની પોતાની પર્યાય છે. એ ખરેખર જાણનાર જ્ઞાયકને જાણે છે એમ ન માનતાં આને (પર શરીરાદિને) જાણે છે એમ પર ઉપર લક્ષ જાય છે એ અજ્ઞાન છે.

અનંતકાળથી શરીર અને રાગને લક્ષ કરી જાણે છે. અને એને એકપણે માને છે. આ જાણનાર, જાણનાર, જાણનાર જે છે તે હું એમ વિચારવાની કોને પડી છે? બસ, દુનિયામાં પાંચ-પચાસ લાખની ધૂળ મળે એટલે માને કે લીલા લહેર છે. આપણે હવે લખપતિ. પરંતુ બનારસીદાસ સમયસાર નાટકમાં કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે એના લક્ષનો પતિ આત્મા લક્ષપતિ છે. આત્માનું લક્ષ થતાં જે અતીન્દ્રિય સહજ આનંદ થયો એ આનંદનો નાથ ભગવાન આત્મા લક્ષપતિ છે. બનારસીદાસના પદ્યમાં છે આઃ-


PDF/HTML Page 391 of 4199
single page version

સ્વારથકે સાચે પરમારથકે સાચે ચિત્ત,
સાચે સાચે બૈન કહૈં સાચે જૈનમતી હૈં,
કાહૂકે વિરુદ્ધ નાહિ પરજાય-બુદ્ધિ નાહિ,
આતમગવેષી ન ગૃહસ્થ હૈં ન જતી હૈં,
સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસૈ ઘટમૈં પ્રગટ સદા,
અંતરકી લચ્છિસૌં અજાચી લચ્છપતી હૈં.”

એ દુનિયાના લખપતિ-કરોડપતિ એ તો ધૂળના પતિ ધૂળ-પતિ છે.

જ્યારે ઉપદેશમાં દાનનો, ભક્તિનો, પૂજાનો અધિકાર શાસ્ત્રમાં આવે ત્યારે શુભભાવની વાત આવે. રત્નકરંડ શ્રાવકાચારમાં દાન આદિનો અધિકાર વિસ્તારથી આવે છે. સમ્યગ્દ્રષ્ટિ હોય, પૈસા આદિ સંપત્તિ હોય તો એને રાગની મંદતા કરીને દાનમાં વાપરે એ પુણ્યનું કારણ છે. પરંતુ પૈસાનો લોભ રાખી દાનમાં વાપરે નહિ તો પાપનું કારણ છે. પદ્મનંદિ પંચવિંશતિમાં દાન અધિકારમાં પણ આવે છે કે-કાગડો જેમ ઉકડીઆ-ખીચડી તળિયે દાઝી હોય તે તાવેથાથી ઉખેડીને બહાર કુંડીમાં જે નાખે તે દાણા એકલો ન ખાય, પણ કા...કા...કા એમ બોલી બીજા કાગડાઓને બોલાવીને ખાય. તેમ ભગવાન! તેં પૂર્વે જે શુભભાવ કર્યા ત્યારે તારા આત્માની શાંતિ-વીતરાગતા દાઝી હતી. તે વેળા તને જે પુણ્ય બંધાયાં તેના ફળમાં આ લક્ષ્મી આદિ મળ્‌યા છે તે એકલો વાપરીશ નહિ, બીજાઓને પણ દાનમાં આપજે. નહિં તો તું કાગડામાંથી ય જઈશ. (ઉપદેશમાં અધિકાર પ્રમાણે રાગની મંદતાની વાત શાસ્ત્રમાં આવે પણ તેથી મંદ રાગ ધર્મ છે એમ ન સમજવું).

અહીં આચાર્ય ભગવાન એ સ્પષ્ટ કહે છે કે તું કોણ છે? આ જાણવા-દેખવાના સ્વભાવથી ભરેલો ઉપયોગસ્વરૂપ જ્ઞાયક આત્મા છે તે તું છે. તથા જ્ઞાનઉપયોગથી ખાલી અણ-ઉપયોગસ્વરૂપ રાગાદિ અને શરીરાદિ છે તે તું નથી. આત્માને અને શરીરાદિને આ રીતે અત્યંત ભિન્નપણું છે. તેમને એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. અનાદિથી એકમેક માની રાખ્યું છે ને? એને કેમ બેસે? પણ ભાઈ! શરીરના રજકણ તે હું અને એનાથી ક્રિયા થાય તે મારી થઈ એમ જે માને તે ભલે કોઈ મોટો રાજા હોય, શેઠ હોય કે મોટો ત્યાગી હોય એ મૂઢ, મોટો મૂર્ખ છે.

આત્મા અને શરીર આકાશના એક ક્ષેત્રે રહેવાથી એક છે એમ અસદ્ભૂત વ્યવહાર-નયથી કહેવામાં આવે છે. (એ કથનમાત્ર છે.) બાકી ભગવાન આનંદનો નાથ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા અને આ જડ શરીર એ તદ્ન ભિન્ન ભિન્ન છે. એમને ત્રણકાળમાં એકપણું નથી. આવો પ્રગટ નયવિભાગ છે. આ હાલવા-ચાલવાની, બોલવાની ઇત્યાદિ ક્રિયા જડની છે. એને આત્મા કરી શક્તો નથી. જાણવું, જાણવું એમ જે ઉપયોગસ્વભાવ છે તે આત્મા


PDF/HTML Page 392 of 4199
single page version

છે. માટે વ્યવહારનયે જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે. ભગવાનનું સ્તવન કરતાં ભગવાન શરીરે સૂર્યના તેજથી પણ અધિક તેજવાળા છે ઇત્યાદિ શરીરદ્વારા જે સ્તવન કર્યું તે આત્માનું સ્તવન નથી, શરીરનું સ્તવન છે. તેથી વ્યવહારનયથી જ શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન કર્યું કહેવામાં આવે છે, પરમાર્થે એમ નથી.

* ગાથા ૨૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘વ્યવહારનય તો આત્મા અને શરીરને એક કહે છે અને નિશ્ચયનય ભિન્ન કહે છે. તેથી વ્યવહારનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન માનવામાં આવે છે. શરીર-માટી, ધૂળ, હાડકાં, ચામડાં વગેરેથી ભગવાન આનંદનો નાથ પ્રભુ ભિન્ન છે. આત્મા જાણનાર, જાણનાર સચ્ચિદાનંદ પ્રભુ-સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદનો કંદ પ્રભુ છે. એને કેમ બેસે? કદીય બહારથી નજર ફેરવીને અંદર જોવા નવરો થયો છે? જેમ તપેલામાં લાપસી રંધાતી હોય અને લાકડાં લીલાં હોય તેથી ધૂમાડો નીકળે. એ ધૂમાડામાં તપેલામાં લાપસી દેખાતી નથી. તેમ રાગની નજર કરનારને રાગની આડમાં રાગથી ભિન્ન ભગવાન ચિદાનંદ પ્રભુ દેખાતો નથી, અરે! પુણ્ય અને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ વિકારી ભાવને દેખનારો એ બધાથી જુદો છે એની અજ્ઞાનીને અનાદિકાળથી ખબર નથી. તેથી ભવભ્રમણ કરી રહ્યો છે.

[પ્રવચન નં. ૬૮ * દિનાંક ૬-૨-૭૬]





PDF/HTML Page 393 of 4199
single page version

इणमण्णं जीवादो देहं पोग्गलमयं थुणित्तु मुणी।
मण्णदि हु संथुदो वंदिदो मए केवली भयवं।। २८ ।।
इदमन्यत् जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः।
मन्यते खलु संस्तुतो वन्दितो मया केवली भगवान्।। २८ ।।

આ જ વાત હવેની ગાથામાં કહે છેઃ-

જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ
માને પ્રભુ કેવળીતણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.

ગાથાર્થઃ– [जीवात् अन्यत्] જીવથી ભિન્ન [इदम् पुद्गलमयं देहं] પુદ્ગલમય દેહની [स्तुत्वा] સ્તુતિ કરીને [मुनिः] સાધુ [मन्यते खलु] એમ માને છે કે [मया] મેં [केवली भगवान्] કેવળી ભગવાનની [स्तुतः] સ્તુતિ કરી, [वन्दितः] વંદના કરી.

ટીકાઃ– જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું ‘શ્વેત સુવર્ણ’ એવું નામ કહેવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે; તેવી રીતે, પરમાર્થથી શુકલ-રકતપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રકતપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર-કેવળીપુરુષનું ‘શુકલ-રકત તીર્થંકર-કેવળીપુરુષ’ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે. પરંતુ નિશ્ચયનયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.

ભાવાર્થઃ– અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહૃાો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? તેનો ઉત્તરઃ- વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહૃાો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાન્ત ભાવ થાય છે. આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે.


PDF/HTML Page 394 of 4199
single page version

એ જ ભાવ હવેની ગાથામાં કહે છેઃ-

* ગાથા ૨૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ, પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, ચાંદીનો ગુણ જે શ્વેતપણું, તેના નામથી સુવર્ણનું “શ્વેત સુવર્ણ” એવું નામ કહેવામાં આવે છે.’ જુઓ, જ્યારે સોનું અને ચાંદીને ગાળીને ગટ્ઠો કરે તો સોનાને “ધોળું સોનું” એમ કહેવામાં આવે છે. ત્યાં સોનું ધોળું નથી, સોનું તો પીળું જ છે. ધોળું તો રૂપું છે અને સોનું તો પીળાશ, ચીકાશ આદિથી અભિન્ન છે. છતાં ચાંદીના મેળાપથી ચાંદીનો ગુણ જે શ્વેતપણું છે એના નામથી સોનાને “શ્વેત સુવર્ણ” એમ વ્યવહારમાત્રથી જ કહેવામાં આવે છે, પરમાર્થે એમ નથી.

‘તેવી રીતે, પરમાર્થથી શુકલ-રક્તપણું તીર્થંકર-કેવળીપુરુષનો સ્વભાવ નહિ હોવા છતાં પણ, શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમના સ્તવનથી તીર્થંકર- કેવળીપુરુષનું “શુકલ-રક્ત તીર્થંકરકેવળીપુરુષ” એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહારમાત્રથી જ કરવામાં આવે છે.’ ભગવાન ધોળા અને ભગવાન રાતા એમ શ્વેત- રક્તપણું એ તીર્થંકર-કેવળીનો સ્વભાવ નથી. એ તો શરીરના ગુણ છે. આવે છે ને કે સોળ તીર્થંકર સોનાવર્ણે હતા, બે રાતા વર્ણે, બે ધોળા વર્ણે, બે નીલવર્ણે અને બે અંજનવર્ણે હતા. ભાઈ! એ તો બધી શરીરની વાતો છે આત્માની નહિ. એ તો વ્યવહારથી કહેવામાં આવી છે. જેમ ચોખાનો કોથળો હોય તેમાં ચોખા ચાર મણ હોય અને કોથળો અઢી શેર હોય તે ભેગો તોળાય, ચાર મણ અને અઢીશેર. હવે તેમાંથી ચોખા ખૂટે તો અઢી શેરનો કોથળો કાંઈ રાંધવામાં કામ આવે? (ન આવે). તેમ શરીર તો કોથળો છે અને અંદર ત્રિકાળી ભગવાન આનંદકંદ આત્મા એ ચોખા (સાર વસ્તુ) છે. એ બન્નેનું એકપણું ત્રણ કાળમાં નથી. એ એકપણું તો વ્યવહારમાત્રથી કહેવામાં આવે છે. પરંતુ શરીર અને આત્માનું એકપણું નહિ હોવાથી નિશ્ચય નયે શરીરનું સ્તવન કરવાથી આત્માનું સ્તવન બનતું જ નથી.

* ગાથાઃ ૨૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહારનય તો અસત્યાર્થ કહ્યો છે અને શરીર જડ છે તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે?’

‘તેનો ઉત્તરઃ-વ્યવહારનય સર્વથા અસત્યાર્થ નથી, નિશ્ચયને પ્રધાન કરી અસત્યાર્થ કહ્યો છે. વળી છદ્મસ્થને પોતાનો, પરનો આત્મા સાક્ષાત્ દેખાતો નથી, શરીર દેખાય છે, તેની શાંતરૂપ મુદ્રા દેખી પોતાને પણ શાંત ભાવ થાય છે.’ શું કહે છે? ભગવાનને અંદર નિર્મળ પરિણતિરૂપ કેવળજ્ઞાન પ્રગટયું છે, ણમો અરિહંતાણં-સર્વજ્ઞપદ પ્રગટયું


PDF/HTML Page 395 of 4199
single page version

છે અને પરમ વીતરાગતા થઈ છે. તેથી શરીરની મુદ્રા પણ શાંત-પરમશાંત દેખાય છે. એ મુદ્રાના નિમિત્તે જો એમ વિચારે કે ભગવાન ચૈતન્યમૂર્તિ જાણે શાંત-શાંત-શાંત અંદર સ્વરૂપમાં ઠરી ગયા છે અને એમ વિચારી પોતાના અંતરંગમાં જુએ તો ભગવાન એકલો ઠરી ગયેલો શાંત જણાય છે.

અહીં નિમિત્તથી કથન કર્યું છે. જો સર્વજ્ઞ પરમાત્માના સમોસરણમાં વીતરાગમુદ્રાને દેખી પોતે શાંત-શાંત થઈ જાય તો ભગવાનના શરીરને નિમિત્ત કહેવાય. બહેનશ્રીનાં વચનામૃતમાં આવે છે કે હે નાથ! શાંતરસના પરમાણુથી આપનું શરીર વિરાજે છે. અને ભગવાન આત્માનો અંદર વીતરાગસ્વભાવ પ્રગટ થઈ ગયો છે. શાંત- શાંત-શાંત શરીરના રજકણો પણ ઉપશમરસ જેવા શાંત દેખાય એને દેખીને જોનારો પણ જો એમ વિચારે કે પોતાનું અવિકારી સ્વરૂપ પણ આવું શાંત છે તો એને અંદરમાં શાન્તિ થાય. જો ત્યાં ને ત્યાં ઊભો રહે અને ભગવાનની શાંત મુદ્રા, શરીરની કાન્તિ ઇત્યાદિના વિકલ્પો જ કર્યા કરે તો પુણ્યબંધન થાય. (શાંતિરૂપ ધર્મ ન થાય.)

‘આવો ઉપકાર જાણી શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે; તથા શાન્ત મુદ્રા દેખી અંતરંગમાં વીતરાગ ભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે’ અંતરંગમાં નિશ્ચય થાય એની વાત છે. બાકી એકલી શાંત મુદ્રા એવી તો અનંત વાર કરી અને દેખી, અનંત વાર ભગવાનની મૂર્તિઓ દેખી અને પૂજા પણ અનંત વાર કરી, સમોસરણમાં અનંત વાર ગયો પણ ભગવાન આત્મા અંદર શાંત-શાંત-શાંત, રાગના વિકલ્પની અશાંતિથી ભિન્ન ઉપશમરસનો કંદ છે એમ અંતરંગમાં નિશ્ચય ન કર્યો. તેથી ભગવાનની મુદ્રા પણ નિમિત્ત થઈ ન કહેવાય.

જેમ સક્કરકંદની ઉપરની લાલ છાલ ન જુઓ તો અંદર આખો સક્કર એટલે સાકર નામ મીઠાશનો સફેદ પિંડ પડયો છે, તેમ પુણ્ય-પાપના વિકલ્પની છાલ વિનાનો શાંતરસથી ભરેલો ચૈતન્યપિંડ અંદર પડેલો છે એમ ભગવાનની શાંત મુદ્રા દેખીને અંદર નિશ્ચય કરે તો ઉપકાર (નિમિત્ત) છે. પણ એને આવી નવરાશ કયાં છે? તેથી તો ચાર ગતિમાં અનાદિથી રખડપટ્ટી કરી રહ્યો છે. સમયસાર નાટકમાં બનારસીદાસે કહ્યું છે કેઃ-

“જિનવર્નન કછુ ઔર હૈ, યહ જિનર્વનન નાંહિ.”

આ શરીરનું વર્ણન એ જિનવર્ણન નથી. અંદર વીતરાગમૂર્તિ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા ચૈતન્યસ્વરૂપ વિરાજે છે એ જિન છે. એનું વર્ણન જિનવર્ણન કોઈ જુદી ચીજ છે. એનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું એ સમ્યગ્દર્શન આદિ ધર્મ છે. અન્યથા શરીરાદિના વર્ણનમાં રોકાઈ જાય તો પુણ્યબંધ થાય એ જ.

[પ્રવચન નં. ૬૮ ચાલુ * દિનાંક ૬-૨-૭૬]


PDF/HTML Page 396 of 4199
single page version

तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो।
केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि।। २९ ।।
तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः।
केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति।। २९ ।।

ઉપરની વાતને ગાથાથી કહે છેઃ-

પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.

ગાથાર્થઃ– [तत्] તે સ્તવન [निश्चये] નિશ્ચયમાં [न युज्यते] યોગ્ય નથી [हि] કારણ કે [शरीरगुणाः] શરીરના ગુણો [केवलिनः] કેવળીના [न भवन्ति] નથી; [यः] જે [केवलिगुणान्] કેવળીના ગુણોની [स्तौति] સ્તુતિ કરે છે [सः] તે [तत्त्वं] પરમાર્થથી [केवलिनं] કેવળીની [स्तौति] સ્તુતિ કરે છે.

ટીકાઃ– જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા- પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુકલ- રકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.

હવે ઉપરની વાતને સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૨૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છેઃ-જુઓ, ધોળું સોનું એમ કહેવાય છે પણ સોનું સફેદ નથી. સોનામાં તો સફેદપણાનો અભાવ છે. તેથી સુવર્ણના ગુણ જે પીળાશ આદિ છે તે વડે જ સુવર્ણનું નામ થાય છે. આમ અસ્તિ-નાસ્તિ કર્યું.


PDF/HTML Page 397 of 4199
single page version

‘તેવી રીતે શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમનો તીર્થંકર- કેવળીપુરુષમાં અભાવ છે.’ જુઓ, ભગવાન રાતા છે, ધોળા છે એમ જે રાતો, ધોળો, પીળો રંગ છે એ કાંઈ ભગવાનના આત્મામાં નથી. ‘માટે નિશ્ચયથી શરીરના શુકલ- રક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.’ ગુણોનું સ્તવન (આગળ) લેશે. ભગવાનના ગુણો એટલે જ્ઞાયકસ્વરૂપ પોતાના જ ગુણો એ રીતે (આગળ લેશે).

[પ્રવચન નં. ૬૯ * દિનાંક ૭-૨-૭૬]

PDF/HTML Page 398 of 4199
single page version

णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि।
देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होंति।। ३० ।।
नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति।
देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति।। ३० ।।
(आर्या)
प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।।

હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છેઃ-

વર્ણન કર્યે નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.

ગાથાર્થઃ– [यथा] જેમ [नगरे] નગરનું [वर्णिते अपि] વર્ણન કરતાં છતાં [राज्ञः वर्णना] રાજાનું વર્ણન [न कृता भवति] કરાતું (થતું) નથી, તેમ [देहगुणे स्तूयमाने] દેહના ગુણનું સ્તવન કરતાં [केवलिगुणाः] કેવળીના ગુણોનું [स्तुताः न भवन्ति] સ્તવન થતું નથી.

ટીકાઃ– ઉપરના અર્થનું (ટીકામાં) કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इदं नगरम् हि] આ નગર એવું છે કે જેણે [प्राकार–कवलित– अम्बरम्] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [उपवन– राजी–निगीर्ण–भूमितलम्] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [परिखावलयेन पातालम् पिबति इव] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). રપ.


PDF/HTML Page 399 of 4199
single page version

(आर्या)
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति।। २६ ।।

____________________________________________________________

આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઇ-આદિવાળો રાજા નથી.

તેવી રીતે શરીરનું સ્તવન કર્યે તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [जिनेन्द्ररूपं परं जयति] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [नित्यम्–अविकार–सुस्थित–सर्वाङ्गम्] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, [अपूर्व–सहज–लावण्यम्] જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [समुद्रं इव अक्षोभम्] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ર૬.

આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.

* ગાથા ૩૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

ઉપરના (ગાથામાં કહેલા) અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

इदं नगरम् हि આ નગર એવું છે કે જેણે प्राकारकवलिताम्बरम् કોટ વડે આકાશને ગ્રસ્યું છે. એટલે કે એનો કોટ એટલો બધો ઊંચો છે કે જાણે આકાશને આંબતો હોય; उपवनराजीनिगीर्णभूमितलम् તથા બગીચાઓની પંક્તિઓથી જાણે ભૂમિતળને ગળી ગયું હોય (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી ભૂમિ ઢંકાઈ ગઈ છે); અને परिखावलयेन पातालम् पिबति इव કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). જુઓ, જેના ભૂમિતળ ઉપર બગીચા પથરાએલા છે, કોટ જાણે આકાશમાં વ્યાપી રહ્યો છે અને ખાઈ જાણે પાતાળ સુધી ઊંડી ગઈ છે-‘આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી. કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ કોટ-બાગ-ખાઈ આદિવાળો રાજા નથી.’

તેવી રીતે શરીરનું સ્તવન કર્યે તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ કળશરૂપ શ્લોક કહે છેઃ-


PDF/HTML Page 400 of 4199
single page version

* કળશ ૨૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

जिनेन्द्ररूपं परं जयति જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? नित्यम् अविकारसुस्थितसर्वागम् જેમાં સર્વ અંગ હમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, જેમાં अपूर्वसहजलावण्यम् (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે); समुद्रम् इव अक्षोभम् અને જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. જુઓ, ભગવાનનું શરીર એવું હોય છે કે સૂર્યથી પણ વધારે પ્રકાશવાળું હોય છે સુંદરતા (નમણાઈ) બહુ હોય છે. દરેક અવયવની પ્રકૃતિ એવી બંધાયેલી છે કે જેથી શરીરની સુંદરતા-નમણાઈ શ્રેષ્ઠ હોય છે. સઘળા અંગો નિર્વિકાર અને પ્રમાણસર હોય છે. વળી તે સમુદ્રની જેમ શાંત-શાંત નિશ્ચલ હોય છે.

આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી. કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે. જેમ નગરના વર્ણનમાં રાજાનું વર્ણન આવતું નથી તેમ શરીરના વર્ણનમાં આત્માનું વર્ણન આવતું નથી.

[પ્રવચન નં ૬૯ ચાલુ * દિનાંક ૭-૨-૭૬]