Padmapuran (Gujarati). Parva 6 - Vanarvanshioni Utpati.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 4 of 35

 

Page 40 of 660
PDF/HTML Page 61 of 681
single page version

background image
૪૦ પાંચમું પર્વ પદ્મપુરાણ
કાય, પરાક્રમ, ઘટતાં ગયાં હતાં. જગતમાં કામ, લોભાદિની પ્રવૃત્તિ વધતી ગઈ હતી. પછી
ઈક્ષ્વાકુ કુળમાં ઋષભદેવના જ વંશમાં અયોધ્યા નગરમાં રાજા ધરણીધર થયા. તેનો પુત્ર
ત્રિદશજય દેવોને જીતનાર હતો, તેની ઇન્દ્રરેખા રાણીને જિતશત્રુ નામે પુત્ર થયો. તે
પોદનપુરના રાજા ભવ્યાનંદની રાણી અંભોદમાળાની પુત્રી વિજયાને પરણ્યો. જિતશત્રુને
રાજ્ય આપીને રાજા ત્રિદશજય કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. રાજા જિતશત્રુની
રાણી વિજયાદેવીની કૂખે અજિતનાથ તીર્થંકર જન્મ્યા. તેમના જન્માભિષેકનું વર્ણન
ઋષભદેવવત્ જાણવું. તેમનો જન્મ થતાં જ રાજા જિતશત્રુએ સર્વ રાજાઓને જીતી લીધા
તેથી ભગવાનનું નામ અજિતનાથ પાડવામાં આવ્યું. અજિતનાથને સુનયા, નન્દા આદિ
અનેક રાણીઓ થઈ. તેમના રૂપની સમાનતા ઇન્દ્રાણી પણ કરી શકતી નહિ. એક દિવસ
ભગવાન અજિતનાથે રાજલોક સહિત પ્રભાતના સમયમાં વનક્રીડા કરી. ત્યાં કમળોનું
ખીલેલું વન અને સૂર્યાસ્ત સમયે તે જ વનને સંકોચાઈ ગયેલું જોઈને, લક્ષ્મીની
અનિત્યતા જાણીને પરમ વૈરાગ્ય પામ્યા. માતાપિતાદિ સર્વ કુટુંબ પ્રત્યે ક્ષમાભાવ કરાવીને
ઋષભદેવની પેઠે જ તેમણે દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે દશ હજાર રાજા નીકળ્‌યા.
ભગવાને બે ઉપવાસની પ્રતિજ્ઞા કરી. બ્રહ્મદત્ત રાજાને ઘેર પારણાના દિવસે આહાર લીધો.
તેમણે ચૌદ વર્ષ સુધી તપ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. તેમને ચોત્રીસ અતિશય અને
આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. ભગવાનને નેવું ગણધર હતા, એક લાખ મુનિ હતા.
અજિતનાથના કાકા વિજયસાગર, જેમની જ્યોતિ સૂર્ય સમાન છે. તેમની રાણી
સુમંગલાએ સગર નામના બીજા ચક્રવર્તી પુત્રને જન્મ આપ્યો. તેમને પણ નવનિધિ, ચૌદ
રત્ન આદિ વિભૂતિ ભરત ચક્રવર્તી જેટલી જ હતી. તેમના સમયમાં એક ઘટના બની, તે હે
શ્રેણિક! તું સાંભળ. ભરત ક્ષેત્રના વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં ચક્રવાલ નામે નગર હતું.
ત્યાં વિદ્યાધરોનો અદ્યિપતિ રાજા પૂર્ણધન મહાપ્રભાવમંડિત, વિદ્યાબળની અધિકતાવાળો
રાજ્ય કરતો. તેણે વિહાયતિલક નગરના રાજા સુલોચનની કન્યા ઉત્પલમતીની માગણી
કરી. રાજા સુલોચને નિમિત્તજ્ઞાનીના કહેવાથી તેને ન આપી અને સગર ચક્રવર્તીને
આપવાનો વિચાર કર્યો. આથી પૂર્ણધન રાજા સુલોચન ઉપર ચડી આવ્યો. સુલોચનનો પુત્ર
સહસ્ત્રનયન પોતાની બહેનને લઈને ભાગ્યો અને વનમાં છુપાઈ ગયો. પૂર્ણધન યુદ્ધમાં
સુલોચનને મારીને નગરમાં જઈ કન્યાની શોધ કરવા લાગ્યો પરંતુ તેને મળી નહિ. એટલે
તે પોતાના નગરમાં ચાલ્યો ગયો. સહસ્ત્રનયન નિર્બળ હતો એટલે તે પોતાના પિતાના
વધની વાત સાંભળી પૂર્ણધન ઉપર ગુસ્સે તો થયો, પણ કાંઈ કરી ન શક્યો. તે
ગહનવનમાં ઘુમી રહ્યો. તે વન સિંહ, વાઘ, અષ્ટાપદાદિથી ભરેલું હતું. પછી ચક્રવર્તી એક
માયામયી અશ્વ લઈને ઊડયા અને જે વનમાં સહસ્ત્રનયન હતો ત્યાં આવ્યા. ઉત્પલમતીએ
ચક્રવર્તીને જોઈને ભાઈને કહ્યું કે ચક્રવર્તી પોતે જ અહીં પધાર્યા છે. તેથી ભાઈએ પ્રસન્ન
થઈને ચક્રવર્તી સાથે પોતાની બહેન પરણાવી. આ ઉત્પલમતી ચક્રવર્તીની પટરાણી સ્ત્રીરત્ન
થઈ. ચક્રવર્તીએ કૃપા કરીને સહસ્ત્રનયનને બન્ને શ્રેણીનો અધિપતિ બનાવ્યો. પછી

Page 41 of 660
PDF/HTML Page 62 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૧
સહસ્ત્રનયને પૂર્ણધન ઉપર ચડાઈ કરી, યુદ્ધમાં પૂર્ણધનને માર્યો અને બાપની હત્યાનું વેર
લીધું. ચક્રવર્તી છ ખંડ પૃથ્વીનું રાજ કરતા હતા અને ચક્રવર્તીનો સાળો સહસ્ત્રનયન
વિદ્યાધરની બન્ને શ્રેણીનું રાજ્ય કરતો હતો. પૂર્ણધનનો પુત્ર મેઘવાહન ભયથી ભાગ્યો.
સહસ્ત્રનયનના યોદ્ધા મારવા માટે પાછળ દોડયા એટલે મેઘવાહન સમોસરણમાં શ્રી
અજિતનાથને શરણે આવ્યો. ઇન્દ્રે ભયનું કારણ પૂછયું, ત્યારે મેઘવાહને કહ્યું કે મારા
પિતાએ સુલોચનને માર્યો હતો અને સુલોચનના પુત્ર સહસ્ત્રનયને ચક્રવર્તીનો સાથ લઈ
મારા પિતાને માર્યા અને અમારાં સગાઓનો નાશ કર્યો અને મને મારવાનો પ્રયત્ન કરે
છે તેથી હું ઘેરથી હંસોની સાથે ઊડીને શ્રી ભગવાનના શરણમાં આવ્યો છું. આમ કહીને
મનુષ્યોના કોઠામાં બેઠો. સહસ્ત્રનયનના યોદ્ધા તેને મારવા માટે આવ્યા હતા તે એને
સમોસરણમાં આવેલો જાણીને પાછા ગયા અને સહસ્ત્રનયનને બધી હકીકત જણાવી.
એટલે એ પણ સમોસરણમાં આવ્યો. ભગવાનના ચરણારવિંદના પ્રસાદથી બન્ને નિર્વૈર
થઈને બેઠા. તે વખતે ગણધરે ભગવાનને એના પિતાનું ચરિત્ર જણાવવા પૂછયું. ભગવાને
કહ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સદ્ગતિ નામનું નગર છે. ત્યાં ભાવન નામનો એક
વેપારી રહેતો હતો. તેને આતકી નામની સ્ત્રી અને હરિદાસ નામનો પુત્ર હતો. તે ભાવન
ચાર કરોડ દ્રવ્યનો સ્વામી હતો તોપણ લોભથી વ્યાપારના હેતુએ પરદેશમાં ગયો. તેણે
જતી વખતે પુત્રને બધું ધન આપ્યું અને જુગાર વગેરે વ્યસન ન સેવવાની શિખામણ
આપી. તેણે કહ્યું કે “હૈ, પુત્ર આ દ્યૂતાદિ કુવ્યસન બધા દોષનું કારણ છે, એનો સર્વથા
ત્યાગ કરવો,” એ પ્રકારની શિખામણ આપીને પોતે ધનતૃષ્ણાને કારણે જહાજ દ્વારા બીજા
દ્વીપમાં ગયો. પિતાના ગયા પછી પુત્રે બધું ધન વેશ્યા, જુગાર, મદ્યપાન ઈત્યાદિ
કુવ્યસનમાં ગુમાવી દીધું. જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું અને પોતે જુગારીનો દેણદાર
થઈ ગયો ત્યારે તે દ્રવ્ય મેળવવા સુરંગ બનાવીને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. હવે
તે રાજાના મહેલમાંથી દ્રવ્ય લાવતો અને કુવ્યસન સેવતો. કેટલાક દિવસો પછી ભાવન
પરદેશથી પાછો આવ્યો અને ઘરમાં પુત્રને ન જોયો. તેણે પોતાની સ્ત્રીને પૂછયું એટલે
સ્ત્રીએ જવાબ આપ્યો કે આ સુરંગમાં થઈને રાજાના મહેલમાં ચોરી કરવા ગયો છે.
આથી પિતાને પુત્રના મરણની આશંકા થવાથી તેને લાવવા માટે સુરંગમાં પેઠો. હવે આનું
જવું અને પુત્રનું સામેથી આવવું. એને જોઈને પુત્રે જાણ્યું કે આ કોઈ વેરી આવે છે
એટલે તેણે વેરી જાણીને તેને ખડ્ગથી મારી નાખ્યો. પછી અડકતાં ખબર પડી કે આ તો
મારા પિતા છે એટલે ખૂબ દુઃખી થઈને ડરીને ભાગ્યો અને અનેક દેશોમાં ભ્રમણ કરતો
મરણ પામ્યો. તે પિતા-પુત્ર બન્ને કૂતરા થયા, પછી બિલાડા, પછી શિયાળ, પછી રીંછ,
પછી નોળિયા, પછી પાડા, પછી બળદ થયા. આટલા જન્મોમાં પરસ્પર ઘાત કરીને મર્યા.
પછી વિદેહક્ષેત્રમાં પુષ્કલવતી દેશમાં મનુષ્ય થયા. ત્યાંથી ઉગ્ર તપ કરીને અગિયારમાં
સ્વર્ગમાં ઉત્તર અનુત્તર નામના દેવ થયા. ત્યાંથી આવીને જે ભાવન નામનો પિતા હતો
તે પૂર્ણમેઘ વિદ્યાધર થયો અને હરિદાસ નામનો પુત્ર હતો તે સુલોચન નામનો વિદ્યાધર
થયો. આ વેરથી જ પૂર્ણધને સુલોચનને માર્યો.

Page 42 of 660
PDF/HTML Page 63 of 681
single page version

background image
૪૨ પાંચમું પર્વ પદ્મપુરાણ
ગણધરદેવે સહસ્ત્રનયન અને મેઘવાહનને કહ્યું કે તમે પોતાના પિતાનું આ
પ્રકારનું ચરિત્ર જાણીને, સંસારનું વેર છોડી સમતાભાવ ધારણ કરો. ત્યારે સગર
ચક્રવર્તીએ ગણધરદેવને પૂછયું કે હે મહારાજ! મેઘવાહન અને સહસ્ત્રનયનને વેર કેમ
થયું? તે વખતે ભગવાનની દિવ્ય ધ્વનિમાં એમ આવ્યું કે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પદ્મક
નામનું નગર છે ત્યાં આરંભ નામનો અંક ગણિતશાસ્ત્રનો પાઠી મહાધનવાન રહેતો હતો.
તેને બે શિષ્ય હતા. એક ચન્દ્ર, બીજો આવલી. આ બન્ને વચ્ચે મૈત્રી હતી. બન્ને
ધનવાન, ગુણવાન, વિખ્યાત હતા. એમના ગુરુ આરંભે કે જે અનેક નીતિઓમાં અતિ
વિચક્ષણ હતા તેમણે મનમાં વિચાર્યું કે કદાચ આ બન્ને મારું પદ લઈ લેશે. આમ જાણીને
એ બન્નેનાં ચિત્ત જુદાં કરી નાખ્યાં. એક દિવસ ચન્દ્ર ગાય વેચવા માટે ગોપાળને ઘેર
ગયો, તે ગાય વેચીને ઘેર આવતો હતો અને આવલીને તે જ ગાય ગોવાળિયા પાસેથી
ખરીદીને લાવતો જોયો. આથી ચન્દ્રે આવલીને માર્ગમાં મારી નાખ્યો. તે મ્લેચ્છ થયો અને
ચન્દ્ર મરીને બળદ થયો. તે મ્લેચ્છે બળદને મારીને ખાધો. મ્લેચ્છ નરક, તિર્યંચ યોનિમાં
ભ્રમણ કરીને ઉંદર થયો ને ચન્દ્રનો જીવ બિલાડી થયો. બિલાડી ઉંદરને ખાઈ ગઈ. આમ,
બન્ને પાપકર્મના યોગથી અનેક યોનિઓમાં ભ્રમણ કરીને કાશીમાં સંભ્રમદેવની દાસીના
પુત્ર બેય ભાઈ થયા. એકનું નામ કૂટ અને બીજાનું નામ કાર્પાટિક. આ બન્નેને સંભ્રમદેવે
ચૈત્યાલયની ટહેલ કરવા મોકલ્યા. તે મરીને પુણ્યના યોગથી રૂપાનંદ અને સ્વરૂપાનંદ
નામના વ્યંતરદેવ થયા. રૂપાનંદ ચન્દ્રનો જીવ હતો અને સ્વરૂપાનંદ આવલીનો જીવ હતો.
પછી રૂપાનંદ ચ્યવીને કંલૂબીનો પુત્ર કુલંધર થયો અને સ્વરૂપાનંદ પુરોહિતનો પુત્ર
પુષ્પભૂત થયો. આ બન્ને પરસ્પરના મિત્ર એક સ્ત્રીને માટે વેરી બન્યા. કુલંધર
પુષ્પભૂતને મારવા દોડયો. ત્યાં એક વૃક્ષની નીચે સાધુ વિરાજતા હતા. તેમની પાસેથી
ધર્મનું શ્રવણ કરી કુલંધર શાંત થયો. રાજાએ એને સામંત જાણીને ખૂબ ઊંચે ચડાવ્યો.
પૂષ્પભૂત કુલંધરને જૈનધર્મના પ્રસાદથી સંપત્તિવાન થયેલો જોઈને જૈની થયો અને વ્રત
ધારણ કરી ત્રીજા સ્વર્ગમાં ગયો. કુલંધર પણ મરીને ત્રીજા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાંથી
ચ્યવીને બન્ને ધાતકી ખંડના વિદેહક્ષેત્રમાં અરિજય પિતા અને જયાવતી માતાના પુત્ર
થયા. એકનું નામ અમરશ્રુત, બીજાનું નામ ધનશ્રુત. આ બન્ને ભાઈ મહાન યોદ્ધા હતા.
તે હજાર સેનાના નાયક જગપ્રસિદ્ધ થયા. એક દિવસ રાજા હજાર સૂંઢોવાળા હાથીને
પકડવા વનમાં ગયો. આ બન્ને ભાઈ પણ સાથે ગયા. વનમાં ભગવાન કેવળી બિરાજતા
હતા. તેમના પ્રતાપથી સિંહ, હરણાદિ જાતિવિરોધી જીવોને એક જગ્યાએ બેઠેલા જોઈને
રાજા આશ્ચર્ય પામ્યો. આગળ વધીને કેવળીના દર્શન કર્યા. રાજા તો મુનિ થઈ નિર્વાણ
પામ્યા અને આ બન્ને ભાઈ મુનિ થઈ અગિયારમાં સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને
ચન્દ્રનો જીવ અમરશ્રુત તો મેઘવાહન થયો અને આવલીનો જીવ ધનશ્રુત સહસ્ત્રનયન
થયો. આ બન્નેના વેરનું વૃત્તાન્ત છે. હવે સગર ચક્રવર્તીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો!
સહસ્ત્રનયનથી મારું જે અતિહિત થયું તો એમાં શું કારણ છે? ત્યારે ભગવાને કહ્યું કે
આરંભ નામનો ગણિતશાસ્ત્રનો પાઠી મુનિને આહારદાન દઈને

Page 43 of 660
PDF/HTML Page 64 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૩
દેવકુરુ ભોગભૂમિમાં ગયો. ત્યાંથી પ્રથમ સ્વર્ગમાં દેવ થઈ પછી ચન્દ્રપુરમાં રાજા હરિ
અને રાણી ધરાદેવીનો પ્યારો પુત્ર વ્રતકીર્તન થયો અને મુનિપદ ધારણ કરી સ્વર્ગે ગયો
અને પાછો વિદેહક્ષેત્રમાં રત્નસંચયપુરમાં મહાઘોષ પિતા, ચન્દ્રાણી માતાનો પ્રયોબ્રલ
નામનો પુત્ર થઈ, મુનિવ્રત ધારી ચૌદમા સ્વર્ગમાં ગયો. ત્યાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં
પૃથ્વીપુર નગરમાં યશોધર રાજા અને રાણી જયાને ઘેર જયકીર્તન નામનો પુત્ર થયો. તે
પિતાની પાસે જિનદિક્ષા લઈ, વિજય વિમાનમાં ગયો. ત્યાંથી ચ્યવીને તું સગર ચક્રવર્તી
થયો. આવલીના ભવમાં આવલી શિષ્ય પ્રત્યે તારો સ્નેહ હતો તેથી અત્યારે આવલીના
જીવ સહસ્ત્રનયન પ્રત્યે તારો અધિક સ્નેહ છે. આ કથા સાંભળી ચક્રવર્તીને વિશેષ ધર્મની
રુચિ થઈ અને મેઘવાહન તથા સહસ્ત્રનયન બન્ને પોતાના પિતાના અને પોતાના
પૂર્વભવ સાંભળીને નિર્વૈર થયા, પરસ્પર મિત્ર થયા અને તેમને ધર્મમાં ખૂબ રુચિ થઈ.
બન્નેને પૂર્વભવ યાદ આવ્યા, મહાશ્રદ્ધાવાન બનીને બન્ને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા
કે હે નાથ! આપ અનાથના નાથ છો, આ સંસારનાં પ્રાણી મહાદુઃખી છે, તેમને ધર્મનો
ઉપદેશ આપીને ઉપકાર કરો છો. આપને કોઈની સાથે કાંઈ પ્રયોજન નથી, આપ જગતના
નિષ્કારણ બંધુ છો, આપનું રૂપ ઉપમારહિત છે, આપ અપ્રમાણ બળના ધારી છો, આ
જગતમાં આપના સમાન બીજું કોઈ નથી. આપ પૂર્ણ પરમાનંદ છો, કૃતકૃત્ય છો, સદા
સર્વદર્શી અને સર્વના વલ્લભ છો, કોઈના ચિંતવનમાં આવતા નથી, જેમણે સર્વ પદાર્થોને
જાણી લીધા છે એવા સર્વના અંતર્યામી, સર્વ જગતના હિતકર છો, હે જિનેન્દ્ર! સંસારરૂપી
અંધકૂપમાં પડેલાં આ પ્રાણીઓને ધર્મોપદેશરૂપ હસ્તાવલંબન જ છો. ઈત્યાદિ ઘણી સ્તુતિ
કરી. એ બન્ને મેઘવાહન અને સહસ્ત્રનયન ગદગદ વાણીથી, આંસુથી ભીંજાયેલ નેત્રોથી
પરમ હર્ષ પામ્યા અને વિધિપૂર્વક નમસ્કાર કરીને બેઠા. સિંહવીર્યાદિક મુનિ, ઇન્દ્રાદિક, દેવ,
સગર આદિ રાજા સર્વ પરમ આશ્ચર્ય પામ્યા.
પછી ભગવાનના સમોસરણમાં રાક્ષસોના ઇન્દ્ર ભીમ અને સુભીમ મેઘવાહન પ્રત્યે
પ્રસન્ન થઈને કહેવા લાગ્યા કે હે વિદ્યાધરના પુત્ર મેઘવાહન! તને ધન્ય છે કે તું
ભગવાન અજિતનાથના શરણમાં આવ્યો. અમે તારા ઉપર અત્યંત પ્રસન્ન થયા છીએ.
અમે તને તારી સ્થિરતાનું કારણ બતાવીએ છીએ તે તું સાંભળ. આ લવણસમુદ્રમાં
અત્યંત વિષમ મહારમણીય હજારો અંતર્દ્વીપ છે. લવણસમુદ્રમાં મગરમચ્છાદિકના સમૂહ રમે
છે, તે અંતર્દ્વીપમાં ક્યાંક તો ગંધર્વ ક્રીડા કરે છે, ક્યાંક કિન્નરોના સમૂહ રમે છે, ક્યાંક
યક્ષોના સમૂહ કોલાહલ કરે છે, ક્યાંક કિંપુરુષ જાતિના દેવ કેલિ કરે છે. એમની વચ્ચે
એક રાક્ષસદ્વીપ છે. તે સાતમો યોજન પહોળો અને સાતસો યોજન લાંબો છે. તેની વચ્ચે
ત્રિકૂટાચલ પર્વત છે, તેની અંદર પ્રવેશવું ઘણું મુશ્કેલ છે, શરણનું સ્થળ છે. પર્વતનાં
શિખરો સુમેરુનાં શિખર સમાન મનોહર છે. પર્વત નવ યોજન ઊંચો, પચાસ યોજન
પહોળો છે, વિવિધ પ્રકારનાં રત્નોની જ્યોતિથી મંડિત છે, તેના તટ સુવર્ણમય છે.
જાતજાતની વેલોથી વીંટળાયેલાં કલ્પવૃક્ષોથી પૂર્ણ છે. તેની તળેટીમાં

Page 44 of 660
PDF/HTML Page 65 of 681
single page version

background image
૪૪ પાંચમું પર્વ પદ્મપુરાણ
ત્રીસ યોજન પ્રમાણ લંકા નામની નગરી છે. જે રત્ન અને સુર્વણના મહેલથી અત્યંત
શોભે છે, ત્યાં મનોહર ઉદ્યાનો છે, કમળોથી શોભતાં સરોવરો છે, મોટાં મોટાં ચૈત્યાલયો
છે. તે નગરી ઇન્દ્રપુરી સમાન છે અને દક્ષિણ દિશાની શોભા છે. હે વિદ્યાધર! તું સમસ્ત
બાંધવો સહિત ત્યાં વસીને સુખેથી રહે. આમ કહીને ભીમે-રાક્ષસોના ઇન્દ્રે તેને રત્નમયથી
હાર આપ્યો. તે હાર પોતાનાં કિરણોથી અત્યંત ઉદ્યોત ફેલાવે છે અને રાક્ષસોનો ઇન્દ્ર
મેઘવાહનનો જન્માન્તરમાં પિતા હતો તેથી સ્નેહથી હાર આપ્યો અને રાક્ષસદ્વીપ આપ્યો
તથા ધરતીની વચ્ચે પાતાલ લંકા, જેમાં છ યોજન ઊંડું અને એકસો સાડી એકવીસ
યોજન અને દોઢ કળા પહોળું એવું અલંકારોદય નામનું નગર છે તે પણ આપ્યું. તે
નગરમાં શત્રુઓનું મન પણ પ્રવેશી શકે તેમ નથી, જે સ્વર્ગ સમાન મનોહર છે.
રાક્ષસોના ઇન્દ્રે કહ્યું, “કદાચ તને દુશ્મનોનો ભય લાગતો હોય તો આ પાતાળલંકામાં
સકળ વંશવારસો સાથે સુખેથી રહે. લંકા રાજધાની અને પાતાળલંકા ભયનિવારણનું
સ્થાન છે.” આ પ્રમાણે ભીમ સુભીમે પૂર્ણધનના પુત્ર મેઘવાહનને કહ્યું.
આથી મેઘવાહન અત્યંત હર્ષ પામ્યો. ભગવાનને નમસ્કાર કરીને તે ઊભો થયો
એટલે રાક્ષસોના ઇન્દ્રે તેને રાક્ષસવિદ્યા પાતી તે લઈને આકાશમાર્ગે વિમાનમાં ચડી લંકા
ગયો. જ્યારે સર્વ ભાઈઓએ સાંભળ્‌યું કે મેઘવાહનને રાક્ષસોના ઇન્દ્રે અતિપ્રસન્ન થઈને
લંકા આપી છે એટલે સમસ્ત બંધુવર્ગનાં મન પ્રફુલિત થયાં. જેમ સૂર્યના ઉદયથી સમસ્ત
કમળો પ્રફુલ્લિત થાય છે તેમ બધા જ વિધાધર મેઘવાહન પાસે આવ્યા. તેમનાથી શોભતો
મેઘવાહન ચાલ્યો. કેટલાક રાજા આગળ ચાલતા હતા. કેટલાક પાછળ, કેટલાક જમણી
બાજુએ, કેટલાક ડાબી બાજુએ, કેટલાક હાથી ઉપર ચડીને, કેટલાક ઘોડા ઉપર બેસીને
અને કેટલાક રથમાં બેસીને જતા હતા. કેટલાક પાલખીમાં બેસીને અને કેટલાક પગે
ચાલતા ગયા. જય જયકારના શબ્દો થઈ રહ્યા છે, દંદુભિ વાજાં વાગે છે, રાજા ઉપર છત્ર
રાખ્યું છે, ચમર ઢોળાય છે, અનેક ધ્વજ આગળ ચાલે છે, અનેક વિદ્યાધર મસ્તક નમાવે
છે. આ પ્રમાણે રાજા ચાલતા ચાલતા લવણસમુદ્ર પાસે આવ્યા. તે સમુદ્ર આકાશ સમાન
વિસ્તીર્ણ, પાતાલ સમાન ઊંડો અને તમાલવન સમાન શ્યામ છે, તરંગોના સમૂહથી
ભરેલો છે, અનેક મગરમચ્છ જેમાં કલ્લોલ કરે છે તે સમુદ્ર જોઈને રાજા હર્ષિત થયો.
પર્વતના અધોભાગમાં કોટ, દરવાજા અને ખાઈઓથી સંયુક્ત લંકા નામની મહાપુરી છે
ત્યાં પ્રવેશ કર્યો. લંકાપુરીમાં રત્નોની જ્યોતિથી આકાશ સંધ્યાસમાન લાલ થઈ રહ્યું છે,
મોગરાનાં ફૂલ જેવાં ઉજ્જવળ ઊંચા ભગવાનનાં ચૈત્યાલયોથી ભરેલી નગરી શોભે છે,
ચૈત્યાલયો ઉપર ધજા લહેરાઈ રહી છે. ચૈત્યાલયોની વંદના કરી રાજાએ મહેલમાં પ્રવેશ
કર્યો અને બીજાં પણ ધરોમાં રહેલાં રત્નોની શોભાથી તેનું મન અને નેત્ર પ્રસન્ન થયાં.
ત્યારપછી કિન્નરગીતા નામના નગરમાં રાજા રતિમયૂખ અને રાણી અનુમતીની
સુપ્રભા નામની કન્યા, નેત્ર અને મનને, ચોરનારી, કામનું નિવાસ, લક્ષ્મીરૂપ, કુમુદિનીને
પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમાની ચાંદની સમાન, લાવણ્યરૂપ જળની સરોવરી, આભૂષણોનું
આભૂષણ. ઈન્દ્રિયોને

Page 45 of 660
PDF/HTML Page 66 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૪પ
પ્રમોદ કરનારી હતી તે રાજા મેઘવાહનને મહાઉત્સાહથી પરણી. તેને મહારક્ષ નામનો પુત્ર
થયો. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત રહે છે તેમ રાજા મેઘવાહને રાણી સુપ્રભા સહિત
લંકામાં ઘણો કાળ રાજ કર્યું.
એક દિવસ મેઘવાહન ભગવાન અજિતનાથની વંદના માટે સમોસરણમાં ગયો.
ત્યાં બીજી વાતો પૂરી થઈ ત્યારે સગરે ભગવાનને નમસ્કાર કરી પૂછયું કે હે પ્રભો! આ
અવસર્પિણી કાળમાં ધર્મચક્રના સ્વામી આપના જેવા જિનેશ્વરો કેટલા થયા અને કેટલા
થશે? આપ ત્રણે લોકને સુખ આપનાર છો, આપના જેવા પુરુષોનો જન્મ લોકમાં
આશ્ચર્યકારી છે. એ ઉપરાંત ચક્રરત્નના સ્વામી તથા વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળભદ્ર કેટલા
થશે? આમ સગરે પ્રશ્ન કર્યો. તે વખતે ભગવાને દિવ્ય ધ્વનિથી વ્યાખ્યાન કર્યું. તે વખતે
ભગવાનના હોઠ હાલ્યા નહિ, એ મહાન આશ્ચર્ય હતું. દિવ્ય ધ્વનિ સાંભળી શ્રોતાઓના
કાનમાં ઉત્સાહ જાગ્યો. ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રત્યેક કાળમાં ચોવીસ તીર્થંકર હોય છે.
જ્યારે મોહરૂપ અંધકારથી સમસ્ત જગત આચ્છાદિત થયું હતું તે વખતે ધર્મનો વિચાર
નહોતો અને બીજા કોઈ રાજા નહોતા તે વખતે ભગવાન ઋષભદેવ જન્મ્યા. તેમણે
કર્મભૂમિની રચના કરી ત્યારથી કૃતયુગ કહેવાયો. ભગવાને ક્રિયાના ભેદથી ત્રણ વર્ણ
સ્થાપ્યા અને એમના પુત્ર ભરતે વિપ્ર વર્ગની સ્થાપના કરી. ભરતનું તેજ પણ ઋષભ
સમાન હતું. ભગવાન ઋષભદેવે જિનદીક્ષા ધારણ કરી અને ભવતાપથી પીડિત ભવ્ય
જીવોને શમભાવરૂપ જળથી શાંત કર્યા. શ્રાવક અને મુનિના બન્નેના ધર્મ પ્રગટ કર્યા.
જેમના ગુણની ઉપમાને લાયક જગતમાં કોઈ પદાર્થ નથી એવા તે ઋષભદેવ કૈલાસ પર્વત
ઉપરથી નિર્વાણ પધાર્યા ઋષભદેવનું શરણ પામીને અનેક મુનિઓ સિદ્ધ થયા અને કેટલાક
સ્વર્ગનું સુખ પામ્યા. કેટલાક ભદ્ર પરિણામી મનુષ્યભવ પામ્યા અને કેટલાક મરીચાદિ
મિથ્યાત્વના રાગથી સંયુક્ત અત્યંત ઉજ્જવળ ભગવાનના માર્ગને અવલોકી ન શક્યા.
જેમ ઘુવડ સૂર્યપ્રકાશને ન જાણે તેમ તેઓ કુધર્મને અંગીકાર કરી કુદેવ થયા અને નરક
તિર્યંચ ગતિને પામ્યા. ભગવાન ઋષભદેવને મુક્તિમાં ગયે પચાસ લાખ કરોડ સાગર
થયા ત્યારે સર્વાર્થસિદ્ધિથી ચ્યવીને બીજા તીર્થંકર અમે અજિતનાથ થયા. જ્યારે ધર્મની
ગ્લાનિ થાય, મિથ્યાદ્રષ્ટિનો અધિકાર જામે, આચારનો અભાવ થાય ત્યારે ભગવાન
તીર્થંકર જન્મે છે અને ધર્મનો ઉદ્યોત કરે છે, ભવ્ય જીવો ધર્મ પામી સિદ્ધ થાય છે. અમારા
મોક્ષ ગયા પછી બીજા બાવીશ તીર્થંકરો થશે. ત્રણ લોકમાં ઉદ્યોત કરનારા તે સર્વ મારા
જેવા કાંતિ, વીર્ય, વિભૂતિના ધણી ત્રિલોકપૂજ્ય જ્ઞાનદર્શનરૂપ થશે. તેમાં ત્રણ તીર્થંકર
શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, એ ત્રણ ચક્રવર્તીપદના પણ ધારક થશે. તે ચોવીસે ય
તીર્થંકરનાં નામ સાંભળો. ૧. ઋષભ, ૨. અજિત, ૩. સંભવ, ૪. અભિનંદન, પ. સુમતિ,
૬. પદ્મપ્રભ, ૭. સુપાર્શ્વ, ૮. ચંદ્રપ્રભ, ૯. પુષ્પદંત, ૧૦. શીતળ, ૧૧. શ્રેયાંસ, ૧૨.
વાસૂપૂજ્ય, ૧૩. વિમળ, ૧૪. અનંત, ૧પ. ધર્મ, ૧૬. શાંતિ, ૧૭. કુંથુ, ૧૮ અર, ૧૯.
મલ્લિ, ૨૦. મુનિ સુવ્રત, ૨૧. નમિ, ૨૨. નેમિ, ૨૩. પાર્શ્વ, ૨૪. મહાવીર આ બધા જ
દેવાધિદેવ જિનાગમના ધુરંધર થશે અને

Page 46 of 660
PDF/HTML Page 67 of 681
single page version

background image
૪૬ પાંચમું પર્વ પદ્મપુરાણ
સર્વના ગર્ભાવતારમાં રત્નોની વર્ષા થશે. સર્વના જન્મકલ્યાણક સુમેરુ પર્વત પર
ક્ષીરસાગરના જળથી થશે, તે સર્વ ઉપમારહિત, તેજરૂપ, સુખ અને બળવાન થઈ સર્વ
કર્મશુત્રનો નાશ કરશે. મહાવીર સ્વામીરૂપી સૂર્યનો અસ્ત થયા પછી પાખંડરૂપ અજ્ઞાની
ચમત્કાર કરશે. તે પાખંડી સંસારરૂપ કૂવામાં પોતે પડશે અને બીજાઓને પાડશે.
ચક્રવર્તીઓમાં પ્રથમ ભરત થયા, બીજો તું સગર, ત્રીજા સનત્કુમાર, ચોથા મધવા, પાંચમા
શાંતિ, છઠ્ઠા કુંથુ, સાતમા અર, આઠમા સુભૂમ, નવમા મહાપદ્મ, દશમા હરિષેણ,
અગિયારમા જયસેન, બારમા બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ
અને નવ બળદેવ થશે. તેમનું ચિત્ત ધર્મમાં સાવધ રહેશે. આ અવસર્પિણીના મહાપુરુષ
કહ્યા. એ જ પ્રમાણે ઉત્સર્પિણીમાં ભરત ઐરાવતમાં જાણવા. આ પ્રમાણે મહાપુરુષોની
વિભૂતિ અને કાળની પ્રવૃત્તિ તથા કર્મોને વશ થવાથી સંસારનું ભ્રમણ, કર્મરહિત
થનારાઓને મુક્તિનું નિરુપમ સુખ, એ સર્વકથન મેઘવાહને સાંભળ્‌યું. એ વિચક્ષણ પુરુષ
મનમાં વિચારવા લાગ્યો કે અરેરે! જે કર્મોથી આ જીવ આતાપ પામે છે તે જ કર્મોને
મોહમદિરાથી ઉન્મત્ત થયેલો આ જીવ બાંધે છે. આ વિષયો વિષની જેમ પ્રાણનું હરણ
કરનારા, કલ્પનામાત્ર મનોજ્ઞ છે. દુઃખ ઉત્પન્ન કરનારા છે. એમાં રતિ શા માટે કરવી?
આ જીવે ધન, સ્ત્રી, કુટુંબાદિમાં અનેક ભવોમાં રાગ કર્યો, પરંતુ એ પરપદાર્થ એના થયા
નહિ. આ સદાય એકલો જ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સર્વ કુટુંબાદિક ત્યાં સુધી જ
તેના તરફ સ્નેહ રાખે છે, જ્યાં સુધી દાનથી એ તેમનું સન્માન કરે છે. જેમ કૂતરાના
બચ્ચાને જ્યાં સુધી રોટલાનો ટૂકડો ફેંકીએ ત્યાં સુધી જ તે આપણું હોય છે. અંતકાળે
પુત્ર, સ્ત્રી, બાંધવ, મિત્ર, ધનાદિકની સાથે કોણ ગયું અને એ કોની સાથે ગયા? આ
ભોગ છે તે કાળા સર્પની ફેણ સમાન ભયાનક છે, નરકનાં કારણ છે, તેનો સંગ ક્યો
બુદ્ધિમાન કરે? અહો! આ મહાન આશ્ચર્ય છે. લક્ષ્મી ઠગ છે, પોતાના આશ્રિતોને ઠગે છે,
એના જેવી બીજા દુષ્ટતા કઈ છે? જેમ સ્વપ્નમાં કોઈનો સમાગમ થાય છે તેમ કુટુંબનો
સમાગમ જાણવો. જેમ ઇન્દ્ર ધનુષ્ય ક્ષણભંગુર છે, તેમ પરિવારનું સુખ ક્ષણભંગુર જાણવું.
આ શરીર પાણીના પરપોટા સમાન અસાર છે અને આ જીવન વીજળીના ચમકારની પેઠે
અસાર, ચંચળ છે માટે આ સર્વનો ત્યાગ કરી એક ધર્મની જ સહાય અંગીકાર કરું. ધર્મ
સદા કલ્યાણકારી છે, કદાપિ વિઘ્નકારી નથી. સંસાર, શરીર, ભોગાદિક ચાર ગતિનાં
ભ્રમણનાં કારણ છે, મહાદુઃખરૂપ છે. સુખ ઇન્દ્રધનુષ્યવત્ અને શરીર જળબુદબુદવત્ ક્ષણિક
છે, એમ જાણી તે રાજા મેઘવાહને જેને મહાવૈરાગ્ય જ કવચ છે તેણે મહારક્ષ નામના
પુત્રને રાજ્ય આપીને ભગવાન શ્રી અજિતનાથની પાસે દીક્ષા અંગીકાર કરી. રાજાની
સાથે બીજા એકસો દસ રાજા વૈરાગ્ય પામી ઘરરૂપ બંદીખાનામાંથી છૂટયા.
મેઘવાહનનો પુત્ર મહારક્ષ રાજગાદી પર બેઠો તે ચંદ્રમા સમાન દાનરૂપી કિરણોથી
કુટુંબરૂપી સમુદ્રને પૂર્ણ કરતો થકો લંકારૂપી આકાશમાં પ્રકાશ ફેલાવવા લાગ્યો. મોટા મોટા
વિદ્યાધર રાજાઓ સ્વપ્નમાં પણ તેની આજ્ઞા પામી આદરપૂર્વક પ્રતિબોધ પામી હાથ જોડી

Page 47 of 660
PDF/HTML Page 68 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૭
નમસ્કાર કરતા હતા. તે મહારક્ષને પ્રાણ સમાન પ્યારી વિમલપ્રભા રાણી હતી. તે છાયા
સમાન પતિની અનુગામિની હતી. તેને અમરરક્ષ, ઉદધિરક્ષ, ભાનુરક્ષ એ ત્રણ પુત્ર થયા.
તે પુત્રો નાના પ્રકારનાં શુભકર્મોથી પૂર્ણ જગતમાં ચારે તરફ પ્રસિદ્ધિ પામ્યા, જાણે કે ત્રણ
લોક જ ન હોય!
પછી અજિતનાથ સ્વામી અનેક ભવ્ય જીવોનો નિસ્તાર કરીને સમ્મેદશિખરથી
સિદ્ધપદ પામ્યા. સગરની ઇન્દ્રાણી તુલ્ય છન્નું હજાર રાણીઓ અને સાઠ હજાર પુત્રો કોઈ
એક વેળા કૈલાસ પર્વતની વંદના કરવા આવ્યા. ત્યાં ભગવાનનાં ચૈત્યાલયોની વંદના
કરીને દંડરત્નથી કૈલાસ પર્વતની ચારે તરફ ખાઈ ખોદવા લાગ્યા. નાગેન્દ્રે તેમને
ક્રોધદ્રષ્ટિથી જોયા તેથી તે બધા બળીને ભસ્મ થઈ ગયા. તેમનામાંથી બે આયુષ્યકર્મ શેષ
હોવાથી બચી ગયા. એકનું નામ ભીમરથ અને બીજાનું ભગીરથ. ત્યારે બધાએ વિચાર્યું
કે
અચાનક જો આ સમાચાર ચક્રવર્તીને કહેશું તો ચક્રવર્તી તત્કાલ મૃત્યુ પામશે. આમ
જાણીને એમને મળવા અને સમાચાર આપવાની પંડિતોએ ના પાડી. સર્વ રાજાઓ અને
મંત્રીઓ જે રીતે આવ્યા હતા તે જ પ્રમાણે આવ્યા અને વિનયપૂર્વક ચક્રવર્તીની પાસે
પોતપોતાના સ્થાન ઉપર બેસી ગયા. તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે ‘હે સગર! જો
આ સંસારની અનિત્યતા, જેને જોતાં ભવ્ય જીવોનું મન સંસારમાં પ્રવર્તતું નથી. અગાઉ
તમારા જેવા જ પરાક્રમી રાજા ભરત થયા હતા, જેણે છ ખંડની પૃથ્વી દાસી સમાન વશ
કરી હતી. તેમને અર્કકીર્તિ નામે પુત્ર હતો. તે મહાપરાક્રમી હતો, જેના નામ પરથી
સૂર્યવંશ પ્રવર્ત્યો. આવી રીતે જે અનેક રાજાઓ થયા તે સર્વે કાળને વશ થયા. તે
રાજાઓની વાત તો દૂર જ રહો પણ સ્વર્ગલોકના મહાવૈભવયુક્ત જે ઇન્દ્ર તે પણ ક્ષણમાં
વિલય પામે છે અને ત્રણે લોકને આનંદ આપનાર જે ભગવાન તીર્થંકર છે તે પણ
આયુષ્ય પૂરું થતાં શરીર છોડીને નિર્વાણ પામે છે. જેમ પક્ષી એક વૃક્ષ ઉપર રાત્રે આવીને
રહે છે અને સવાર થતાં જુદી જુદી દિશાઓમાં ગમન કરે છે તેવી જ રીતે આ પ્રાણી
કુટુંબરૂપી વૃક્ષ પર આવીને વસે છે સ્થિતિ પૂરી થતાં પોતાના કર્મવશે ચાર ગતિમાં ગમન
કરે છે. સૌથી બળવાન આ કાળ છે, જેણે મહાન બળવાનોને પણ નિર્બળ બનાવી દીધા
છે. અરે! એ મોટા આશ્ચર્યની વાત છે કે મોટા પુરુષોનો વિનાશ જોઈને પણ અમારું હૃદય
ફાટી જતું નથી. આ જીવોનાં શરીર, સંપદા અને ઈષ્ટના સંયોગને ઇન્દ્રધનુષ્ય, સ્વપ્ન,
વીજળી કે ફીણના પરપોટા સમાન જાણવું. આ જગતમાં એવુ કોઈ નથી, જે કાળથી બચી
શકે. એક સિદ્ધ જ અવિનાશી છે. જે પુરુષ હાથથી પહાડના ચૂરેચૂરા કરી નાખે, સમુદ્ર
શોષી લે, તે પણ કાળના મુખમાં પડે છે. આ મૃત્યુ અલંધ્ય છે. આ ત્રણે લોક મૃત્યુને
વશ છે, કેવળ મહામુનિ જ જિનધર્મના પ્રસાદથી મૃત્યુને જીતે છે. આવા અનેક રાજા
કાળવશ થયા તેમ આપણે પણ કાળવશ થઈશું. ત્રણે લોકનો એ જ માર્ગ છે એમ જાણીને
જ્ઞાની પુરુષો શોક કરતા નથી. શોક સંસારનું કારણ છે, આ પ્રમાણે વૃદ્ધ પુરુષે કહ્યું અને
એ જ રીતે સભાના બધા લોકોએ વાત કરી. તે જ વખતે ચક્રવર્તીએ પોતાના બે જ પુત્રો
જોયા એટલે એ મનમાં વિચારવા લાગ્યા કે મારા સાઠે હજાર પુત્રો સદા

Page 48 of 660
PDF/HTML Page 69 of 681
single page version

background image
૪૮ પાંચમું પર્વ પદ્મપુરાણ
ભેળા જ હોય છે. તેઓ સાથે જ ભેગા થઈને મારી પાસે આવે છે અને નમસ્કાર કરે છે
અને આજે આ બે જ દીન મુખે આવેલા દેખાય છે તેથી લાગે છે કે બીજા બધા કાળવશ
થયા છે. આ રાજાઓ મને અન્યોક્તિ વડે સમજાવે છે, તેઓ મારું દુઃખ જોઈ શકવાને
અસમર્થ છે, આમ જાણીને રાજાએ શોકરૂપી સર્પથી ડંસ પામવા છતાં પણ પ્રાણ ત્યજ્યા
નહિ. મંત્રીઓનાં વચનથી શોકને દબાવી, સંસારને કેળના ગર્ભ સમાન અસાર જાણી,
ઇન્દ્રિયોનાં સુખ છોડી, ભગીરથને રાજ્ય આપી જિનદીક્ષા ગ્રહણ કરી. આ આખીયે છ
ખંડની ધરતીને જીર્ણ ઘાસ સમાન જાણીને છોડી દીધી. તેમણે ભીમરથ સહિત શ્રી
અજિતનાથ ભગવાનની નિકટ મુનિ થઈ, કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી.
ત્યારપછી એક વખત સગરના પુત્ર ભગીરથે શ્રુતસાગર મુનિને પૂછયું કે હે
પ્રભો! અમારા ભાઈઓ એક સાથે જ મરણ પામ્યા તેમાંથી ફકત હું જ બચ્યો, તો તે
કયા કારણથી? ત્યારે મુનિરાજ બોલ્યા કે એક વખત ચતુર્વિધસંઘ વંદના નિમિત્તે
સમ્મેદશિખર જતો હતો. તે ચાલતાં ચાલતાં અંતિક ગ્રામ પાસે આવી પહોંચ્યો. તેમને
જોઈને અંતિક ગ્રામના લોકો દુર્વચન બોલવા લાગ્યા અને મશ્કરી કરવા લાગ્યા. ત્યાં એક
કુંભારે તેમને રોકયા અને મુનિઓની સ્તુતિ કરવા લાગ્યો. પછી તે ગામના એક માણસે
ચોરી કરી એટલે રાજાએ આખા ગામને બાળી નાખ્યું. તે દિવસે તે કુંભાર કોઈ બીજે
ગામ ગયો હતો તેથી તે બચી ગયો. તે કુંભાર મરીને વણિક થયો અને ગામના બીજા જે
લોકો મરણ પામ્યા હતા તે બેઈન્દ્રિય કોડી થયા. કુંભારના જીવ મહાજને તે સર્વ કોડી
ખરીદી લીધી. પછી તે મહાજન મરીને રાજા થયો અને કોડીના જીવ મરીને કીડીઓ થઈ
તે હાથીના પગ નીચે કચરાઈ ગઈ. રાજા મુનિ થઈને દેવ થયો અને દેવમાંથી તું ભગીરથ
થયો અને ગામના લોકો કેટલાક ભવ કરીને સગરના પુત્રો થયા. તેમણે મુનિસંઘની
નિંદાના કારણે જન્મોજન્મ કુગતિ પ્રાપ્ત કરી અને તું સ્તુતિ કરવાના કારણે આવો થયો.
આ પૂર્વભવ સાંભળીને ભગીરથ પ્રતિબોધ પામ્યો. તેણે મુનિરાજનાં વ્રત ધારણ કર્યાં અને
અંતે પરમપદની પ્રાપ્તિ કરી.
ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે - ‘હે શ્રેણિક! આ સગરનું ચરિત્ર તને કહ્યું.
આગળ લંકાની કથા કહીએ છીએ તે સાંભળ.’ મહારિક્ષ નામનો વિદ્યાધર ઘણી સંપદા
સહિત લંકામાં નિષ્કંટક રાજ્ય કરતો. તે એક દિવસ પ્રમદ નામના ઉદ્યાનમાં રાજ્યના
લોકો સાથે ક્રીડા માટે ગયો. પ્રમદ ઉદ્યાન કમળોથી પૂર્ણ સરોવરોથી શોભે છે. નાના
પ્રકારનાં રત્નોથી પ્રભા ધારણ કરતા ઊંચા પર્વતોથી મહારમણીય છે. સુંગધી પુષ્પો ભરેલાં
વૃક્ષોથી શોભિત અને મધુર શબ્દો બોલનાર પક્ષીઓના સમૂહથી અતિસુન્દર છે, જ્યાં
રત્નોની રાશિ છે અને અતિસઘન પત્રપુષ્પોથી મંડિત લતાઓનાં મંડપો જ્યાં ઠેરઠેર
છવાયેલા છે એવા વનમાં રાજાએ રાજ્યલોક સહિત નાનાપ્રકારની ક્રીડા કરી.
રતિસાગરમાં ડૂબતાં તેણે નંદનવનમાં ઇન્દ્ર ક્રીડાકરે તેમ ક્રીડા કરી.
ત્યાં સૂર્યાસ્ત થતાં કમળો બિડાઈ ગયાં. તેમાં ભમરાઓને ગુંગળાઈને મરેલા જોઈને

Page 49 of 660
PDF/HTML Page 70 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૪૯
રાજાને ચિંતા થઈ. કેવો છે રાજા? જેને મોહ મંદ થયો છે અને ભવસાગરથી પાર થવાની
ઈચ્છા ઉત્પન્ન થઈ છે. રાજા વિચારે છે કે જુઓ, પુષ્પરસમાં આસક્ત આ મૂઢ ભમરો
ગંધથી તૃપ્ત ન થયો અને મૃત્યુ પામ્યો. ધિક્કર હો આવી ઈચ્છાને! જેમ કમળના રસમાં
આસક્ત આ ભમરો મરણ પામ્યો તેમ હું સ્ત્રીઓના મુખરૂપી કમળનો ભ્રમર બનીને,
મરીને કુગતિમાં જઈશ. જો આ ભ્રમરો એક નાસિકા ઇન્દ્રિયનો લોલુપી નાશ પામ્યો તો હું
તો પાંચેય ઇન્દ્રિયોનો લોભી છું. મારી શી દશા થશે અથવા આ ચૌરીન્દ્રિય જીવ અજ્ઞાની
હોવાથી ભૂલ્યો તો ભલે ભૂલ્યો, પણ હું જ્ઞાનસંપન્ન હોવા છતાં વિષયોને વશ કેમ થયો?
મધ ચોપડેલી ખડ્ગની ધારને ચાટવામાં સુખ શાનું હોય? જીભના જ ટુકડા થાય છે. તેવા
વિષયના સેવનમાં સુખ ક્યાંથી હોય? અનંત દુઃખોનું ઉપાર્જન જ થાય છે. વિષફળ
સમાન વિષયોથી જે મનુષ્ય પરાઙમુખ છે તેમને હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું.
અરેરે! આ અત્યંત ખેદની વાત છે કે હું પાપી ઘણા દિવસો સુધી આ દુષ્ટ વિષયોથી
ઉગાઈ ગયો. આ વિષયોનો પ્રસંગ વિષમ છે. વિષ તો એક ભવમાં પ્રાણ હરે છે અને આ
વિષયો અનંતભવમાં પ્રાણ હરે છે. જ્યારે રાજાએ આવો વિચાર કર્યો તે વખતે વનમાં
શ્રુતસાગર મુનિ આવ્યા. તે મુનિ પોતાના રૂપથી ચન્દ્રમાની ચાંદનીને જીતે છે અને
દીપ્તિથી સૂર્યને જીતે છે, સ્થિરતાના સુમેરુથી અધિક છે. જેમનું મન એક ધર્મધ્યાનમાં જ
આસક્ત છે અને જેમણે રાગદ્વેષ બેયને જીતી લીધા છે તથા મન, વચન, કાયાના
અપરાધ જેણે તજ્યા છે, ચાર કષાયોને જીતનાર, પાંચ ઈન્દ્રિયોને વશ કરનાર, છ કાયના
જીવ પ્રત્યે દયાળુ, સાત ભયવર્જિત, આઠ મદરહિત, નવ નયના વેત્તા, શીલની નવવાહના
પાળનાર, દસ લક્ષણ ધર્મસ્વરૂપ, પરમ તપને ધારણ કરનાર, સાધુઓના સમૂહ સહિત
સ્વામી પધાર્યાં. તેઓ જીવજંતુરહિત પવિત્ર સ્થાન જોઈને વનમાં રહ્યા. તેમના શરીરની
જ્યોતિથી દશે દિશામાં ઉદ્યોત થઈ ગયો.
વનપાળના મુખેથી સ્વામી આવ્યાના સમાચાર સાંભળીને રાજા મહારિક્ષ વિદ્યાધર
વનમાં આવ્યા. કેવા છે રાજા? જેમનું મન ભક્તિભાવથી વિનયરૂપ બન્યું છે. તે રાજા
આવીને મુનિના પગમાં પડયા. તે મુનિનું મન અતિપ્રસન્ન છે, તેમનાં ચરણકમળ
કલ્યાણના દેનાર છે. રાજાએ સમસ્ત સંઘને નમસ્કાર કરી, કુશળ પૂછી, એક ક્ષણ બેસીને,
ભક્તિભાવથી મુનિને ધર્મનું સ્વરૂપ પૂછયું. મુનિના હૃદયમાં શાંતભાવરૂપી ચન્દ્રમા પ્રકાશ
પાથરી રહ્યો હતો. તે વચનરૂપી કિરણોથી ઉદ્યોત કરતા થકા વ્યાખ્યાન કરવા લાગ્યા કે હે
રાજા, ધર્મનું લક્ષણ જીવદયા જ છે અને સત્ય વચનાદિ સર્વ ધર્મનો જ પરિવાર છે. આ
જીવ કર્મના પ્રભાવથી જે ગતિમાં જાય છે તે જ શરીરમાં મોહિત થાય છે માટે જો કોઈ
ત્રણ લોકની સંપદા આપે તો પણ તે પ્રાણી પોતાનો પ્રાણ ત્યાગતો નથી. બધા જીવોને
પ્રાણ સમાન બીજું કાંઈ વ્હાલું નથી. બધા જ જીવવાની ઈચ્છા રાખે છે. મરવાને કોઈ
ઈચ્છતું નથી. ઘણું કહેવાથી શું? જેમ આપણને આપણા પ્રાણ વ્હાલા છે, તેવી જ રીતે
બધાને વ્હાલા હોય છે તેથી જે મૂર્ખ પરજીવના પ્રાણ હરે છે, તે

Page 50 of 660
PDF/HTML Page 71 of 681
single page version

background image
પ૦ પાંચમું પર્વ પદ્મપુરાણ
દુષ્ટકર્મી નરકમાં પડે છે તેના જેવો બીજો કોઈ પાપી નથી. એ જીવોના પ્રાણ હરી અનેક
જન્મો સુધી કુગતિમાં દુઃખ પામે છે - જેમ લોઢાનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે તેમ
હિંસક જીવ ભવસાગરમાં ડૂબે છે. જે વચનમાં મીઠા બોલ બોલે છે અને હૃદયમાં વિષ
ભર્યું હોય, ઈન્દ્રિયોને વશ થઈને મનથી મલિન હોય, શુભાચારથી રહિત, સ્વેચ્છાચારી
કામના સેવનાર છે, તે નરક, તિર્યંચ ગતિમાં ભ્રમણ કરે છે. પ્રથમ તો આ સંસારમાં
જીવને મનુષ્યદેહ દુર્લભ છે. એમાં ઉત્તમ કુળ, આર્યક્ષેત્ર, સુન્દરતા, ધનની પૂર્ણતા, વિદ્યાનો
સમાગમ, તત્ત્વનું જ્ઞાન, ધર્મનું આચરણ, એ બધું અતિદુર્લભ છે. ધર્મના પ્રસાદથી કેટલાક
તો સિદ્ધપદ પામે છે. કેટલાક સ્વર્ગમાં સુખ મેળવી પરંપરાએ મોક્ષ પામે છે અને કેટલાક
મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાન તપથી દેવ થઈ, સ્થાવર યોનિમાં જઈ પડે છે. કેટલાક પશુ થાય છે,
કેટલાક મનુષ્ય જન્મ પામે છે. માતાનું ગર્ભસ્થાન મળમૂત્રથી ભરેલું છે. કૃમિઓના
સમૂહથી પૂર્ણ છે. અત્યંત દુર્ગંધવાળું, અત્યંત દુસ્સહ, તેમાં પિત્ત-કફની વચ્ચે ચામડીની
જાળથી ઢંકાયેલ આ પ્રાણી જનનીના આહારનો રસાંશ ચાટે છે. તેનાં સર્વ અંગ
સંકોચાઈને રહે છે. દુઃખના ભારથી પીડિત થઈ, નવ મહિના ઉદરમાં વસીને યોનિદ્વારથી
બહાર નીકળે છે. મનુષ્યદેહ પામીને પાપી જીવ ધર્મને ભૂલી જાય છે. મિથ્યાદ્રષ્ટિ જીવ
નિયમ, ધર્મ, આચાર રહિત બની વિષયોનું સેવન કરે છે. જે જ્ઞાનરહિત થઈ, કામને વશ
વર્તીને સ્ત્રીઓને વશ થાય છે તે મહાદુઃખ ભોગવતા થકા સંસારસમુદ્રમાં ડૂબે છે. તેથી
વિષયકષાયનું સેવન ન કરવું. હિંસક વચન જેમાં પરજીવને પીડા થતી હોય તેવું ન
બોલવું. હિંસા જ સંસારનું કારણ છે. ચોરી ન કરવી, સત્ય બોલવું, સ્ત્રીનો સંગ ન કરવો,
ધનની વાંછા ન રાખવી, સર્વ પાપારંભ ત્યજવા, પરોપકાર કરવો, પરને પીડા ન
પહોંચાડવી. આવી મુનિની આજ્ઞા સાંભળીને, ધર્મનું સ્વરૂપ જાણીને રાજા વૈરાગ્ય પામ્યો.
મુનિને નમસ્કાર કરી પોતાના પૂર્વભવ પૂછયા. ચાર જ્ઞાનના ધારક મુનિ શ્રુતસાગરે
સંક્ષેપમાં તેના પૂર્વભવ કહ્યા. હે રાજન! પોદનાપુરમાં હિત નામના એક મનુષ્યની માધવી
નામની સ્ત્રીના કૂખે પ્રતિમ નામનો તું પુત્ર જન્મ્યો. તે જ નગરના રાજા ઉદયાચળ, રાણી
ઉદયશ્રી અને પુત્ર હેમરથે એક દિવસે જિનમંદિરમાં મહાપૂજા કરાવી. તે પૂજા આનંદ
કરનારી હતી. તેનો જયજયકાર શબ્દ સાંભળીને તેં પણ જયજયકારનું ઉચ્ચારણ કર્યું અને
પુણ્ય ઉપાર્જ્યું. કાળ પ્રાપ્ત થતાં તું મરીને યક્ષોમાં મહાયક્ષ થયો. એક દિવસે વિદેહક્ષેત્રમાં
કાંચનપુર નગરના વનમાં મુનિઓ ઉપર પૂર્વભવના શત્રુઓએ ઉપસર્ગ કર્યો. તે યક્ષે તેમને
ડરાવીને ભગાડી મૂકયા અને મુનિની રક્ષા કરી તેથી અતિ પુણ્યરાશિનું ઉપાર્જન કર્યું.
કેટલાક દિવસોમાં આયુષ્ય પૂર્ણ કરી યક્ષ તડીદંગદ નામના વિદ્યાધરની સ્ત્રી શ્રી પ્રભાના
પેટે ઉદિત નામનો પુત્ર થયો. અમરવિક્રમ વિદ્યાધરોના સ્વામી વંદના નિમિત્તે મુનિઓ
પાસે આવ્યા હતા તેમને જોઈને નિદાન કર્યું. અને મહાતપથી બીજા સ્વર્ગમાં જઈ ત્યાંથી
ચ્યવીને તું મેઘવાહનનો પુત્ર થયો. હે રાજા! તેં સૂર્યના રથની પેઠે સંસારમાં ભ્રમણ કર્યું.
જિહવાનો લોલુપી અને સ્ત્રીઓને વશ થઈને તેં અનંતભવ કર્યા. આ સંસારમાં તારાં
એટલાં શરીર થયાં કે જો તેમને ભેગાં કરીએ

Page 51 of 660
PDF/HTML Page 72 of 681
single page version

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ પ૧
તો ત્રણ લોકમાં પણ ન સમાય અને સ્વર્ગમાં તારું આયુષ્ય સાગરોનું થયું, જ્યાં
સ્વર્ગનાય ભોગથી તું ધરાયો નહિ તો વિદ્યાધરોના અલ્પભોગથી તું ક્યાંથી તૃપ્ત થવાનો?
હવે તારું આયુષ્ય આઠ દિવસનું બાકી છે માટે સ્વપ્નની ઇન્દ્રજાળ સમાન જે ભોગ છે
તેનાથી તું નિવૃત્ત થા. આ સાંભળીને પોતાનું મરણ જાણવા છતાં પણ તે વિષાદ ન
પામ્યો. પ્રથમ તો તેણે જિનચૈત્યાલયોમાં મોટી પૂજા કરાવી, પછી અનંત સંસારના
ભ્રમણથી ભયભીત થઈને પોતાના મોટા પુત્ર અમરરક્ષને રાજ્ય આપી. નાના પુત્ર
ભાનુરક્ષને યુવરાજ પદ આપી, પોતે પરિગ્રહનો ત્યાગ કરી, તત્ત્વજ્ઞાનમાં મગ્ન થઈ,
પાષાણના સ્તંભ સમાન નિશ્ચળ થઈ ધ્યાનમાં સ્થિત થયા. તે લોભરહિત બની,
ખાનપાનનો ત્યાગ કરી, શત્રુમિત્રમાં સમાન બુદ્ધિ ધારી, નિશ્ચળ થઈને મૌનવ્રત ધારણ
કરી, સમાધિમરણ કરીને સ્વર્ગમાં ઉત્તમ દેવ થયા.
કિન્નરનાદ નામની નગરીમાં શ્રીધર નામનો વિદ્યાધર રાજા હતો. તેને વિદ્યા નામની
રાણી હતી અને અરિંજય નામની પુત્રી હતી. તે કન્યા અમરરક્ષને પરણી. ગંધર્વગીત નામના
નગરના રાજા સુરસન્નિભની રાણી ગાંધારીની પુત્રી ગંધર્વા ભાનુરક્ષને પરણી. મોટાભાઈ
અમરરક્ષને દસ પુત્રો થયા અને દેવાંગના સમાન છ પુત્રી થઇ. તે પુત્રોએ પોતપોતાના
નામનાં નગર વસાવ્યાં. તે પુત્રો શત્રુને જીતનારા, પૃથ્વીના રક્ષક હતા. હે શ્રેણિક! તે નગરોનાં
નામ સાંભળ. ૧. સંધ્યાકાર, ૨. સુવેલ, ૩. મનોહલાદ, ૪. મનોહર, પ. હંસદ્વીપ, ૬, હરિ, ૭.
યોધ ૮. સમુદ્ર, ૯. કાંચન અને ૧૦. અર્ધસ્વર્ગ. આ દસ નગર તો અમરરક્ષના પુત્રોએ
વસાવ્યાં અને ૧ આવર્તનગર, ૨. વિઘટ, ૩. અમ્ભાદ, ૪. ઉત્કટ, પ. સ્ફુટ, ૬. રિતુગ્રહ, ૭.
તટ, ૮. તોય, ૯. આવલી અને ૧૦. રત્નદ્વીપ. આ દસ નગર ભાનુરક્ષના પુત્રોએ વસાવ્યાં.
એ નગર કેવાં છે? જેમાં ભિન્નભિન્ન પ્રકારનાં રત્નોથી પ્રકાશ થઈ રહ્યો છે. સુવર્ણની જેમ
ચમકતાં તે નગર ક્રીડા માટે રાક્ષસોના નિવાસ બન્યા. અન્ય દેશોના રહેવાસી મોટામોટા
વિદ્યાધરો ત્યાં આવીને ખૂબ ઉત્સાહથી રહેવા લાગ્યા.
પછી અમરરક્ષ અને ભાનુરક્ષ એ બન્ને ભાઈઓ પુત્રોને રાજ્ય આપી, મુનિ થઈ,
મહાવ્રતતપ પાળી મોક્ષપદને પામ્યા. આ પ્રમાણે રાજા મેઘવાહનના વંશમાં મોટામોટા
રાજાઓ થયા. તે ન્યાયવાન, પ્રજાપાલક બની, સકળ વસ્તુઓથી વિરક્ત થઈ મુનિના વ્રત
ધારીને કેટલાક મોક્ષમાં ગયા, કેટલાક સ્વર્ગમાં દેવ થયા. તે વંશમાં એક મહારક્ષ નામનો
રાજા થયો. તેની રાણી મનોવેગાનો પુત્ર રાક્ષસ નામનો રાજા થયો. તેના નામથી
રાક્ષસવંશ કહેવાયો. એ વિદ્યાધર મનુષ્ય હતા, રાક્ષસ જાતિ નહિ. રાજા રાક્ષસની રાણી
સુપ્રભાને બે પુત્રો થયા. મોટો આદિત્યગતિ અને નાનો બૃહત્કીર્તિ. એ બન્ને ચન્દ્ર-સૂર્ય
સમાન અન્યાયરૂપ અંધકાર દૂર કરતા હતા. રાજા રાક્ષસ તે પુત્રોને રાજ્ય આપી, મુનિ
થઈને દેવલોક ગયા. રાજા આદિત્યગતિ રાજ્ય કરતો અને નાનો ભાઈ યુવરાજ હતો.
મોટાભાઈ આદિત્યગતિની સ્ત્રી સદનપદ્માને ભીમપ્રભ નામે પુત્ર થયો. બૃહત્કીર્તિની
સ્ત્રીનું નામ પુષ્પનખા હતું. ભીમપ્રભને દેવાંગના સમાન એક હજાર રાણી અને

Page 52 of 660
PDF/HTML Page 73 of 681
single page version

background image
પ૨ પાંચમું પર્વ પદ્મપુરાણ
એકસો આઠ પુત્ર થયા. તે પૃથ્વીના સ્તંભ સમાન હતા. તેમાંથી મોટા પુત્રને રાજ્ય આપી
રાજા ભીમપ્રભ વૈરાગ્ય પામી પરમપદને પામ્યો. પૂર્વે રાક્ષસના ઇન્દ્ર ભીમ અને સુભીમે
કૃપા કરીને મેઘવાહનને રાક્ષસદ્વીપ આપ્યો હતો તે મેઘવાહનના વંશમાં મોટામોટા રાજાઓ
રાક્ષસદ્વીપના રક્ષક થયા. ભીમપ્રભાનો મોટો પુત્ર પૂજાર્હ પોતાના પુત્ર જિતભાસ્કરને
રાજ્ય આપી મુનિ થયો અને જિતભાસ્કર સંપરિકીર્તિ નામના પુત્રને રાજ્ય આપી મુનિ
થયા અને સંપરિકીર્તિ સુગ્રીવ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયો. સુગ્રીવ હરિગ્રીવને
રાજ્ય આપી ઉગ્ર તપ કરીને દેવલોકમાં ગયા અને હરિગ્રીવ શ્રીગ્રીવને રાજ્ય આપી
વૈરાગ્ય પામ્યા. શ્રીગ્રીવ સુમુખ નામના પુત્રને રાજ્ય આપી મુનિ થયા, પોતે વડીલોનો
માર્ગ અંગીકાર કર્યો અને સુમુખ પણ સુવ્યક્તને રાજ્ય આપી પોતે પરમઋષિ થયા.
સુવ્યક્ત અમૃતવેગને રાજ્ય આપી વૈરાગી થયા અને અમૃતવેગ ભાનુગતિને રાજ્ય આપી
યતિ થયા. તે ચિંતાગતિને રાજ્ય આપી નિશ્ચિંત થયા, મુનિવ્રત આદરવા લાગ્યા.
ચિન્તાગતિ ઇન્દ્રને રાજ્ય આપી મુનિ થયા. આ પ્રમાણે રાક્ષસવંશમાં અનેક રાજા થયા.
રાજા ઇન્દ્રને ઇન્દ્રપ્રભ, તેને મેઘ, તેને મૃગારિદમન, તેને પવિ, તેને ઇન્દ્રજિત, તેને
ભાનુવર્મા, તેને સૂર્ય સમાન તેજસ્વી ભાનુ, તેને મુરારિ, તેને ત્રિજિત્, તેને ભીમ, તેને
મોહન, તેને ઉદ્ધારક, તેને રવિ, તેને ચાકર, તેને વજ્રમધ્ય, તેને પ્રબોધ તેને સિંહવિક્રમ,
તેને ચામુંડ, તેને મારણ, તેને ભીષ્મ તેને દ્યુપબાહુ, તેને અરિદમન, તેને નિર્વાણભક્તિ,
તેને ઉગ્રશ્રી, તેને અર્હદ્ભક્ત, તેને અનુત્તર, તેને ગતભ્રમ, તેને અનિલ, તેને લંક, તેને
ચંડ, તેને મયુરવાન, તેને મહાબાહુ તેને મનોરમ્ય, તેને ભાસ્કરપ્રભ, તેને બૃહદ્ગતિ, તેને
અરિસંત્રાસ, તેને ચંદ્રાવર્ત, તેને મહારવ તેને મેઘધ્વાન, તેને ગ્રહશોભ, તેને નક્ષત્રદમન,
આ પ્રમાણે કરોડ રાજા થયા. મહાન વિદ્યાધર, મહાબલવાન, મહાકાંતિધારી પરાક્રમી,
પરદારાના ત્યાગી, નિજ સ્ત્રીમાં સંતોષી એવા લંકાના સ્વામી મહાસુન્દર,
અસ્ત્રશસ્ત્રકળાના ધારક, સ્વર્ગલોકથી આવીને અનેક રાજા થયા. તે પોતાના પુત્રોને
રાજ્ય આપી, જગતથી ઉદાસ થઈ, જિનદીક્ષા લઈને કેટલાક તો કર્મનો નાશ કરીને
નિર્વાણ ગયા અને કેટલાક રાજા પુણ્યના પ્રભાવથી પ્રથમ સ્વર્ગથી માંડીને સર્વાર્થસિદ્ધિ
પર્યંત પ્રાપ્ત થયા. આ પ્રમાણે અનેક રાજા ચાલ્યા ગયા. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર પ્રસિદ્ધ છે તેમ
લંકાના અધિપતિ ધનપ્રભ અને તેની રાણી પદ્માનો પુત્ર કીર્તિધવલ પ્રસિદ્ધ થયો. જેમ
સ્વર્ગમાં ઇન્દ્ર રાજ્ય કરે છે તેમ લંકામાં કીર્તિધવલ રાજ કરવા લાગ્યો. અનેક વિધાધરો
તેના આજ્ઞાકારી હતા. આ પ્રમાણે પૂર્વભવમાં કરેલા તપના બળથી આ જીવ દેવગતિનાં
તથા મનુષ્યગતિનાં સુખ ભોગવે છે અને સર્વ ત્યાગ કરી, મહાવ્રત ધારી, આઠ કર્મ ભસ્મ
કરી સિદ્ધ થાય છે અને જે પાપી જીવ ખરાબ કાર્યોમાં આસક્ત થાય છે તે આ જ ભવમાં
લોકનિંદ્ય થઈ મરીને કુયોનિમાં જાય છે અને અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. આમ
જાણીને પાપરૂપ અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન શુદ્ધોપયોગને ભજો.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણની સ્વ. પં. દૌલતરામજી કૃત
ભાષાટીકાના ગુજરાતી અનુવાદમાં રાક્ષસોનું કથન જેમાં છે તે પાંચમો અધિકાર સંપૂર્ણ થયો.

Page 53 of 660
PDF/HTML Page 74 of 681
single page version

background image
પદ્મપુરાણ છઠ્ઠું પર્વ પ૩
છઠ્ઠું પર્વ
(વાનરવંશીઓની ઉત્પત્તિ)
પછી ગૌતમસ્વામી કહે છે - હે રાજા શ્રેણિક! આ રાક્ષસવંશ અને વિદ્યાધરોના
વંશનું વૃત્તાંત તને કહ્યું. હવે વાનરવંશનું કથન સાંભળ. સ્વર્ગ સમાન વિજ્યાર્ધગિરિની
દક્ષિણ શ્રેણીમાં ઊંચા મહેલોથી શોભિત મેઘપુર નામનું નગર છે. ત્યાં વિદ્યાધરોનો રાજા
અતીંદ્ર પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને ભોગસંપદામાં ઇન્દ્રતુલ્ય હતો. તેને શ્રીમતી નામની રાણી
લક્ષ્મી સમાન હતી. તેના મુખની ચાંદનીથી સદા પૂર્ણમાસી સમાન પ્રકાશ ફેલાતો. તેને
શ્રીકંઠ નામનો પુત્ર થયો. તે શાસ્ત્રમાં પ્રવીણ હતો. તેનું નામ સાંભળીને વિચક્ષણ પુરુષો
હર્ષ પામતા. તેની નાની બહેન મહામનોહરદેવી નામે હતી, જેનાં નેત્રો કાળનાં બાણ જ
જાણે કે હતાં.
રત્નપુર નામનું એક બીજું સુન્દર નગર હતું. ત્યાં પુષ્પોત્તર નામનો મહાબળવાન
વિદ્યાધર રાજા રાજ્ય કરતો. તેને દેવાંગના સમાન પદ્માભા નામની એક પુત્રી અને
પદ્મોત્તર નામનો એક ગુણવાન પુત્ર હતો, જેને દેખવાથી બધાને અતિઆનંદ થતો. તે
રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર માટે રાજા અતીંદ્રની પુત્રી દેવીની અનેક વાર યાચના કરી
તો પણ શ્રીકંઠે પોતાની બહેનને લંકાના સ્વામી કીર્તિધવલ સાથે પરણાવી અને પદ્મોત્તરને
ન આપી. આ વાત સાંભળી રાજા પુષ્પોત્તરે અત્યંત ક્રોધિત થઈને કહ્યું કે જુઓ,
અમારામાં કોઈ દોષ નહોતો, અમે દરિદ્રી નહોતા, મારો પુત્ર કુરૂપ નહોતો તેમ જ અમારે
અને તેમને કાંઈ વેર નથી તો પણ મારા પુત્રને શ્રીકંઠે પોતાની બહેન ન પરણાવી તે શું
યોગ્ય કર્યું છે?
એક દિવસ શ્રીકંઠ ચૈત્યાલયોની વંદનાને નિમિત્તે સુમેરુ પર્વત ઉપર વિમાનમાં બેસીને
ગયો. તે વિમાન પવન સમાન વેગવાળું અને અતિમનોહર હતું. તે વંદના કરીને પાછો
આવતો હતો ત્યારે માર્ગમાં પુષ્પોત્તરની પુત્રી પદ્માભાનો રાગ સાંભળ્‌યો અને વીણાવાદન
સાંભળ્‌યું. તે મન અને કાનને હરનાર રાગ સાંભળીને મોહિત થયો. તેણે અવલોકન કર્યું તો
ગુરુ સમીપે સંગીતગૃહમાં વીણા વગાડતી પદ્માભાને જોઈ. તેના રૂપસમુદ્રમાં તેનું મન મગ્ન
થઈ ગયું, મનને પાછું વાળવામાં અસમર્થ થયો, તેની તરફ જોતો રહ્યો અને એ પણ અત્યંત
રૂપાળો હતો તેથી એને જોતાં એ પણ મોહિત થઈ. એ બન્ને પરસ્પર પ્રેમસૂત્રથી બંધાયાં. તેનું
મન જોઈને શ્રીકંઠ તેને લઈને આકાશમાર્ગે ચાલતો થયો. તે વખતે પરિવારજનોએ રાજા
પુષ્પોત્તરને પોકારીને કહ્યું કે તમારી પુત્રીને રાજા શ્રીકંઠ લઈ ગયો. રાજા પુષ્પોત્તરના પુત્રને
શ્રીકંઠે પોતાની બહેન પરણાવી નહોતી તેથી તે ગુસ્સામાં તો હતો જ. હવે પોતાની પુત્રીને
લઈ જવાથી તે અત્યંત ક્રુદ્ધ બનીને, સંપૂર્ણ સેના સાથે શ્રીકંઠને મારવા તેની પાછળ પડયો.
દાંત વડે હોઠ પીસતો, ક્રોધથી જેનાં નેત્ર લાલ થઈ ગયેં છે એવા મહાબળવાન રાજાને આવતો
જોઈને શ્રીકંઠ ડરી ગયો અને ભાગીને પોતાના બનેવી લંકાના રાજા કીર્તિધવલના શરણે
આવ્યો. સમય આવ્યે મોટાને શરણે જવું તે ન્યાયયુક્ત છે. રાજા કીર્તિધવલે શ્રીકંઠને જોઈ,
પોતાનો સાળો જાણી, ઘણા સ્નેહથી સામે આવી

Page 54 of 660
PDF/HTML Page 75 of 681
single page version

background image
પ૪ છઠ્ઠું પર્વ પદ્મપુરાણ
મળીને છાતીસરસા ભેટીને ખૂબ સન્માન આપ્યું. એમની વચ્ચે અરસપરસ કુશળ વાર્તા
ચાલી રહી હતી. ત્યાં જ રાજા પુષ્પોત્તર સેના સહિત આકાશમાં આવ્યો. કીર્તિધવલે તેમને
દૂરથી જોયા કે રાજા પુષ્પોત્તરની સાથે અનેક મહાતેજસ્વી વિદ્યાધરો છે, ખડ્ગ,
ધનુષ્યબાણ ઈત્યાદિ શસ્ત્રોના સમૂહથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, વાયુ સમાન
વેગવાળા માયામયી તુરંગ, કાળી ઘટા સમાન માયામયી ગજ, જેમની સૂંઢ અને ઘંટડીઓ
હલી રહી છે, માયામયી સિંહ અને મોટામોટા વિમાનોથી ભરેલું આકાશ જોયું. ઉત્તર દિશા
તરફ સેનાનો સમૂહ જોઈને રાજા કીર્તિધવલે ક્રોધસહિત હસીને મંત્રીઓને યુદ્ધ કરવાની
આજ્ઞા આપી. ત્યારે શ્રીકંઠે લજ્જાથી નીચે જોઈને કહ્યું કે મારી સ્ત્રી અને મારા કુટુંબનું
તો આપ રક્ષણ કરો અને હું આપના પ્રતાપથી યુદ્ધમાં શત્રુને જીતી લાવીશ. ત્યારે
કીર્તિધવલે કહ્યું કે તારે આવી વાત કરવી યોગ્ય નથી, તું સુખેથી રહે, યુદ્ધ કરવા માટે
અમે ઘણા છીએ. જો આ દુર્જન નમ્રતાથી શાંત થાય તો ઠીક છે, નહિ તો તે મૃત્યુના
મુખમાં પડશે. આમ કહીને પોતાના સાળાને સુખેથી પોતાના મહેલમાં રાખી રાજા
પુષ્પોત્તર પાસે મહાબુદ્ધિશાળી દૂતો મોકલ્યા. તે દૂત જઈને પુષ્પોત્તરને કહેવા લાગ્યા કે
અમારા દ્વારા રાજા કીર્તિધવલે આપને બહુ જ આદરપૂર્વક કહેવરાવ્યું છે કે આપ મહાન
કુળમાં ઉત્પન્ન થયા છો, આપનાં કાર્યો નિર્મળ છે, આપ સર્વશાસ્ત્રના વેત્તા છો,
જગપ્રસિદ્ધ છો અને ઉંમરમાં સૌથી મોટા છો. આપે જે મર્યાદાની રીત જોઈ છે તે કોઈએ
કાનથી સાંભળી નથી. આ શ્રીકંઠ પણ ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ કુળમાં જન્મ્યો છે,
ધનવાન છે, વિનયવાન છે, સુન્દર છે, સર્વ કળામાં નિપુણ છે. આ કન્યા આવા જ વરને
આપવાને યોગ્ય છે. કન્યાનાં અને આનાં રૂપકુળ સમાન છે તો પછી તમારી સેનાનો
નાશ શા માટે કરાવવો? કન્યાનો તો એ સ્વભાવ જ છે કે તે પારકા ઘરનું સેવન કરે.
જ્યારે દૂત આ વાત કરી રહ્યા હતા ત્યારે પદ્માભાની મોકલેલી સખી પુષ્પોત્તરની નજીક
આવી અને કહેવા લાગી કે આપની પુત્રીએ આપના ચરણાવિંદમાં નમસ્કાર કરીને
વિનંતી કરી છે કે હું તો શરમને લીધે તમારી પાસે આવી નથી અને સખીને મોકલી છે.
હે પિતા! આ શ્રીકંઠનો જરા પણ દોષ નથી, અલ્પ પણ અપરાધ નથી, હું કર્માનુસાર
એની સાથે આવી છું. જે મોટા કુળમાં ઊપજેલી સ્ત્રી છે તેને એક જ વર હોય છે તેથી
આના સિવાય બીજાનો મારે ત્યાગ છે. આ પ્રમાણે આવીને સખીએ વિનંતિ કરી ત્યારે
રાજા ચિંતાતુર બની ગયો અને મનમાં વિચાર્યું કે હું સર્વ વાતે સમર્થ છું, યુદ્ધમાં લંકાના
સ્વામીને જીતીને શ્રીકંઠને બાંધીને લઈ જઈ શકું તેમ છું, પણ જ્યારે મારી કન્યા જ એને
વરી છે તો હું એને શું કહું? આમ જાણીને યુદ્ધ ન કર્યું અને જે કીર્તિધવલના દૂત આવ્યા
હતા. તેમને સન્માન આપીને વિદાય કર્યા તથા જે પુત્રીની સખી આવી હતી તેને પણ
સન્માન આપીને વિદાય કરી. સર્વ અર્થના વેત્તા રાજા પુષ્પોત્તર પુત્રીની વિનંતીથી શ્રીકંઠ
પર ક્રોધ ત્યજી પોતાના સ્થાનકે ગયા.
પછી માગસર સુદ એકમને દિવસે શ્રીકંઠ અને પદ્માના વિવાહ થયા. કિર્તિધવલે શ્રીકંઠને

Page 55 of 660
PDF/HTML Page 76 of 681
single page version

background image
પદ્મપુરાણછઠ્ઠું પર્વ પપ
કહ્યું કે વિજ્યાર્ધમાં તમારા શુત્ર ઘણા છે માટે તમે અહીં જ સમુદ્રની વચ્ચે જે દ્વીપ છે ત્યાં
રહો, તમારા મનને ગમે તે સ્થાન લઈ લ્યો. મારું મન તમને છોડી શકતું નથી અને તમે
મારી પ્રીતિનું બંધન તોડાવી કેવી રીતે જશો? આમ શ્રીકંઠને કહીને પછી પોતાના આનંદ
નામના મંત્રીને કહ્યું કે તમે મહાબુદ્ધિમાન છો અને અમારા દાદાના વખતના છો,
તમારાથી સાર-અસાર કાંઇ છૂપું નથી, માટે આ શ્રીકંઠને યોગ્ય જે સ્થાનક હોય તે
બતાવો. ત્યારે આનંદે કહ્યું કે મહારાજ! આપનાં બધાં જ સ્થાન મનોહર છે તો પણ આપ
જ જોઈને જે નજરમાં આવે તે આપો. સમુદ્રની વચ્ચે ઘણા દ્વીપ છે. કલ્પવૃક્ષ સમાન
વૃક્ષોથી મંડિત, નાના પ્રકારનાં રત્નોથી શોભિત મોટા મોટા પહાડવાળા, જ્યાં દેવો ક્રીડા
કરે છે તે દ્વીપોમાં મહારમણીક નગરો છે અને જ્યાં સ્વર્ગીય રત્નોના મહેલો છે તેમનાં
નામ સાંભળો. સંધ્યાકાર, સુવેલ, કાંચન, હરિપુર, જોધન, જલધિધ્વાન, હંસદ્વીપ, ભરક્ષમઠ,
અર્ધસ્વર્ગ, કૂટાવર્ત, વિઘટ, રોધન, અમલકાંત, સ્ફુટતટ, રત્નદ્વીપ, તોયાવલી, સર,
અલંઘન, નભોભાન, ક્ષેમ ઇત્યાદિ મનોજ્ઞ સ્થાનો છે, જ્યાં દેવ પણ ઉપદ્રવ કરી શકે તેમ
નથી. અહીંથી ઉત્તર ભાગમાં ત્રણસો યોજન સમુદ્રની વચ્ચે વાનરદ્વીપ છે, જે પૃથ્વીમાં
પ્રસિદ્ધ છે, ત્યાં બીજા બહુ રમણીક દ્વીપો છે. કેટલાક તો સૂર્યકાંતમણિની જ્યોત કરતાં પણ
વધુ દેદીપ્યમાન છે અને કેટલાક હરિતમણિની કાંતિથી એવા શોભે છે કે જાણે ઊગેલી
લીલી હરિયાળીથી ભૂમિ વ્યાપ્ત થઈ રહી હોય! અને કેટલાક શ્યામ ઇન્દ્રનીલમણિની
કાંતિના સમૂહથી એવા શોભે છે કે જાણે સૂર્યના ભયથી અંધકાર ત્યાં શરણે આવીને રહ્યો
છે. ક્યાંક લાલ પદ્મરાગમણિના સમૂહથી જાણે લાલ ફૂલોનું વન જ શોભે છે. ત્યાં એવો
સુગંધી પવન વાય છે કે આકાશમાં ઊડતાં પક્ષી પણ સુંગધથી મગ્ન થઈ જાય છે અને
ત્યાં વૃક્ષો પર આવીને બેઠાં છે. સ્ફટિકમણિની વચ્ચે મળેલા પદ્મરાગમણિથી સરોવરમાં
કમળ ખીલેલાં જણાય છે. તે મણિની જ્યોતિથી કમળનો રંગ જણાતો નથી. ત્યાં ફૂલોની
સુવાસથી પક્ષી ઉન્મત્ત થઇને એવા મધુર શબ્દો કરે છે કે જાણે તેઓ સમીપના દ્વીપ સાથે
અનુરાગભરી વાતો કરી રહ્યા હોય. ત્યાં ઔષધોની પ્રભાના સમૂહથી અંધકાર દૂર થાય
છે, ત્યાં કૃષ્ણ પક્ષમાં પણ ઉદ્યોત જ થઈ રહે છે. ત્યાં ફળો અને પુષ્પોથી મંડિત વૃક્ષોનો
આકાર છત્ર સમાન છે. તેને મોટીમોટી ડાળીઓ છે તેના ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યાં
છે. ત્યાં વાવ્યા વિના જ ધાન્ય આપમેળે જ ઊગે છે. કેવા છે તે ધાન્ય! વીર્ય અને
કાંતિનો વિસ્તાર કરતા મંદ પવનથી ડોલતાં શોભી રહ્યાં છે, તેનાથી પૃથ્વીએ જાણે કે
ચોળી (કંચુકી) પહેરી છે. ત્યાં લાલ કમળો ખીલી રહ્યાં છે, તેના ઉપર ભમરાઓ
ગુંજારવ કરી રહ્યા છે જાણે કે સરોવર નેત્રો વડે પૃથ્વીનો વિલાસ દેખી રહ્યું છે. નીલકમળ
તો સરોવરનાં નેત્ર થયાં અને ભમરાઓ આંખની ભ્રમર બની. ત્યાં છોડવા અને શેરડીના
સાંઠાની વિસ્તીર્ણ વાડ છે તે પવન વડે હાલવાથી અવાજ કરે છે. આવો સુન્દર વાનરદ્વીપ
છે. તેની મધ્યમાં કિહકુન્દા નામનો પર્વત છે. તે પર્વત રત્ન અને સુવર્ણની શિલાના
સમૂહથી શોભાયમાન છે. જેવો આ ત્રિકૂટાચલ મનોજ્ઞ છે તેવો જ કિહકુન્દ પર્વત મનોજ્ઞ છે.

Page 56 of 660
PDF/HTML Page 77 of 681
single page version

background image
પ૬છઠ્ઠું પર્વપદ્મપુરાણ
પોતાના ઊંચા શિખરો વડે દિશારૂપી સ્ત્રીને સ્પર્શ કરે છે. આનંદ મંત્રીનાં આવાં વચન
સાંભળીને રાજા કીર્તિધવલ ખૂબ આનંદ પામ્યા અને વાનરદ્વીપ શ્રીકંઠને આપ્યો. ચૈત્ર
મહિનાના પહેલા દિવસે શ્રીકંઠ પરિવાર સહિત વાનરદ્વીપમાં ગયા. માર્ગમાં પૃથ્વીની શોભા
જોતા જોતા ચાલ્યા જાય છે. તે પૃથ્વી નીલમણિની જ્યોતિથી આકાશ સમાન શોભે છે
અને મહાગ્રહોના સમૂહથી સંયુક્ત સમુદ્રને જોઈને આશ્ચર્ય પામ્યા. એ રીતે તે વાનરદ્વીપ
જઈ પહોંચ્યા. વાનરદ્વીપ જાણે બીજું સ્વર્ગ જ છે. પોતાનાં ઝરણાઓના શબ્દથી જાણે કે
રાજા શ્રીકંઠને બોલાવી રહ્યો છે. ઝરણાઓના છાંટા જાણે કે આકાશમાં ઊછળે છે, જાણે કે
તે રાજાના આવવાથી અતિહર્ષ પામી આનંદથી હસી રહ્યાં હોય. નાના પ્રકારના
મણિઓની કાંતિથી ઊપજેલા સુન્દર સમૂહથી જાણે કે તોરણોના સમૂહ જ ઊંચે ચડી રહ્યા
હોય. રાજા વાનરદ્વીપમાં ઊતર્યા અને ચારે તરફ પોતાની નીલકમલ સમાન દ્રષ્ટિ ફેલાવી.
સોપારી, ખારેક, આંબળાં, અગરચંદન, લાખ, પીપર, અર્જુન, કદંબ, આમલી, ચારોલી,
કેળા, દાડમ, એલચી, લવીંગ, મૌલશ્રી અને સર્વ પ્રકારના મેવાથી યુક્ત વિવિધ પ્રકારનાં
વૃક્ષોથી દ્વીપ શોભાયમાન જોયો. એવી મનોહર ભૂમિ જોઇ કે જ્યાં દેખે ત્યાંથી બીજી તરફ
દ્રષ્ટિ જ ન ખસે. ત્યાં વૃક્ષો સીધાં અને વિસ્તીર્ણ ઉપરના છત્રથી બની રહ્યાં હતાં. સઘન
સુન્દર પાંદડાં અને શાખા તથા ફૂલોના સમૂહથી શોભે છે, મહારસદાર, સ્વાદિષ્ટ, મિષ્ટ
ફળોથી નીચાં નમી ગયાં છે. વૃક્ષો અત્યંત રસીલાં છે, અતિ ઊંચાં નથી, અતિ નીચાં
નથી, જાણે કે કલ્પવૃક્ષો જ શોભે છે. વેલો ઉપર ફૂલોના ગુચ્છ લાગી ગયા છે. તેમના
ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. જાણે કે આ વેલ તો સ્ત્રી છે, તેનાં જે પાંદડાં છે તે
તેના હાથની હથેલી છે અને ફૂલોના ગુચ્છ તેના સ્તન છે અને ભમરાઓ નેત્ર છે, તે
વૃક્ષો સાથે વીંટળાયેલી છે. એવાં જ સુન્દર પક્ષીઓ બોલે છે અને એવા જ મનોહર
ભમરા ગુંજારવ કરે છે, જાણે કે પરસ્પર આલાપ કરે છે. ત્યાં કેટલાક દેશો તો સુવર્ણ
સમાન કાંતિ ધારણ કરે છે, કેટલાક કમળ સમાન અને કેટલાક વૈડૂર્ય મણિસમાન છે. તે
દેશ નાના પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, જેને જોયા પછી સુવર્ણભૂમિ પણ રુચતી નથી. ત્યાં
દેવ ક્રીડા કરે છે, ત્યાં હંસ, સારસ, પોપટ, મેના, કબૂતર, કબૂતરી ઇત્યાદિ અનેક જાતિનાં
પક્ષીઓનાં યુગલ ક્રીડા કરે છે, જીવોને કોઇ પ્રકારની બાધા નથી. જાતજાતના વૃક્ષોના
મંડપ, રત્નસુવર્ણના અનેક નિવાસ, પુષ્પોની અતિ સુગંધ છે એવા ઉપવનમાં સુન્દર
શિલાઓ ઉપર રાજા બિરાજ્યા. સેના પણ સકળ વનમાં ઊતરી. તેમણે હંસો અને
મયૂરોના વિવિધ શબ્દો સાંભળ્‌યા અને ફળફૂલોની શોભા જોઇ. સરોવરોમાં માછલાને કેલિ
કરતા જોયા. વૃક્ષોનાં ફૂલ ખર્યાં છે, પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. જાણે કે તે વન
રાજાના આગમનથી ફૂલોની વર્ષા કરી રહ્યું છે અને જયજયકારના શબ્દ કરી રહ્યું છે.
નાના પ્રકારનાં રત્નોથી મંડિત પૃથ્વીમંડળની શોભા જોઈ વિદ્યાધરોનું ચિત્ત ખૂબ આનંદ
પામ્યું. નંદનવન સરખા તે વનમાં રાજા શ્રીકંઠે ક્રીડા કરતા ઘણા વાંદરા જોયા. તેમની
અનેક પ્રકારની ચેષ્ટા હતી. રાજા એ જોઈને મનમાં વિચારવા લાગ્યા કે તિર્યંચ યોનિનાં
આ પ્રાણીઓ મનુષ્ય સમાન લીલા કરે

Page 57 of 660
PDF/HTML Page 78 of 681
single page version

background image
પદ્મપુરાણ છઠ્ઠું પર્વ પ૭
છે. તેમના હાથપગનો સર્વ આકાર મનુષ્ય જેવો છે. તેમની ચેષ્ટા જોઈને રાજા ચકિંત થઈ
ગયા. તેમણે પાસે રહેલા પુરુષોને કહ્યું કે જાવ. એમને મારી પાસે લાવો. રાજાની
આજ્ઞાથી તેઓ કેટલાક વાંદરાઓને પકડી લાવ્યા. રાજાએ તેમને ઘણા પ્રેમથી રાખ્યા અને
તેમને નૃત્ય કરતાં શીખવ્યું. તેમના સફેદ દાંતને દાડમના ફૂલથી રંગીને તમાશા જોયા,
તેમનીં મુખમાં સોનાના તાર લગાવીને કુતૂહલ કરાવ્યું. તે અંદરોઅંદર એકબીજાની જૂ
માથામાંથી કાઢતા હતા તેના તમાશા જોયા અને તેઓ અંદરોઅંદર સ્નેહ અને કલહ કરતા
હતા તેના તમાશા પણ જોયા. રાજાએ તે વાંદરા માણસોને રક્ષા નિમિત્તે સોંપ્યા અને મીઠા
મીઠા ભોજન વડે તેમનો સત્કાર કર્યો. તે વાંદરાને સાથે લઈને કિહકુંદ પર્વત ઉપર ચડયા.
સુન્દર વૃક્ષ, સુન્દર વેલો અને પાણીનાં ઝરણાઓથી રાજાનું ચિત્ત હરાઈ ગયું. ત્યાં પર્વત
ઉપર સપાટ વિસ્તીર્ણ ભૂમિ જોઈ. ત્યાં કિહકુંદ નામનું નગર વસાવ્યું. તે નગરમાં
વેરીઓનું મન પણ પ્રવેશી શકે તેમ નહોતું. તે ચૌદ યોજન લાંબું, ચૌદ યોજન પહોળું
અને બેંતાલીસ યોજનથી કાંઈક અધિક તેનું પરીધ હતું. જેના મણિના કોટ હતા, રત્નોના
દરવાજા અને રત્નોના મહેલ છે. રત્નોના કોટ એટલા ઊંચા છે કે પોતાના શિખરથી જાણે
કે આકાશને જ અડી રહ્યા છે, દરવાજા ઊંચા મણિઓથી એટલા શોભે છે કે જાણે તે
પોતાની જ્યોતિથી સ્થિર થઈ ગયા છે. ઘરના ઉંબરા પદ્મરાગ મણિના છે તે અત્યંત લાલ
છે જાણે છે કે આ નગરી નારીસ્વરૂપ છે, તે તાંબૂલથી પોતાના હોઠ લાલ કરી રહી છે.
દરવાજા મોતીની માળાઓ સહિત છે. જાણે કે આખો લોક જ સંપદાને હસી રહ્યો છે અને
મહેલના શિખર પર ચંદ્રકાંતમણિ જડેલા છે. તે રાત્રે અંધારી રાતે ચંદ્ર ઊગી રહ્યો હોય
એવા લાગે છે. વિવિધ પ્રકારનાં રત્નોની પ્રભાની પંક્તિથી જાણે ઊંચાં તોરણ ચડી રહ્યાં
છે. ત્યાં વિદ્યાધરોની બનાવેલી ઘરની હારો ખૂબ શોભે છે. ઘરના ચોક મણિઓના છે,
નગરના રાજમાર્ગ, બજાર એકદમ સીધાં છે, તેમાં વક્રતા નથી. તે અતિવિસ્તીર્ણ છે, જાણે
કે રત્નના સાગર જ છે. સાગર જળરૂપ છે, આ સ્થળરૂપ છે. મકાનોની ઉપર લોકોએ
કબૂતરોના નિવાસ નિમિત્તે સ્થાન બનાવી રાખ્યા છે તે કેવા શોભે છે? જાણે રત્નના તેજે
નગરીમાંથી અંધકાર દૂર કરી દીધો છે તે શરણે આવીને સમીપમાં પડયો છે. ઈત્યાદિ
નગરનું વર્ણન ક્યાં સુધી કરીએ? ઇન્દ્રના નગર સમાન તે નગરમાં રાજા શ્રીકંઠ પદ્માભા
રાણી સહિત સ્વર્ગમાં શચી સહિત સુરેશ રમે તેમ ઘણા કાળ સુધી રમતા રહ્યા. જે વસ્તુ
ભદ્રશાલ વનમાં, સૌમનસ વનમાં તથા નંદનવનમાં પ્રાપ્ત ન થાય તે રાજાના વનમાં
પ્રાપ્ત થતી હતી.
એક દિવસ રાજા મહેલમાં બિરાજતા હતા ત્યારે અષ્ટાહિનકાના દિવસોમાં ઇન્દ્રને
ચારે પ્રકારના દેવો સહિત નંદીશ્વરદ્વીપમાં જતા જોયા. દેવીઓના મુગટની પ્રભાથી
આકાશને અનેક રંગરૂપ જ્યોતિ સહિત જોયું. વાજિંત્રો વગાડનારાના સમૂહથી દશે દિશા
શબ્દરૂપ થતી દેખી, કોઈને કોઈનો શબ્દ ન સંભળાય, કેટલાક દેવો માયામયી હંસો ઉપર,
અશ્વો ઉપર, એમ અનેક પ્રકારના વાહનો ઉપર ચઢીને જતા જોયા. દેવોના શરીરની
સુગંધથી દશે દિશા વ્યાપ્ત થઈ થઈ

Page 58 of 660
PDF/HTML Page 79 of 681
single page version

background image
પ૮છઠ્ઠું પર્વ પદ્મપુરાણ
હતી. રાજાએ આ અદ્ભુત ચરિત્ર જોઈને મનમાં વિચાર્યું કે દેવો નંદીશ્વરદ્વીપમાં જાય છે.
આ રાજાએ પણ પોતાના વિદ્યાધરો સહિત નંદીશ્વરદ્વીપ જવાની ઈચ્છા કરી. વિવેક વિના
વિમાનમાં બેસીને તે રાણી સહિત આકાશના માર્ગે ચાલ્યા; પરંતુ માનુષોતર પર્વતથી
આગળ એમનું વિમાન ચાલી ન શક્યું, દેવો ચાલ્યા ગયા અને એ અટકી ગયા. ત્યારે
રાજાએ ખૂબ વિલાપ કર્યો, મનનો ઉત્સાહ ભાંગી ગયો, કાંતિ ઝાંખી પડી ગઈ અને
મનમાં વિચાર્યું કે અરે! ખેદની વાત છે કે અમે હીનશક્તિના ધારક વિદ્યાધર મનુષ્યો
અભિમાન રાખીએ છીએ. ધિક્કાર છે અમને! મારા મનમાં એમ હતું કે હું નંદીશ્વરદ્વીપમાં
ભગવાનનાં અકૃત્રિમ ચૈત્યાલયોના ભાવસહિત દર્શન કરીશ અને નાના પ્રકારનાં
મહામનોહર પુષ્પ, ધૂપ, ગંધ ઈત્યાદિ અષ્ટદ્રવ્યોથી પૂજા કરીશ, વારંવાર ધરતી પર મસ્તક
અડાડીને નમસ્કાર કરીશ ઈત્યાદિ મેં જે મનોરથ કર્યા હતા તે પૂર્વોપાર્જિત અશુભ કર્મથી
મને મંદ ભાગ્યવાળાને પ્રાપ્ત ન થયા. મેં પહેલાં અનેકવાર એ વાત સાંભળી હતી કે
માનુષોતર પર્વત ઓળંગીને મનુષ્ય આગળ જઈ શકતો નથી; તો પણ અત્યંત
ભક્તિરાગથી હું એ વાત ભૂલી ગયો. હવે હું એવું કાર્ય કરું કે અન્ય જન્મમાં નંદીશ્વરદ્વીપ
જવાની મને શક્તિ મળે આમ. નિશ્ચય કરીને વજ્રકંઠ નામના પુત્રને રાજ્ય આપી, સર્વ
પરિગ્રહનો ત્યાગ કરી રાજા શ્રીકંઠ મુનિ થયા. એક દિવસ વજ્રકંઠે પોતાના પિતાના
પૂર્વભવ જાણવાની ઈચ્છા કરી. વૃદ્ધ પુરુષો વજ્રકંઠને કહેવા લાગ્યા કે મુનિઓએ અમને
તેમના પૂર્વભવ વિષે આમ કહ્યું હતું. પૂર્વભવમાં બે વણિક ભાઈ હતા. તેમની વચ્ચે ઘણી
પ્રીતિ હતી. સ્ત્રીઓએ તેમને જુદા કર્યા. તેમાં નાનો ભાઈ ગરીબ અને મોટો ભાઈ
ધનવાન હતો. મોટો ભાઈ શેઠની સોબતથી શ્રાવક બન્યો અને નાનો ભાઈ દુર્વ્યસની
બની દુઃખમાં દિવસો પૂરા કરતો હતો. મોટો ભાઈએ નાના ભાઈની આ દશા જોઈને ઘણું
ધન આપ્યું અને ભાઈને ઉપદેશ આપી વ્રત લેવરાવ્યા. પોતે સ્ત્રીનો ત્યાગ કરી, મુનિ
થઈ, સમાધિમરણ કરી ઇન્દ્ર થયો. નાનો ભાઈ શાંત પરિણામી થઈ, શરીર છોડી દેવ થયો
અને દેવમાંથી ચ્યવી શ્રીકંઠ થયો. મોટા ભાઈનો જીવ ઇન્દ્ર થયો હતો તે નાના ભાઈ
પ્રત્યેના સ્નેહથી પોતાનું સ્વરૂપ બતાવતો નંદીશ્વરદ્વીપ ગયો. તે ઇન્દ્રને જોઈ રાજા શ્રીકંઠને
જાતિસ્મરણ થયું અને તે વૈરાગી થયા. પોતાના પિતાનું આ વ્યાખ્યાન સાંભળીને રાજા
વજ્રકંઠ પોતાના પુત્ર ઇન્દ્રાયુપ્રભને રાજ્ય આપી મુનિ થયા અને ઇન્દ્રાયુપ્રભ પણ ઇન્દ્રભૂત
નામના પુત્રને રાજ્ય આપી, મુનિ થયા. તેમને મેરુ, મેરુને મંદિર, તેને સમીરણગતિ, તેને
રવિપ્રભ, તેને અમરપ્રભ નામના પુત્ર થયા. તે લંકાના ધણીની પુત્રી ગુણવતીને પરણ્યો.
તે ગુણવતીએ રાજા અમરપ્રભના મહેલમાં અનેક જાતનાં ચિત્રો જોયાં ક્યાંક શુભ સરોવર
જોયાં, જેમાં કમળ ખીલી રહ્યાં હતાં અને ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. ક્યાંક
નીલકમળ ખીલી રહ્યાં હતાં, હંસના યુગલો ક્રીડા કરી રહ્યાં હતાં, જેમની ચાંચમાં કમળના
તંતુઓ હતા. ક્રોંચ, સારસ ઈત્યાદિ અનેક પક્ષીઓના ચિત્રો જોયા અને તે પ્રસન્ન થઈ.
એક તરફ પાંચ પ્રકારનાં રત્નોના ચૂર્ણથી વાનરોનાં સ્વરૂપ જોયા, જે વિદ્યાધરોએ ચીતર્યાં
હતાં. તે રાણી વાનરોનાં ચિત્રો

Page 59 of 660
PDF/HTML Page 80 of 681
single page version

background image
પદ્મપુરાણ છઠ્ઠું પર્વ પ૯
જોઈને ભયભીત થઈને કાંપવા લાગી, રોમાંચ ખડાં થઈ ગયાં, પરસેવાના રેલાથી કપાળ
ઉપરનો ચાંદલો ભુંસાઈ ગયો અને આંખની કીકીઓ ફરવા લાગી. રાજા અમરપ્રભ આ
બનાવ જોઈને ઘરના નોકરો ઉપર ખૂબ ખિજાયો કે મારા વિવાહમાં આ ચિત્રો કોણે
બનાવરાવ્યાં કે જેને જોઈને મારી પ્યારી રાણી ડરી ગઈ. ત્યારે વૃદ્ધ પુરુષોએ અરજ કરી
કે મહારાજ! આમાં કોઈનો પણ અપરાધ નથી. આપે કહ્યું કે આ ચિત્રો બનાવનારે
આપણને વિપરીત ભાવ બતાવ્યા તો એવો કોણ છે કે આપની આજ્ઞા સિવાય કામ કરે?
બધાનાં જીવનનું મૂળ આપ છો, આપ પ્રસન્ન થઈને અમારી વિનંતી સાંભળો. અગાઉ
તમારા વંશમાં પ્રસિદ્ધ રાજા શ્રીકંઠ થયા હતા. તેમણે આ સ્વર્ગ સમાન નગર વસાવ્યું હતું
અને જાતજાતનાં કુતૂહલોના સ્થાનરૂપ આ દેશનું મૂળ કારણ તેઓ હતા. જેવી રીતે કર્મોનું
મૂળ કારણ રાગાદિક પ્રપંચ છે. વનના મધ્યમાં સુખેથી બેઠેલી કિન્નરી જેમના ગુણ ગાય
છે અને કિન્નરો ગુણ ગાય છે, ઈન્દ્ર સમાન જેમની શક્તિ હતી એવા તે રાજાએ પોતાની
સ્થિર પ્રકૃતિથી લક્ષ્મીની ચંચળતાથી ઊપજેલા અપયશને દૂર કર્યો. રાજા શ્રીકંઠ આ
વાંદરાઓને જોઈને આશ્ચર્ય પામ્યા, તેમની સાથે રમ્યા, તેમને મીઠાં મીઠાં ભોજન આપ્યાં
અને એમનાં ચિત્રો દોરાવ્યાં. પછી તેમને વંશમાં જે રાજાઓ થયા તેમણે માંગલિક
કાર્યોમાં આ ચિત્રો મૂક્યાં અને વાનરો પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખ્યો એટલે પૂર્વની રીત
પ્રમાણે જ અત્યારે આ ચિત્રો રાખ્યા છે. જ્યારે આમ કહેવામાં આવ્યું ત્યારે રાજાએ ક્રોધ
ત્યજી, પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે અમારા વડીલોએ આ ચિત્રોને મંગલ કાર્યમાં મૂક્યા છે
તો હવે એને જમીન ઉપર ન રાખો કે જ્યાં મનુષ્યના પગ પડે છે. હું એને મુગટમાં
રાખીશ અને ધજાઓમાં એનાં ચિહ્ન કરાવો અને મહેલોનાં શિખર તથા છત્રોના શિખર
ઉપર એનાં ચિહ્ન કરાવો, અને મંત્રીઓને આ આજ્ઞા કરવામાં આવી. મંત્રીઓએ તે
પ્રમાણે કાર્ય કર્યું. રાજાએ ગુણવતી રાણી સાથે પરમ સુખ ભોગવતાં વિજ્યાર્ધની બન્ને
શ્રેણીઓને જીતવાની ઈચ્છા કરી. તે મહાન ચતુરંગ સેના લઈને વિજ્યાર્ધ ગયા. રાજાની
ધજાઓ અને મુગટો ઉપર વાનરોનાં ચિહ્ન હતાં. રાજાએ વિજ્યાર્ધ ઉપર ચડાઈ કરી બન્ને
શ્રેણીઓના રાજાઓને જીતીને વશ કર્યા. સંપૂર્ણપણે પોતાના આજ્ઞાવર્તી બનાવ્યા. કોઈનું
પણ ધન લીધું નહિ. જે મહાન પુરુષ છે તેમનો એ નિયમ છે કે તે રાજાઓને નમાવે,
પોતાની આજ્ઞા નીચે આણે, પણ કોઇનું ધન ન હરી લે. રાજા સર્વ વિદ્યાધરોને પોતાની
આજ્ઞા નીચે લાવી પછી કિહકૂપુર આવ્યા. વિજ્યાર્ધના મોટા રાજાઓ સાથે આવ્યા. તેમણે
સર્વ વિદ્યાધરોના અધિપતિ બની ઘણા દિવસો સુધી રાજ્ય કર્યુ. લક્ષ્મી ચંચળ હતી તેને
ન્યાય-નીતિની બેડી નાખીને સ્થિર કરી. તેમના પુત્ર કપિકેતુ થયા. તેમની શ્રીપ્રભા રાણી
ઘણા ગુણોવાળી હતી. તે રાજા કપિકેતુ પોતાના પુત્ર વિક્રમસંપન્નને રાજ્ય આપી વૈરાગી
થયા. તે વિક્રમસંપન્ન પોતાના પુત્ર પ્રતિબલને રાજ્ય આપી વૈરાગી થયા. આ
રાજ્યલક્ષ્મીને વિષની વેલી સમાન જાણો. મહાન પુરુષોને પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી
આ લક્ષ્મી વિના પ્રયત્ને જ મળે છે, પરંતુ તેમને લક્ષ્મીમાં વિશેષ પ્રીતિ હોતી નથી. તેમને લક્ષ્મીનો