Hoon Parmatma (Gujarati). Pravachan: 3-5.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 13

 

Page 10 of 238
PDF/HTML Page 21 of 249
single page version

background image
૧૦] [ હું
મિથ્યાદર્શનથી મોહેલો ૮૪ લાખ યોનિમાં રખડે છે, ‘મુનિવ્રત ધાર અનંત બાર
ગ્રૈવયેક ઉપજાયો, પણ આતમજ્ઞાન બિન ન લેશ સુખ પાયો.’ દિગંબર સાધુ થાય, ૨૮
મૂળ ગુણ પાળે, પણ એ તો રાગ છે, તેમાં હિત માને એ મિથ્યાશ્રદ્ધાથી મોહેલો પ્રાણી છે.
તેને આત્માના જ્ઞાન ને આનંદની ખબર નથી તેથી તે મરીને ચાર ગતિમાં રખડવાના
છે. મિથ્યાશ્રદ્ધાવાળાને જરીયે સુખ નથી એમ કહ્યું. મિથ્યાશ્રદ્ધા એટલે શું? આપણે કુદેવ-
કુશાસ્ત્ર-કુગુરુને માનતા નથી, આપણે પંચમહાવ્રત પાળીએ છીએ, માટે આપણને
મિથ્યાશ્રદ્ધા નથી; પણ એ પંચમહાવ્રત રાગ છે, એને પાળું ને એ મારા છે એ માન્યતા
પોતે જ મિથ્યાશ્રદ્ધા છે, તેથી તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ભલે તે જીવ દિગંબર સાધુ
થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ એ ભાવ મને હિતકર છે એમ માને છે તેને
મિથ્યાદર્શનનું ઝેર ચઢેલું છે, તેને આત્માના અમૃતનો જરીયે સ્વાદ હોતો નથી. ૪.
जई वीहउ चउ–गई गमणा पर–भाव चएहि ।
अप्पा झायहि णिम्मलउ जिम सिव–सुक्ख लहेहि।। ५।।
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. પ.
શુભ ને અશુભ રાગ એ સ્વરૂપમાં નથી, એને હિતકર માનવો એ જ
મિથ્યાદર્શનમાં મોહેલો જીવ છે, તેથી આત્માના ધર્મનું કારણ કોણ તે કહે છે.
* ચાર ગતિનો ભય લાગ્યો હોય તો પરભાવને છોડ *
ચાર ગતિનો ભય લાગે, સ્વર્ગમાં અવતરવું એ પણ દુઃખ માને. કેટલાક કહે છે
કે આપણે અત્યારે વ્રતાદિ પાળો, સ્વર્ગમાં જઈશું ને ત્યાંથી ભગવાન પાસે જઈશું. પણ
અત્યારે તો આત્માનો અનાદર કરે છે, ભગવાને કહ્યું કે દયા-દાન-વ્રતાદિ આત્માના
હિતનું કારણ નથી એને તો તું માનતો નથી. ભગવાનનો તો તું અનાદર કરે છે તો
સ્વર્ગમાંથી ભગવાન આગળ સાંભળવા જઈશું એ ખોટી ભ્રમણા છે.
એક બળદ હતો તે ખોવાઈ ગયો. તેનો માલિક બળદ શોધવા માટે લુહારને ત્યાં
આવ્યો કે તમારી પાસે બળદને ખસ્સી કરવા એકવાર લાવેલ તેથી કદાચ અહીં આવ્યો
હોય! લુહાર કહે કે ભાઈ! એ બળદ અહીં તે પાછો આવતો હશે? ખસ્સી કરાવવામાં
તો બહુ ત્રાસ થાય ને તે અહીં પાછો ડોકાતો હશે?-એમ વાત આવે છે. તેમ અહીં કહે
છે કે જેને ૮૪ લાખ યોનિના ત્રાસ લાગ્યા છે ને ફરી હવે મારે આ ગતિમાં નથી
આવવું-તેને માટે આ વાત છે.
ટૂંકો સિદ્ધાંત કહે છે કે જો તને ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો, ભગવાન
સચ્ચિદાનંદ પ્રભુ સિવાય પુણ્ય-પાપનો રાગ પરભાવ છે, એ પરભાવને તું છોડી દે. બહુ
ટૂંકી ને ટચ વાત કરી છે કે ભવભ્રમણનો ત્રાસ લાગ્યો હોય તો પરભાવને છોડી દે. તેનો

Page 11 of 238
PDF/HTML Page 22 of 249
single page version

background image
પરમાત્મા] [૧૧
અર્થ કે વ્યવહાર છે તે પરભાવ છે, તે પરભાવને છોડ! તો નિશ્ચય પમાશે. વ્યવહાર
કરતાં કરતાં નિશ્ચય થશે એ વાત રહેતી નથી. પહેલાં વ્યવહાર પાળો! વ્યવહાર પાળો!
દયા-દાન-વ્રત-સંયમ પહેલાં પાળો! વ્યવહાર પાળો! એટલે કે વિભાવને પાળો એમ
ને! અહીં તો કહે છે કે એ પરભાવને છોડી દે! રાગની મંદતા હોય, કષાયની મંદતા
હોય તો તેમાંથી શુદ્ધતા થશે-એ મિથ્યાત્વ છે. શુભમાંથી શુદ્ધતા નહીં થાય, શુભને છોડ
તો શુદ્ધતા થશે.
ભગવાન આત્મા જ્ઞાતાનો ભંડાર, તેનાથી ભિન્ન જેટલો ભાવ-જે ભાવે તીર્થંકર
ગોત્ર બાંધે તે ભાવ પણ-પરભાવ પરભાવ પરભાવ છે. જો તને ચારગતિના દુઃખનો
ભય લાગ્યો હોય તો ઈ પરભાવ છોડ. રાગ મને લાભદાયક છે એમ જે માને છે તે
શરીરને જીવ માને છે. ભગવાન આત્મા સચ્ચિાદાનંદ પ્રભુ છે ને શરીર, કર્મ રાગ
શુભાશુભભાવ તે બધું શરીર છે. રાગના કણને પોતાના માને છે તે બહિરાત્મા શરીરને
જ આત્મા માને છે.
બાપુ! ભાઈ! જો તને ચાર ગતિનો ડર લાગ્યો હોય તો પરભાવને છોડ. શેનો
ત્યાગ કરવો? શુભાશુભ ભાવનો ત્યાગ કર; ઘરબાર કે દી એનામાં હતાં તે એનો
ત્યાગ કરે! એની પર્યાયમાં પર્યાયપણે પકડેલો પરભાવ તેને દ્રવ્યદ્રષ્ટિએ તું છોડ,
વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ પરભાવ છે, દયા-દાન-વ્રત-ભક્તિના ભાવ પણ
પરભાવ છે, તેને છોડ! તે ગતિનું કારણ છે, મોક્ષનું કારણ નથી.
* મોક્ષનો ઉપાયઃ શુદ્ધાત્માનું ધ્યાન *
આ તો નાસ્તિથી વાત કરી. ત્યારે હવે શું?-કે નિર્મળ ભગવાન આત્માનું ધ્યાન
કર. કેવો આત્મા?-કે અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વસત્તાએ બિરાજમાન પૂર્ણાનંદનો નાથ
કેવળજ્ઞાન સત્તાથી ભરેલું તત્ત્વ આત્મા છે તેનું ધ્યાન કર. જેમાં અનંતા નિર્મળ ગુણો
ભર્યા છે તેનું ધ્યાન પર્યાયમાં કર. આત્મા વસ્તુ છે ને ધ્યાન એ પર્યાય છે. મોક્ષના
સુખનો ઉપાય શું? મોક્ષનો માર્ગ શું?-કે આત્મા અખંડાનંદ જ્ઞાનની મૂર્તિ છે તેનું ધ્યાન
કરવું તે મોક્ષનો માર્ગ છે, તે મોક્ષનો ઉપાય છે. ધ્યાનમાં દર્શન-જ્ઞાન ને ચારિત્ર ત્રણેય
આવી જાય છે. પોતાની શુદ્ધ સત્તાનો આદર કરવો તે ધ્યાન ને મોક્ષનો માર્ગ છે. આત્મા
તરફનું ધ્યાન તે એક જ સંવર-નિર્જરાનો માર્ગ છે.
આત્માને ઓળખ. બહું ટૂંકી વાત કરી દીધી છે. આત્મા એટલે એક સમયની
પર્યાય-પુણ્ય-પાપ જેવડો નહીં પણ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ કે જેના અંતર્મુખના
અવલોકને સંસારની ગંધ પણ રહેતી નથી. એવા નિર્મળ આત્માનું-ત્રિકાળીનું ધ્યાન
કર-એ મોક્ષનું કારણ છે. આત્મા અખંડાનંદ પ્રભુની સામું જોઈને એકાગ્ર થવું એનું
નામ સમાયિક છે.
તત્ત્વાર્થસૂત્રનું સૂત્ર છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ- એ ત્રણે અહીં
આત્માના ધ્યાનમાં સમાડી દીધા છે. અઠયાવીસ મૂળગુણ એ આત્મધ્યાન નહીં, એ
પરભાવ હતાં, પરધ્યાન હતું, આત્મધ્યાન ન હતું. અહીં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે
આત્મા કોણ છે

Page 12 of 238
PDF/HTML Page 23 of 249
single page version

background image
૧૨] [હું
એને પહેલાં જાણજે ને પછી તેનું ધ્યાન કરજે. એટલે કે જે દ્રષ્ટિ બહાર તરફ છે. પર
તરફ છે તેનો પલટો મારીને અંદર સ્વ તરફ કરજે; તેનાથી શાંતિ ને શિવસુખ પામીશ,
એ સિવાય મોક્ષના સુખની પ્રાપ્તિનો બીજો ઉપાય વીતરાગ પરમેશ્વરના માર્ગમાં નથી
અને બીજે તો છે જ નહીં. હવે છઠ્ઠી ગાથા કહે છેઃ-
આત્માના ત્રણ પ્રકાર છે. આત્મા આત્મા કરે છે ને! તેને આત્માની પર્યાયના
ત્રણ પ્રકાર કહે છે. એકલો નિર્મળ આત્મા અનાદિથી છે એમ કહે છે તે ખોટું, એકલો
મલિન જ આત્મા કહે છે તે પણ ખોટું; ત્રણ પ્રકારે આત્મા છે, તે કહે છેઃ-
ति–पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु ।
पर झायहि अंतर सहिउ बाहिरु चयहि णिभंतु ।। ६।।
ત્રિવિધ આત્માની જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મસ્વરૂપ. ૬.
આત્માને પર્યાય અવસ્થાથી ત્રણ પ્રકારે જાણો; દ્રવ્ય અપેક્ષાએ તો ત્રિકાળી
એકરૂપ આત્મા છે. પર્યાયમાં ભૂલ, ભૂલનું ટળવું ને નિર્ભૂલની પૂરણ પ્રાપ્તિ-એ બધું
પર્યાયમાં છે. બહિરાત્માપણું એટલે કે પુણ્ય-પાપના રાગને પોતાના માનવો એ એની
પર્યાયમાં છે, અંતરાત્માપણું એટલે કે આત્મા શુદ્ધ છે એમ માનવું તે એની પર્યાયમાં છે
અને પૂરણ પરમાત્મપણે પરિણમવ્રું એ પણ એની પર્યાયમાં છે.
શક્તિરૂપે તો દરેક આત્મા પરમાત્મા છે. પરમાત્માની બધી અવસ્થા જે સાદિ-
અનંત પ્રગટ થવાની છે તે બધી શક્તિ તો વર્તમાનમાં આત્મામાં પડી છે, પરંતુ અહીં
તો પ્રગટ પૂરણ પર્યાયની અપેક્ષાએ પરમાત્માની વાત કરે છે.
નિર્વિકલ્પ શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ હજુ પર્યાયમાં પ્રગટ થયું નથી પણ વસ્તુએ
આવો છું એમ જેણે શ્રદ્ધા-જ્ઞાનથી-ધ્યાનથી નક્કી કર્યું છે તેને વર્તમાન દશાની
નિર્મળતાની -અપૂર્ણ નિર્મળ દશાની અપેક્ષાએ અંતરાત્મા કહેવામાં આવે છે.
ભગવાન પૂરણ શુદ્ધ નિર્મળાનંદ છે અને એ સિવાયના દયા-દાન-વ્રત-ભક્તિના
પરિણામ ને દેહની ક્રિયા તેને પોતાની માનનારો, તેનાથી હિત માનનારો, તેને ભિન્ન
નહીં માની શકનારો આત્મા બહિરાત્મા છે. રાગાદિના પરિણામ જે આસ્રવતત્ત્વ છે, તે
બર્હિતત્ત્વ છે, તેને આત્માના હિતરૂપ માનનારો બહિરાત્મા છે. કર્મજન્ય ઉપાધિના
સંસર્ગમાં આવીને ક્યાંય પણ ઉલ્લસિત વીર્યથી હોંશ કરવી એ બહિરાત્મા છે. ભગવાન
આત્માનો ઉલ્લસિત વીર્યથી આદર છોડીને બહારના કોઈ પણ ઉપાધિભાવ કે કર્મજન્ય
સંયોગના સંસર્ગમાં આવતાં તેમાં વીર્ય ઉલ્લસિત થઈ જાય કે “આહાહા! આહાહા!”-
એમ પરમાં વિસ્મયતા થઈ જાય તેને બહિરાત્મા કહે છે. અંતરના આનંદથી રાજી ન
થયો ને બહારના શુભાશુભભાવ ને એના ફળ કે જે આત્માના સ્વભાવથી બાહ્ય વર્તે છે
તેમાં ખુશી થયો, તેમાં આત્માપણું માન્યું એને બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ કહે છે.

Page 13 of 238
PDF/HTML Page 24 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩
સમકિતી ચક્રવર્તી છ ખંડનો રાજા છન્નુ હજાર રાણીઓના વૃંદમાં પડેલો હોય
તેને બાહ્યત્યાગ ન દેખાવા છતાં અંતરંગમાં રાગનો વિવેક અને રાગનો ત્યાગ વર્તે છે
એટલે કે રાગની ભિન્નતા અને આત્માની એકતામાં રાગનો ત્યાગ વર્તે છે. બહિરાત્મા
નગ્ન દિગંબર થઈને અઠ્ઠાવીસ મૂળગુણ પાળે, ચામડા ઉતરડીને ખાર છાંટે તોય ક્રોધ ન
કરે પણ અંતરમાં રાગનો અત્યાગ ને રાગની સાથે એકત્વબુદ્ધિ પડી છે તે બહિરાત્મા
બાહ્યબુદ્ધિમાં રાજી થનાર મિથ્યાદ્રષ્ટિ છે. શરીરમાં નીરોગતા મારા આત્માને સાધન થશે,
રોગ વખતે શરીરમાં પ્રતિકૂળતા હતી હવે શરીરમાં નીરોગતા થઈ, પૈસાદિની સગવડતા
થઈ, હવે હું નીરાંતે ધર્મધ્યાન કરી શકીશ-એમ આત્મા સિવાય રજકણથી માંડી
બાહ્યઋદ્ધિમાં ક્યાંય અનુકૂળતા કલ્પી જવાય ને પ્રતિકૂળતાના ગંજમાં એના કારણે
ક્યાંય અણગમો થાય એની બુદ્ધિ બાહ્યમાં રોકાયેલી હોવાથી તે બહિરાત્મા છે.
એ ભ્રાંતિ ને શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે. શુભાશુભભાવથી માંડીને
જગતની સમસ્ત સામગ્રીમાં અનુકૂળતા ને પ્રતિકૂળતામાં ઉલ્લાસીત વીર્યને છોડી દે.
હરખના સડકે ચઢેલો તારો ભાવ એ બહિરાત્મા છે, તથા પ્રતિકૂળતામાં ખેદે ચઢેલો તારો
ભાવ એ પણ બહિરાત્મા છે. એ ભ્રાંતિ-શંકા રહિત થઈને બહિરાત્મપણું છોડી દે.
શ્રદ્ધા-જ્ઞાનમાં બહિરાત્મબુદ્ધિનો ત્યાગ કરીને અંતરાત્માને ગ્રહણ કરી પરમાત્માનું
ધ્યાન કર. અંતરાત્માનું ધ્યાન કરવાનું નથી પણ પરમાત્માનું ધ્યાન કર-એનું નામ
મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે.

Page 14 of 238
PDF/HTML Page 25 of 249
single page version

background image
૧૪] [હું
[પ્રવચન નં. ૩]
શ્રી ગુરુનો કોલકરારઃ
પરમાત્મસ્વરૂપની દ્રષ્ટિ કર, જરૂર પરમાત્મા થઈ જઈશ.
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૮-૬-૬૬]
આ યોગસાર ચાલે છે, તેમાં છઠ્ઠી ગાથા ચાલી. ત્રણ પ્રકારના આત્માનું વર્ણન
ચાલ્યું; પરમાત્મા, અંતરાત્મા ને બહિરાત્મા. જોકે પરમાત્મામાં અંદર શક્તિમાં
ભૂતનૈગમનયથી અંતરાત્મા ને બહિરાત્મા તો છે પણ આ તો પ્રગટ પર્યાયની વાત છે.
પરમાત્માનું સ્વરૂપ જાણીને અંતરાત્મા થઈને બહિરાત્મપણું છોડીને પરમાત્માનું ધ્યાન
કરવું એ ગાથાનો સાર છે. ત્રણ પ્રકારની પર્યાય બતાવીને હેતું શું?-કે દરેક જીવમાં
ત્રણ પ્રકારની શક્તિ પડી છે. તેમાંથી પરમાત્માનું સ્વરૂપ જાણી અંતરાત્મા થઈ
બહિરાત્મપણું છોડી પરમાત્માનું ધ્યાન કરવું તે હેતુ છે, તે સાર છે. હવે સાતમી ગાથા
કહે છે;
मिच्छा–दंसण–मोहियउ परु अप्पा ण मुणेइ ।
सो बहिरप्पा जिण–भणिउ पुण संसार भमेइ ।। ७।।
મિથ્યા મતિથી મોહીજન, જાણે નહીં પરમાત્મ;
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭.
* બહિરાત્માનું સ્વરૂપ *
મિથ્યાદર્શનથી મોહી થયેલો જીવ, રાગને પોતાનું સ્વરૂપ માને, પાપના ફળને
પોતાનું માને, પાપના ફળમાં દુઃખી છું એમ માને, જ્ઞાનના ક્ષયોપશમથી થોડો વિકાસ
થયો ત્યાં હું પંડિત છું એમ માને-એ બધા મિથ્યાદર્શનથી મોહિત થયેલા જીવો છે. મારુ
સ્વરૂપ એક સમયમાં ત્રિકાળ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે-એનો આશ્રય કરતો નથી ને કર્મના
ઉદયથી મળેલી બાહ્ય ને અભ્યંતર સામગ્રીમાં, મિથ્યાશ્રદ્ધા દ્વારા હુંપણું સ્વીકારતો, એમાં
હું છું, એ મારા છે એમ માનતો થકો મિથ્યાત્વથી મોહિત થયેલો પરમાત્માને નથી
જાણતો. પોતાનું સ્વરૂપ જે અનંત જ્ઞાન, દર્શન ને આનંદ આદિની સમૃદ્ધિવાળું છે તેને
તે જાણતો નથી. ફક્ત બહારની અલ્પજ્ઞ અવસ્થા, રાગની અવસ્થા અને બહારના
અનુકૂળ-પ્રતિકૂળ સંયોગના અસ્તિત્વના સ્વીકારવામાં તેની દ્રષ્ટિ પડી છે.
પોતે અનંત લક્ષ્મીવાળો છે તેને ભૂલીને, થોડા પૈસાવાળો થાય ત્યાં હું પૈસાવાળો

Page 15 of 238
PDF/HTML Page 26 of 249
single page version

background image
પરમાત્મા] [૧પ
એમ મૂઢ થઈને મફતનો માને છે. કર્મના લઈને મોહ્યો છે એમ નથી, પણ પોતાનું સ્વરૂપ
જે અનાકુળ આનંદ એને સ્પર્શ્યા વિના અડયા વિના, કર્મજન્ય સામગ્રી છે તેમાં-અનંત
પ્રકારની બાહ્ય ચીજો તથા અસંખ્ય પ્રકારના શુભાશુભ રાગ એ બધા કર્મના ફળનું
સામ્રાજ્ય છે તેમાં-હું પણાની દ્રષ્ટિ છે તે મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી છે.
પરીક્ષામાં પાસ થાય ત્યાં હું પાસ થયો! પણ એ તો કર્મની સામગ્રીનું ફળ છે,
એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. પણ મિથ્યાદર્શનથી મોહેલો પ્રાણી એમાં ખુશી થાય
છે, એને જ પોતાનું સ્વરૂપ માને છે. ભગવાન પૂર્ણાનંદ, એક સમયમાં અનંત સમૃદ્ધિનું
પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા છે, તેને ન માનતા, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ એક
સમયની અલ્પજ્ઞતાને, વિકારને ને બાહ્ય સંયોગને પોતાના માને છે. પરમાત્માને જાણતો
નથી ને બાહ્ય ચીજને પોતાની માને છે તે બહિરાત્મા છે.
જેમ દારૂ પીવાથી જે બધી ચેષ્ટાઓ થાય તેને તે પોતાની માને, તેમ કર્મના
સંયોગથી થયેલ ચેષ્ટાઓ-વિકાર અને પર તે બધાને મિથ્યાત્વના દારૂને લઈને તે
પોતાની માને છે. ભગવાન આત્મા તો જ્ઞાન-દર્શન-આનંદનું ધામ છે. પૂરણ જ્ઞાન,
દર્શન આનંદનું ધામ છે-એવા આત્માને ન શ્રદ્ધતો, એવડી મોટી સત્તાને ન સ્વીકારતો
અલ્પ અવસ્થાને ને બાહ્યચીજને માનતો થકો મિથ્યાદર્શનથી મોહિત થઈને ત્યાં પડયો
છે તે બહિરાત્મા છે. અંર્તસ્વભાવની પ્રતીત નથી ને બાહ્યની પ્રતીત છે તેને બહિરાત્મા
કહે છે.
અંર્તસ્વભાવ મહાન પરમાત્મસ્વરૂપ છે, એની શ્રદ્ધા ને જ્ઞાન કરતો નથી,
પોતાના પરમાત્મા-ધ્રુવસ્વરૂપને જાણતો નથી ને મિથ્યાદર્શનથી બાહ્યમાં મોહિત થયો છે
તેને ભગવાને બહિરાત્મા કહ્યો છે. પુણ્યની ને પાપની સામગ્રી ઓછી-વધતી મળે,
અંદર શુભાશુભભાવ ઓછા-વધતા થાય, પરના પક્ષે જ્ઞાનનો ઓછા વધતો ઉઘાડ થાય,
એને જ આત્મા માને છે પણ અંદરમાં પોતાના પરિપૂર્ણ પરમેશ્વર પરમાત્મસ્વરૂપને
સ્વીકારતો નથી, આદર કરતો નથી, વલણ કરતો નથી તે બહિરાત્મા છે. તે બહિરાત્મા
વારંવાર ફરીને સંસારમાં ભમશે. અનંત કાળથી તો ભમ્યો છે ને એ બર્હિબુદ્ધિથી ફરી
ફરીને સંસારમાં રખડશે.
આત્મામાં એકકોર પરમાત્માનો પિંડલો દ્રવ્યવસ્તુ છે પોતે, ને એકકોર એની
વર્તમાન દશામાં અલ્પજ્ઞતા, અલ્પદર્શન, અલ્પવીર્ય, વિપરીતતા, સંયોગની અનુકૂળતા-
પ્રતિકૂળતા છે; પોતાને માનતો નથી તેથી આ બધાને પોતાના માને છે તેનું નામ
મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા કહેવામાં આવે છે એ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ ફરી ફરીને ચાર
ગતિમાં રખડવાના ભાવવાળો છે. ૭.
जो परियाणइ अप्पु परु जो परभाव चएइ ।
सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।। ८।।
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮.

Page 16 of 238
PDF/HTML Page 27 of 249
single page version

background image
૧૬] [હું
* અંતરાત્માનું સ્વરૂપ *
જે કોઈ પૂર્ણાનંદ, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ આત્માને જાણે ને તેનાથી ભિન્ન અલ્પ
જ્ઞાનને, રાગદ્વેષને, પરને જાણે-ભલી રીતે જાણે, પોતાથી ભિન્નપણે જાણે તે પરભાવને
ત્યાગ છે, અને તેને પંડિત કહે છે, શૂરવીર કહે છે જેણે આત્માના પૂરણ અખંડાનંદ
સ્વરૂપને જાણ્યું ને તેનાથી ભિન્ન વિકારને ને પરચીજને ‘આ છે’ એમ જાણીને બેની
વચ્ચે ભેદવિજ્ઞાન થયું છે તે પોતાના શુદ્ધસ્વભાવના આશ્રયથી પરભાવનો આશ્રય
કરતો નથી એટલે કે તે પરભાવને છોડે છે. વ્યવહારરત્નત્રયના વિકલ્પને પણ છોડે છે
તેમ કહ્યું!
ઓછું જ્ઞાન હોય કે વધારે જ્ઞાન હોય તેની સાથે સંબંધ નથી, અંતર પરમાત્માના
સ્વરૂપને જાણતો, પર આદિના સ્વરૂપને જાણતો, સ્વભાવનો આશ્રય કરે છે ને વિકારને
છોડે છે તેને પંડિત કહેવામાં આવે છે. અગિયાર અંગ ભણ્યો હોય કે ન ભણ્યો હોય,
પ્રશ્નોત્તર દેતાં આવડે કે ન આવડે તેની સાથે કાંઈ સંબંધ નથી, ફકત ચૈતન્યાનંદ પ્રભુ
પૂર્ણાનંદનો નાથ મારો આત્મા તેને જાણ્યો ને તેનાથી વિપરીત જેટલા પુણ્ય-પાપના
ભાવો કર્મની સામગ્રી આદિને જાણ્યા કે તે પર છે, તે સ્વભાવનો આદર કરે છે અને
પરનો આદર કરતો નથી માટે તેણે દ્રષ્ટિમાં પરભાવોને છોડયા છે. આનું નામ ત્યાગ છે.
આ ત્યાગ વિના ત્યાગ આગળ વધે નહીં. અંર્તસ્વભાવના આશ્રય ને આલંબન વિના
રાગનો ત્યાગ થાય નહીં ને એ રાગના ત્યાગ વિના બીજો ત્યાગ સાચો હોય નહીં.
અંતરાત્માને પંડિત, શૂરવીર, વીર, ભેદજ્ઞાની, લઘુનંદન-પરમાત્માનો લઘુનંદન
કહેવાય છે. એ લઘુનંદન શું કરે છે?-કે પોતાના પૂરણ શુદ્ધ સ્વરૂપને જાણ્યું ને
અનુભવ્યું કે આજ આત્મા અને એના સિવાય શુભાશુભ પરિણામ તે પરભાવ છે એમ
દ્રષ્ટિમાંથી છૂટી ગયા છે. દ્રષ્ટિમાં ત્રિકાળ સ્વભાવનો આદર વર્તે છે ને પરભાવોનો
ત્યાગ વર્તે છે. આને પરભાવનો ત્યાગ ને ખરેખરો ત્યાગી કહેવામાં આવે છે.
અંદરમાં જતાં રાગાદિનો આદર વર્તે છે તેને તો બધું-આખો સંસાર ગ્રહણપણે
પડયો છે, તેને અંશે પણ રાગનો ત્યાગ નથી. પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણની ગંઠડી એવા
આત્માનો શ્રદ્ધામાં આદર છે ને વેદન છે કે આ આત્મા તે જ હું એમ જેને સ્વભાવનું
ગ્રહણ વર્તે છે તેને પંડિત, જ્ઞાની ને અંતરાત્મા કહેવાય છે. ભલે પછી તેને બહારમાં છ
ખંડના રાજ્ય હોય, ૯૬ હજાર સ્ત્રી હોય, ૪૮ હજાર પાટણ, ૭૨ હજાર નગરી આદિ
સામગ્રી હોય-પણ એ સામગ્રી જ્યાં પર તરીકે દ્રષ્ટિમાં આવી, તેના તરફના વલણનો
રાગ પણ પર છે, મારા સ્વભાવમાં તે નથી-એમ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું તેને તો દ્રષ્ટિમાં
બધો ત્યાગ જ છે. છ ખંડના રાગનો દ્રષ્ટિમાં ત્યાગ છે. સમ્યદ્રષ્ટિને ઈન્દ્રના ઇન્દ્રાસનનો
દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે અને આખો આત્મા પૂરણ સ્વરૂપ છે તેને જાણતો થકો તેનો
આદર વર્તે છે.
બહિરાત્માને એક લંગોટી પણ બહારમાં ન હોય, નગ્ન દશા હોય પણ અંદરમાં
પૂર્ણાનંદના નાથનો આદર નથી ને રાગના કણનો આદર છે તેને શ્રદ્ધામાં આખા ચૌદ
બ્રહ્માંડનો આદર છે, તેને બાહ્યત્યાગ દેખાવા છતાં જરીયે ત્યાગ નથી, કેમ કે તેને
પરભાવ છૂટયા જ

Page 17 of 238
PDF/HTML Page 28 of 249
single page version

background image
પરમાત્મા] [૧૭
નથી, સ્વભાવને જાણ્યા વિના આ પરભાવ ભિન્ન છે એમ પરભાવ શી રીતે છૂટે?
પોષા, પ્રતિક્રમણમાં સામાયિકના નામ ધરાવીને બેઠો પણ પૂરણ શુદ્ધ સ્વરૂપ અખંડ
આત્માનો અંદર શ્રદ્ધામાં આદર નથી ત્યાં તેને દયા-દાન આદિ વિકલ્પ ઊઠે એ પરનો
જ એકલો આદર વર્તે છે તેથી તેને એકલો પરમાત્માનો જ ત્યાગ વર્તે છે, તેને પરમ
સ્વભાવનો ત્યાગ વર્તે છે.
જ્ઞાનીને ચક્રવર્તીનું રાજ્ય હો કે ઇન્દ્રના ઇન્દ્રાસન હો, પણ અંતરમાં સ્વભાવની
અધિકતાની મહિમામાં બહારના પદાર્થો ને તેના કારણો શુભાશુભભાવ તે બધાનો
દ્રષ્ટિમાં ત્યાગ છે. તેથી તે તીર્થંકરગોત્ર બંધાય એ ભાવથી લાભ માનતો નથી. જે
ભાવનો દ્રષ્ટિમાં ત્યાગ વર્તે છે તેનાથી લાભ માને શી રીતે? સ્વરૂપમાં એકાગ્ર થઈશ
તો લાભ થશે એમ માને છે.
દ્રવ્યલિંગી નગ્ન મુનિ થઈને બેઠો હોય છતાં એક અંશનો ત્યાગ નથી તેને ત્યાગ
હોય તો અંદર એક માત્ર પરમાત્માનો ત્યાગ છે, તેને ચૌદ બ્રહ્માંડનો ભોગ છે. રાગના
એક કણનો આદર છે તેને આખા ચૌદ બ્રહ્માંડનો ભોગ છે.-આવી વસ્તુસ્થિતિ છે
બાપુ!
પરભાવને જે દ્રષ્ટિમાંથી છોડે છે, શ્રદ્ધામાં આત્મસ્વરૂપ પકડીને જ્ઞાનમાં આત્માને
પ્રત્યક્ષ કર્યો છે તે અંતરાત્મા સંસારથી છૂટી જશે. બહિરાત્મા બાહ્ય ચીજને-કર્મની
સામગ્રીને પોતાની માને છે તે સંસારમાં રખડશે કારણ કે તેની દ્રષ્ટિમાંથી સ્વભાવની
અધિકતા છૂટી ગઈ છે, ને બહારની અધિકતા દ્રષ્ટિમાંથી જતી નથી તેથી તે નવા કર્મો
બાંધશે ને ચાર ગતિમાં રખડશે. અંતરાત્મા તો શુભાશુભ રાગના અભાવસ્વભાવ
સ્વરૂપ પૂરણ જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરતો થકો-ચોથા ગુણસ્થાનથી આત્માનો
અનુભવ કરતો થકો ‘પ્રગટ લહે ભવપાર’ શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરનાર,
પરભાવનો ત્યાગ કરનાર ક્રમે ક્રમે સંસારને મૂકી દેશે, તેને સંસાર રહેશે નહીં-એવા
જીવને પંડિત, જ્ઞાની, વીર ને શૂરવીર કહેવામાં આવે છે. ૮.
णिम्मलु णिक्कलु सुद्धु जिणु विण्हु बुद्धु सिव संतु ।
सो परमप्पा जिण–भणिउ एहउ जाणि णिमंतु ।। ९।।
નિર્મળ, નિકલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત;
તે પરમાત્મા જિન કહે, જાણો થઈ નિર્ભ્રાન્ત.
૯.
બહિરાત્મા ને અંતરાત્માનું સ્વરૂપ કહીને હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે. રાગ-
દ્વેષના ભાવ રહિત પરમાત્મા છે. અંતરાત્માને રાગ-દ્વેષ ભિન્ન પડયા હતા પણ છૂટયા
ન હતા, દ્રષ્ટિમાંથી એકત્વબુદ્ધિમાંથી રાગ-દ્વેષ છૂટયા હતા પણ સ્થિરતા દ્વારા પૂરણ
છૂટયા ન હતા, એ રાગાદિ પરમાત્માને પૂરણ છૂટી ગયા છે, આઠ કર્મના રજકણને ને
પુણ્ય-પાપના મલિનભાવને પરમાત્માએ છોડયા છે.

Page 18 of 238
PDF/HTML Page 29 of 249
single page version

background image
૧૮] [હું
નિકલ જેને કલ-શરીર નથી તેને પરમાત્મા કહેવાય છે. વૈકુંઠમાં જઈને
ભગવાનની સેવા-ચાકરી કરે એમ કહે છે ને? પણ ભગવાનને શરીર જ હોતું નથી.
પરમાત્મા તો એને કહીયે કે જેને શરીર નથી, રાગ નથી, જે શુદ્ધ અભેદ એક છે, તેમને
અશુદ્ધતા નથી, બેપણું નથી. પહેલાં કર્મરૂપી શત્રુ હતા તેને જીત્યા માટે જિનેન્દ્ર છે.
આવા સિદ્ધ ભગવાનને વિષ્ણુ કહીયે. જગતને રચે તે વિષ્ણુ નથી. ભગવાન પરમાત્મા
એક સમયના જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકને જ્ઞાતા તરીકે જાણે, એક સમયમાં યુગપત્
જાણે, એક સમયમાં પૂરું જાણે માટે તેને વિષ્ણુ કહે છે.
ભગવાનના જ્ઞાનમાં ભૂત-ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળ જણાયા છે. આવડી
સર્વજ્ઞદશા!-એમ સ્વીકારવા જાય ત્યારે દ્રવ્યસ્વભાવમાં દ્રષ્ટિ પડયા વિના એનો સ્વીકાર
નહીં થાય. ભગવાનનો એક સમયનો એક પર્યાય આવડો કે ત્રણકાળ ત્રણલોકને
યુગપત્પણે જાણે-એવા જ્ઞાનનો સ્વીકાર શું રાગથી કરી શકે? રાગના આશ્રયે સ્વીકાર
થાય? પર્યાયથી સ્વીકાર થાય પણ એ પર્યાયના આશ્રયે શું સ્વીકાર થાય? સર્વજ્ઞ
સ્વરૂપી પ્રભુ તેનો આશ્રય લીધા વિના પર્યાયમાં સર્વજ્ઞપણાનો નિર્ણય ન થાય.
સર્વજ્ઞસ્વભાવી આત્મસ્વરૂપનો નિર્ણય થતાં તેને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જશે ને વીતરાગ
પર્યાય પણ થઈ જશે. એનું નામ જ પુરુષાર્થ છે, પુરુષાર્થ એટલે કાંઈ ખોદવું છે?
અંતરની દશા કર્તૃત્વમાં હતી તે અંતરમાં અકર્તૃત્વમાં ગઈ એ પુરુષાર્થ છે.
ભગવાનને વિષ્ણુ કહેવામાં આવે છે. વિષ્ણુ એટલે પરમાત્મા એમ નહીં પણ
પરમાત્માને વિષ્ણુ કહેવામાં આવે છે. એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે તેને
વિષ્ણુ કહેવામાં આવે છે, એ સિવાય જગતનો કર્તા-હર્તા બીજો કોઈ વિષ્ણુ છે નહીં.
સ્વ-પર તત્ત્વનો ભેદ પાડીને જાણે તેને બુદ્ધ કહીયે. સર્વજ્ઞ પરમાત્મા પોતાના સ્વરૂપને
પૂરણ જાણે ને લોકાલોકને પણ જાણે-એ સ્વપરને જાણનારા સર્વજ્ઞદેવને બુદ્ધ કહેવાય
છે. એકલા ક્ષણિકને જાણે તે બુદ્ધ નથી.
આવા પરમેશ્વરને શિવ કહેવાય. પોતાનું પૂરણ કલ્યાણ સ્વરૂપ પ્રગટ કર્યું છે
માટે તેને કલ્યાણ કરનારા શિવ કહેવાય છે. શાંત વીતરાગ, પરમશાંતધારા પરમાત્માને
પરિણમી ગઈ છે માટે તેને શિવ કહે છે. અકષાય સ્વભાવે પરિણમીને વીતરાગ દશાએ
પરિણમી ગયા તેને શાંત કહીયે, તેને પરમાત્મા કહીયે.-એમ જિનેન્દ્રદેવે કહ્યું છે, માટે તું
ભ્રાંતિ રહિતપણે પરમાત્મસ્વરૂપને જાણ ને રાગ-દ્વેષને છોડ. પરમાત્મસ્વરૂપ તો તારી
શક્તિમાં પડયું જ છે તેને જાણ ને રાગ-દ્વેષને છોડ.
આવા પરમાત્મા છે એમ ભગવાને કહ્યું છે માટે તું ભ્રાંતિ રહિતપણે જાણ તું
નિભ્રાંતિ થઈ જા, નિઃસંદેહ થઈ જા, નિઃશંક થઈ જા કે આ સિવાય કોઈ સાચા
પરમાત્મા હોઈ શકે નહીં.

Page 19 of 238
PDF/HTML Page 30 of 249
single page version

background image
પરમાત્મા] [૧૯
[પ્રવચન નં. ૪]
મુક્તિનો ઉપાયઃ પોતાને પરમાત્મરૂપ જાણ
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૯-૬-૬૬]
શ્રી યોગીન્દ્રદેવ કૃત યોગસાર છે. જેમણે પરમાત્મપ્રકાશ બનાવ્યું છે તેમણે જ આ
યોગસાર બનાવ્યું છે. બહિરાત્માની વ્યાખ્યા થોડી આવી ગઈ, હવે અહીં વિસ્તારથી કહે છે.
બહિરાત્મા પરને પોતારૂપ માને છેઃ-
देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ ।
सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ।। १०।।
દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦
આ આત્મા શુદ્ધ ચૈતન્ય અખંડ અભેદ વસ્તુ-પદાર્થ છે. તેને છોડીને શરીર, ઘર,
ધન, ધાન્ય, મકાન, આબરૂ, કીર્તિ, શરીરની ક્રિયા કે અંદરમાં પુણ્ય-પાપના ભાવ એ
બધાં મારા છે એમ માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. જ્ઞાન આનંદ આદિ
ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં જ નથી એવા શુભાશુભ વિકલ્પો, ચાર ગતિ, લેશ્યા, છકાય,
કષાય આદિ ભાવો પરભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. શરીરથી માંડીને રાગની
મંદતા તીવ્રતાના શુભાશુભભાવ એ બધા આત્માથી બાહ્ય છે.
શાસ્ત્રમાં આનંદસ્વરૂપ અભેદ આત્માથી દયા-દાન-વ્રત કે હિંસા-કષાય-ગતિ
આદિ ભાવોને બાહ્યભાવો કહ્યાં છે. એવા બાહ્યભાવોને જે આત્મા માને તેને અહીં
મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા મૂઢ કહ્યો છે. અખંડ જ્ઞાનાનંદમૂર્તિ આત્મા સિવાયના જે કોઈ
બર્હિભાવો મારા છે, શ્રાવકના છ પ્રકારના વ્યવહાર કર્તવ્યના ભાવો એ શુભ રાગ છે
ને પંચમહાવ્રતાદિનું આચરણ એ મુનિનો શુભ રાગ છે. એ આચરણ મારું છે, એ
આચરણથી મારું હિત થાય એમ માનનાર બહિર્દષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, અન્તર્દષ્ટિ
નથી.-એમ સર્વજ્ઞ પરમેશ્વર કહે છે.
જ્ઞાનીને શુભ આચરણના એવા ભાવ તો હોય છે ને?-કે હોય છતાં તેને પોતાનું
સ્વરૂપ જાણતો નથી, તેનાથી હિત માનતો નથી. શ્રાવક અને મુનિના આચરણના
ભાવથી જે લાભ માને તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. શુભ આચરણ મારું સ્વરૂપ છે
અથવા તે મારા કલ્યાણનું સાધન છે એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પરમાર્થે વ્યવહાર
આવશ્યક, શુભ વિકલ્પ વૃત્તિ એ બધા પર છે, વિભાવ છે, વિકાર છે, સદોષ છે.
ઉદયના ૨૧ બોલમાંથી કોઈ બોલ આત્માનો માને તે બહિરબુદ્ધિ મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુસ્વરૂપની દ્રષ્ટિએ એ બધા બર્હિભાવ છે. યોગીન્દુદેવ એમ કહે છે કે દેહ, શરીર,
વાણી,

Page 20 of 238
PDF/HTML Page 31 of 249
single page version

background image
૨૦] [હું
મન, કર્મ, ધન, ધાન્ય, લક્ષ્મી, સ્ત્રી, પુત્ર એ બધા ભગવાન આત્માથી જુદી ચીજ છે.
અંદરમાં જે શુભ પરિણામ ઊઠે છે, જેને શાસ્ત્રમાં વ્યવહાર આચરણ કહ્યું એવા જે
શુભઆચરણના ભાવ તે પણ ખરેખર બહિરભાવ છે. કેમ કે તે અંર્તસ્વભાવ છે નહીં
ને અંતરસ્વભાવમાં રહેતા નથી. જ્ઞાનાચાર, દર્શનાચાર આદિના વિકલ્પ તે શુભ
આચરણના ભાવ વિભાવ છે. તે જ્ઞાનાનંદ સ્વરૂપમાં નથી ને પૂરણ જ્ઞાનાનંદની પ્રાપ્તિ
થાય ત્યારે રહેતા નથી માટે તે બર્હિભાવો છે.
એક સમયમાં અખંડ આનંદકંદ અભેદ ચિદાનંદની મૂર્તિને આત્મા તરીકે જાણે
ત્યારે સમ્યગ્જ્ઞાન ને સમ્યગ્દર્શન થાય. જેવો એનો સ્વભાવ છે તેવો એનો સ્વીકાર
કરવો એ તો સમ્યગ્દર્શન છે. પણ એવો આત્મા ન માનતા, આત્માથી બાહ્ય ચીજ
વિકલ્પ આદિ કે જે એનામાં નથી, ઉત્પન્ન થાય છતાં તેના સ્વભાવમાં રહેતા નથી ને
તેના સ્વભાવને સાધનરૂપે મદદ કરતા નથી-એવા-દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના શુભ
વિકલ્પ છે, તેને સ્વભાવ માને કે વિભાવને સ્વભાવનું સાધન માને કે મારી ચીજમાં એ
છે એમ માને તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે.
શુભભાવ, તેનાથી બંધાયું પુણ્ય ને તેનું ફળ આ રૂપિયા બે-પાંચ હજારનો
પગાર-એ ત્રણે મને મળે કે એ મારા છે-એમ માનવું તે મૂઢતા છે. પુણ્યના પરમાણુઓ,
પુણ્યના ભાવ અને એના ફળની બહારની વિચિત્રતાના ભભકે પોતે વધ્યો એમ
માનનારો મૂઢ છે એમ અહીં કહે છે.
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો !’
એક શેઠને આખા શરીરે સોપારી જેવા ગૂમડાં હતાં, મરતાં સુધી રહ્યાં; પણ એ
મને થયું છે એમ માનવું તે બહિરાત્મબુદ્ધિ છે. એ ગૂમડાં આત્મામાં થયા નથી, એ તો
જડમાં થયા છે. એવી રીતે સુંદરતા, કોમળતા, નરમાઈ વિગેરે જડની દશામાં થતાં મને
થયું, હું રૂપાળો છું, હું નમણો છું, હું સુંદર છું,-એ બુદ્ધિ શરીરાદિ પરને પોતાના
માનનારની મિથ્યાબુદ્ધિ છે.
નિજ પરમાત્મસ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાયકમૂર્તિ અખંડાનંદ ધ્રુવ અનાદિ
અનંત સ્વભાવથી જેટલા બાહ્યભાવો તેને પોતાના માને, તેનાથી પોતાને લાભ માને, તે
મારું કર્તવ્ય છે એમ માને, તેનાથી જુદો કેમ પડે? દયા-દાન-વ્રત-ભક્તિ આદિના
શુભભાવો તે મારું કર્તવ્ય છે અને હું ખરેખર તેનો રચનારો છું એમ જે માને તે એવા
કર્તવ્યને કેમ છોડે? એવા કર્તવ્યને પોતાના માનનાર બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે
એમ પરમેશ્વરે કહ્યું છે.
ચૌદમા ગુર્ણસ્થાન સુધી અસિદ્ધભાવ છે, એ બધા અસિદ્ધભાવ, અપૂરણભાવ,
મલિનભાવ, વિપરીતભાવ, ખંડખંડભાવ એને પોતાની વસ્તુ માને તેને બહિરાત્મા મૂઢ
જીવ કહે છે. ભગવાન આત્મા જ્ઞાયકની મૂર્તિ ચૈતન્યસૂર્ય આનંદનો કંદ એવું સ્વયંસિદ્ધ
સ્વતત્ત્વ એને પોતાનું ન માનતા એનાથી બાહ્ય કોઈ પણ વિકલ્પ-વ્યવહાર આચાર,
વ્યવહાર ક્રિયા, વ્યવહાર મહાવ્રત,

Page 21 of 238
PDF/HTML Page 32 of 249
single page version

background image
પરમાત્મા] [૨૧
વ્યવહાર શ્રદ્ધા આદિના વિકલ્પ એ બધા વિભાવો મારી ચીજ છે અથવા તેનાથી મારું
હિત થશે એમ માનનાર એ વિભાવને જ-એ બહિરભાવને જ આત્મા માને છે.
આ તો મહાન સિદ્ધાંત છે. એક સ્વ રહી ગયો ને તેનાથી ભિન્ન જે દેહાદિ તેને
આત્મા માને અર્થાત્ તેનાથી હિત માને અર્થાત્ ઈ વ્યવહાર આચારને પોતાના
સ્વભાવનું સાધન માને, સ્વભાવને ને વિકારને એક માને તે વિકારને જ-દેહાદિને જ
આત્મા માને છે. તેની દ્રષ્ટિ ચિદાનંદ જ્ઞાયક ઉપર નથી પણ તેની દ્રષ્ટિ ખંડખંડ આદિ
ભાવ ઉપર પડી છે. તે અપંડિત કહ્યો છે. આત્મા જેવો છે તેવો જેણે જાણ્યો ને માન્યો
તેને પંડિત કહ્યો છે. તો તેનાથી વિરુદ્ધ જે વિકલ્પ રાગ આદિને પોતાનું સ્વરૂપ માને
તેને અપંડિત કહીયે, મૂરખ કહીયે, બહિરાત્મા કહીયે.
એકકોર શુદ્ધ ધ્રુવ ચૈતન્યસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે, તેને પોતાનો માનવો એ તો
ધર્મદશા થઈ પણ એવું એણે અનાદિથી માન્યું નથી, પરંતુ તેનાથી વિરુદ્ધ જે અલ્પજ્ઞતા,
અલ્પ અવસ્થા, પુણ્ય-પાપના વિકલ્પો કે સંયોગી બાહ્ય ચીજ મને હિતકર છે, સાધન
છે, મારા છે, એવી માન્યતાવાળાને બહિરાત્મા કહે છે.
મંદિર, પૂજા ને યાત્રાના જે વિકલ્પો છે એ બધા હો ભલે પણ વિભાવ તરીકે
હોય છે. એના કાળે હો ભલે પણ મને કાંઈ લાભ કરે છે એમ નથી, છતાં એ ભાવ
વ્યવહાર તરીકે આવ્યા વિના રહેતો નથી. જેમ એકરૂપ અખંડ ચૈતન્યવસ્તુ આત્મા છે ને
જેમ શરીર આદિ જડરૂપ પદાર્થ પણ છે અને શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન થતાં જેમ શરીર
આદિ બીજી ચીજ કાંઈ વઈ જતી નથી તેમ અંદરમાં પૂરણદશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય
ત્યાં સુધી વ્યવહારના ભાવ હોય છે, પણ તે પર તરીકે હોય છે, સ્વ તરીકે ખતવવા
માટે હોતા નથી.
શ્રાવકના વ્યવહાર-આચાર ને મુનિના વ્યવહાર-આચરણ મને હિતકર છે એમ
માનનારા બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે એમ અહીં કહે છે. એ ભાવ હોય છે, આવે છે પણ
એ આત્માનું કર્તવ્ય નથી. કમજોરીના કાળમાં એ ભાવ આવે છતાં એ હિતકારી નથી.
હિતકારી નથી તો એ ભાવ લાવે છે શું કામ?-ભાઈ! બાપુ! એ ભાવને તે લાવતો
નથી પણ આવે છે. પરંતુ એ વિકલ્પો આત્માને કલ્યાણ કરનાર છે કે આત્માનું સ્વરૂપ
છે એમ માનવું તે મિથ્યાત્વ છે. મારા સ્વરૂપમાં હું છું ને તે ભાવો મારામાં નથી તેનું
નામ અનેકાન્ત કહેવામાં આવે છે.
અનાદિકાળથી પરને પોતાના માનતો આવે છે ને પરને છોડતો નથી એટલે
પરમાં-સંસારમાં વારંવાર ભ્રમણ કરતો રહે છે. આત્માના અસલી સ્વરૂપને જાણ્યા વિના
વિકૃતરૂપને પોતાનું સ્વરૂપ માને છે તેથી વિકૃતરૂપને કેમ છોડે? તેથી તે વિકૃતિમાં જ
ફરી ફરી ભ્રમણ કરશે. સંસારમાં જ ફરી ફરી ભ્રમણ કરશે. ૧૦
જ્ઞાનીએ પરને આત્મા નહીં માનવો જોઈએ. સત્ સ્વરૂપનો સ્વીકાર કરનાર
ધર્મીએ અસત્માં પોતાપણું માનવું ન જોઈએ.-એમ હવે બહિરાત્માની સામે
અંતરાત્માની વિશેષ વાત કહે છેઃ-

Page 22 of 238
PDF/HTML Page 33 of 249
single page version

background image
૨૨] [હું
देहादिउ जे परि कहिया ते अप्पाणुं ण होहिं।
इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।। ११।।
દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧
બહુ ટૂંકા શબ્દોમાં એકલો માલ ભરી દીધો છે. આ તો એકલું માખણ તારવીને
મૂક્યું છે. શુભાશુભભાવ, વ્યવહાર આચરણ, ક્રિયા, દેહ-વાણી-મન એ બધા આત્મા
થઈ શકતા નથી. જ્ઞાનમૂર્તિ પ્રભુથી ભિન્ન્ન જે પદાર્થ કહ્યાં તે આત્મા થઈ શકતા નથી,
તે અણાત્માપણે બહાર રહે છે. આત્મા જે સ્વભાવ સ્વરૂપે છે તેમાં તે પદાર્થો આવી
શકતા નથી, તે પદાર્થો આત્માપણે થઈ શકતા નથી. શુદ્ધ જ્ઞાનની મૂર્તિ ચૈતન્યસૂર્ય
પ્રભુરૂપે પુણ્ય-પાપના ભાવ કે શરીર થઈ શકતા નથી. દેહાદિ જે બાહ્ય કહ્યાં તે આત્મા
થઈ શકતા નથી; માને તો એ માન્યતા બહિરાત્માની થઈ, પરંતુ એ બાહ્ય પદાર્થો
આત્મા થઈ જતા નથી.
એક રાગનો કણ-શુભરાગનો સૂક્ષ્મ કણ ને રજકણ એ આત્મા થઈ શકતા નથી.
દયા-દાનનો વિકલ્પ હો કે પરમાણુ રજકણ હો, એ પર પદાર્થ કાંઈ આત્મા થઈ શકતા
નથી. રાગ વિભાવ એ સ્વભાવ થઈ શકે? રજકણ અજીવ એ જીવ થઈ શકે?
સ્ફટિકની સાથે રાતા-પીળા ફૂલ પડયાં હોય તો એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જાય? અને
સ્ફટિકમાં રાતી-પીળી ઝાંય દેખાય એ ઝાંય કાંઈ સ્ફટિકરૂપે થઈ જાય?
જેમ નિર્મળતા રે સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે...
શ્રી જિન વીરે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ રે...
જેમ સ્ફટિક નિર્મળ પિંડ છે, તેમ ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન ને આનંદનો
પિંડ છે. જેમ સ્ફટિકની જોડે લાલ-પીળા ફૂલ હોય એ ફૂલ કાંઈ સ્ફટિક થઈ જતાં હશે?
અને જે લાલ-પીળી ઝાંય પડી તે સ્ફટિકપણે થાય? તેમ ભગવાન આત્માથી બાહ્ય જે
પદાર્થ તે આત્મા થઈ શકતા નથી. પુણ્યા-પાપના વિકલ્પો ને શરીરાદિ બાહ્ય પદાર્થ
સ્ફટિક જેવા નિર્મળાનંદ ભગવાન આત્મારૂપે થઈ શકતા નથી. ભગવાન આત્મારૂપે
કોણ થઈ શકતા નથી?-કે વિભાવ શરીર ને વાણી આત્મારૂપે થઈ શકતા નથી.
વળી તે પદાર્થો રૂપે આત્મા થઈ શકતો નથી. આ દેહાદિ તો રજકણ માટી છે,
અંદર શુભાશુભ ભાવ છે તે રાગ છે; તે રાગ આત્મારૂપે થઈ શકે? અને આત્મા
રાગાદિરૂપે થઈ શકે? આહાહા! પરભાવે ભૂલ્યો રે આત્મા...પરભાવના મોહમાં ભગવાન
પોતે પોતાને ભૂલી ગયો...કહે છે કે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા શું કાંઈ વિભાવરૂપે થાય?
એ આત્મા શું કાંઈ શરીરરૂપે થાય? એ આત્મા શું કાંઈ વાણીરૂપે થાય? વિભાવના
વિકલ્પમાં આત્મા આવે તો એ રૂપે થાય ને? વિભાવના વિકલ્પમાં કાંઈ આત્મા આવે?
વાણીમાં કાંઈ આત્મા આવે? શુભભાવના વિકલ્પમાં જો આત્મા આવે તો આત્મા
શુભભાવરૂપે થઈ જાય. પણ આત્મા એમાં આવે નહીં. કેમ કે વિભાવ એ તો બાહ્યચીજ
છે, તેથી વિભાવ તે સ્વભાવ ન થાય ને સ્વભાવ તે વિભાવ ન થાય.

Page 23 of 238
PDF/HTML Page 34 of 249
single page version

background image
પરમાત્મા] [૨૩
ઉદયભાવ, પંચ તપ-આચારના જે વ્યવહારના વિકલ્પો તેના રૂપે પ્રભુ થાય
છે?-કે એ વિકલ્પો પ્રભુરૂપે થાય છે? ન થાય ભાઈ, ન થાય. અરે પ્રભુ! તું ક્યાં
છો?-એ જરીક જો તો ખરો! જ્યાં તું છો ત્યાં વિકાર નથી ને વિકાર છે ત્યાં તું નથી.
પુણ્ય-પાપના વિકલ્પોની વિભાવદશામાં સચ્ચિદાનંદ પ્રભુ નથી અને એ વિભાવો
સ્વભાવરૂપે ત્રણકાળમાં થઈ શકતા નથી.
પુણ્ય-પાપના આસ્રવના ભાવ અને કર્મ શરીર અજીવભાવ, એ આસ્રવભાવ ને
અજીવભાવ સ્વભાવરૂપે થતાં નથી અને ચૈતન્યગોળો ધ્રુવ અનાદિ અનંત સત્ત્વ
ભગવાન આત્મા પોતે આસ્રવરૂપે-અજીવરૂપે થતો નથી. અજીવ, આસ્રવ ને આત્મા-
ત્રણ તત્ત્વ નિરાળા છે ને! તેથી કર્મ શરીર ને વાણી એ અજીવ અને અંદર જે
શુભાશુભભાવ ઊઠે તે આસ્રવ, તેમાં કાંઈ આત્મા ન આવે. દયા-દાન-વ્રત-ભક્તિના
પરિણામમાં આત્મા ન આવે ને એ આસ્રવભાવો આત્મારૂપે થાય નહીં. તેથી આત્મારૂપે
થયા વિના એ આસ્રવભાવો આત્માને લાભ કેમ કરી શકે?
એમ જાણીને, એવું જ જ્યાં સ્વરૂપ છે કે જ્ઞાનસૂર્ય પ્રભુ કદી અજીવરૂપે થતો
નથી ને આસ્રવરૂપે થતો નથી તથા અજીવ અને આસ્રવો જીવરૂપે થતાં નથી-એમ સત્ય
સમજીને હે જીવ! તું અપનકો પહિચાન. ભગવાન ચૈતન્યસૂર્ય પ્રભુ તરફ તું જો. તું
યથાર્થ આત્માનો બોધ કર. શુદ્ધ સ્વરૂપ ભગવાન તરફનો ઝૂકાવ કરીને તું જો કે આ
આત્મા એકલો જ્ઞાનનો સાગર આનંદની મૂર્તિ છે.-એમ આત્માને જાણ.
પરની દયા પાળી શકું છું, પરના કામ કરી શકું છું-એમ કહેનારને પોતાના
સિવાયની પર ચીજ જુદી નથી; એ અને હું બન્ને એક છીએ માટે હું પરના કામ કરી
શકું છું, પણ બાપુ! તું જુદો ને એ જુદા. ત્યાં એની દયા કોણ પાળે? જે જુદા પદાર્થ છે
એની જુદી અવસ્થાને બીજો શી રીતે કરે? શરીર, કર્મ, કુટુંબ, દેશ-એ તો પરવસ્તુ છે;
તો એ પરના કામ તું કરી શકે છો? જો તું પરના કામ કરી શકતો હો તો બે એક થઈ
ગયા, તેથી પોતાનું સત્ત્વ નાશ થઈને તું પરરૂપે થઈ ગયો-એમ તે માન્યું!
તેથી હે જીવ! આમ સમજીને તું અપને આત્માકો પહિચાન, યથાર્થ આત્માનો
બોધ કર. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છે. આત્માના ભાનવાળાની જ મુક્તિ થાય છે.
આત્માના ભાન વિનાનાને સંસારમાં રખડવું થાય છે. એમ બન્ને વાત અહીં કહે છેઃ-
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि ।
पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।। १२।।
નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્મને, તો ભવભ્રમણ ન જાય. ૧૨.
જો આત્માને આત્મા સમજશે એટલે કે ભગવાન આત્મા જ્ઞાન ને આનંદનો પિંડ
પ્રભુ જ્ઞાતાદ્રષ્ટા છે તે જ મારું સ્વરૂપ છે ને તે જ હું આત્મા છું-એમ આત્માને પોતાના
શુદ્ધ

Page 24 of 238
PDF/HTML Page 35 of 249
single page version

background image
૨૪] [હું
સ્વભાવવાળો સમજશે તે નિર્વાણને પામશે. જેણે આત્મા જાણ્યો, તેમાં દ્રષ્ટિ માંડી ને
એકાકાર થઈ તે પૂર્ણાનંદરૂપી નિર્વાણ ને મુક્તિ પામશે.
જો તું ભગવાન આત્માને અંદર જ્ઞાનાનંદ ચૈતન્યસૂર્ય આત્મા તરીકે જાણ ને
સમજ, તો છૂટા તત્ત્વને છૂટું જાણતાં અલ્પકાળમાં તદ્ન છૂટું જે નિર્વાણપદ તેને પામશે.
એમાં ને એમાં ઘોલન કરતાં નિર્વાણને પામશે, આત્મા ચૈતન્યજ્યોત જ્ઞાયક છે એમ
જાણ્યું ને એમાં ને એમાં સ્થિર થશે એટલે વિતરાગતાને પામશે; વચ્ચે વ્યવહાર આવશે
એની અહીં વાત પણ કરી નથી.
પુણ્ય-પાપના વિકલ્પ વિનાની ચીજ તે ભગવાન આત્મા એમ જાણ્યું એટલે
બસ! પછી એમાં ને એમાં દ્રષ્ટિ ને સ્થિરતા કરતાં નિર્વાણને પામશે. આહાહા! ચૈતન્ય
પ્રભુ, ચૈતન્યપ્રકાશની મૂર્તિ! પ્રકાશનો પ્રકાશક; રાગનો, જડનો પ્રકાશક આત્મા અને
પોતાના સ્વરૂપનો પણ પ્રકાશક એવો પ્રકાશક સ્વરૂપ ભગવાન આત્મા જાણ્યો કે હું તો
સ્વપરનો પ્રકાશક પ્રકાશનો પુંજ આત્મા છું-એમ જાણીને તેમાં જ સ્થિરતા કરતાં કરતાં
નિર્વાણને પામશે.
હવે તેનાથી ઊલટી વાત કહે છેઃ
‘પરરૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય.’
આત્મા સિવાય કર્મ, શરીર, ઉદયભાવ આદિ પરભાવને મલિનભાવને, ક્ષણિક
વિકારી ભાવને જે આત્મા માનશે કે આ અસ્તિત્વમાં હું છું-તે તેનાથી છૂટશે નહીં
એટલે સંસારમાં રખડશે. આત્માને આત્મા જાણે તો મુક્તિ ને આત્માને પરરૂપે જાણે તો
સંસારભ્રમણ, વિકાર તે સંસાર છે, વિકારને પોતારૂપે માનશે તો એમાં ને એમાં રહેશે,
વિકારમાં ને વિકારમાં રહેશે, સંસારમાં ને સંસારમાં રહેશે.
વિકારને શરીરને, કર્મને-જે તારા સ્વરૂપમાં નથી તેના અસ્તિત્વમાં જો તારું
અસ્તિત્વ માન્યું તો બસ! એ છૂટશે નહીં. છૂટશે નહીં એનું નામ જ સંસાર!-એમ
મુક્તિ અને સંસારની બન્ને વાત એક ગાથામાં સમાવી દીધી.

Page 25 of 238
PDF/HTML Page 36 of 249
single page version

background image
પરમાત્મા] [૨પ
[પ્રવચન નં. પ]
જિન-વચનઃ
પરમાત્મ–વિમુખતાથી બંધ
પરમાત્મ–સન્મુખતાથી મોક્ષ
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૧-૬-૬૬]
શ્રી યોગીન્દુદેવ એક દિગંબર સંત થયા છે. એમણે આત્માનો અંતર યોગ એટલે
કે વેપારનો સાર કે જે આત્મ-વેપારથી આત્માનું કલ્યાણ ને મુક્તિ થાય તે આ
યોગસારશાસ્ત્રમાં વર્ણવ્યો છે. તેમાં બાર ગાથા થઈ ગઈ છે. હવે ૧૩ મી ગાથા કહે છેઃ-
ઈચ્છારહિત તપ નિર્વાણનું કારણ છેઃ-
इच्छा–रहियउ तव करहि अप्पा अप्पु मुणेहि ।
तो लहु पावहि परम–गई फुडु संसारु ण एहि ।।१३।।
વિણ ઈચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩.
પોતાના પવિત્ર શુદ્ધ આનંદ સ્વરૂપને જાણીને, શુભાશુભ ઈચ્છારૂપ રાગને રોકીને
પોતાના શુદ્ધ પવિત્ર સ્વરૂપમાં તપવું એટલે લીન થવું તેને ઈચ્છારહિત તપ કહેવામાં
આવે છે. પુણ્ય-પાપના રાગ રહિત શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન કરીને પુણ્ય-પાપના
ભાવને રોકીને સ્વરૂપમાં લીન થાય તેને તપ કહેવામાં આવે છે અને તે તપથી મુક્તિ
થાય છે.
આત્મા વસ્તુસ્વરૂપે ઈચ્છારહિત છે. આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપી અનંત આનંદની
મૂર્તિ છે, એમાં ઈચ્છા જ નથી. તેથી જે ઈચ્છા છે તેનો આશ્રય-લક્ષ છોડીને જેમાં
ઈચ્છા નથી એવા જ્ઞાન-દર્શન ને આનંદમય આત્માના શ્રદ્ધા-જ્ઞાન ને લીનતા વડે-શુદ્ધ
સ્વરૂપમાં શુદ્ધ ઉપયોગની લીનતા વડે સંવર ને નિર્જરા થાય છે.
અશુભ ભાવ હો તો પાપ થાય, દયા-દાન આદિ શુભ ભાવ હો તો પુણ્ય થાય
પણ ધર્મ ન થાય. ચિદાનંદ સ્વરૂપ આનંદમૂર્તિ ભગવાન આત્માના ભાન વિના એકલા
ઉપવાસ આદિ કરે ને તેમાં રાગની મંદતા હોય તો મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે પણ
તેને ધર્મનું સ્વરૂપ કહેવામાં આવતું નથી કે તેનાથી જન્મ-મરણના અંત આવતા નથી.
ભગવાન આત્મા પોતાના વીતરાગી નિર્દોષ અકષાય સ્વરૂપને જાણીને તેમાં લીન થાય
તેનું નામ ઈચ્છારહિત કહેવામાં આવે છે ને તેનાથી જન્મ-મરણના અંત આવે છે.
હું અતીન્દ્રિય આનંદસ્વરૂપ છું-એવું જેને જ્ઞાન નથી તે તેમાં ઠરે કેમ?
પોતાનામાં

Page 26 of 238
PDF/HTML Page 37 of 249
single page version

background image
૨૬] [હું
જેને અતીન્દ્રિય આનંદ ન ભાસે તે તેમાં લલચાય કેમ? જેને પુણ્યપાપના પરિણામમાં
ઠીકપણું લાગતું હોય તે ત્યાંથી ખસે કેમ? માટે ભગવાન આત્મા જ્ઞાન-દર્શન-આનંદ
સ્વરૂપ છે તેને જાણ, કેમ કે તે ઈચ્છા વિનાની ચીજ છે. તેથી ઈચ્છા વિનાની જે ચીજ
છે તેના લક્ષે ઈચ્છાને ટાળીને વીતરાગસ્વરૂપમાં ઠરે તેને ઈચ્છારહિત તપ કહે છે.
પવિત્ર આનંદસ્વરૂપમાં ઠરે ને લીન થાય એટલે ઈચ્છા રોકાઈ ગઈ ને સ્વરૂપમાં લીન
થયો તેને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે.
ઈચ્છાને-રોકીને એમ કહેવું એ પણ નાસ્તિથી એક વાત છે. જ્ઞાયકની સત્તાનું
ભાન કરીને તેમાં દ્રષ્ટિ ને સ્થિરતા કરતાં ઈચ્છા રોકાઈ જાય છે ને સ્વરૂપમાં લીનતા
થાય છે તેને પરમાત્મા તપ અને ધર્મ કહે છે. આહાર ન લેવો કે અમુક રસ ન લેવો-
એ તો બધી લાંઘણ છે, ચારિત્રની રમણતા તે તપ છે. અનાદિથી રાગમાં રમે છે,
પુણ્ય-પાપના રાગના વિકલ્પમાં રમે છે તે સંસાર છે. એ પુણ્ય-પાપના રાગથી ખસીને
જેમાં એ પુણ્ય-પાપ નથી એવા ભગવાન આત્માના સ્વભાવમાં ઠરવું તે તપ ને
મુક્તિનો ઉપાય છે.
આત્માને જાણ્યા પછી તપ થાય એમ કહ્યું, પણ અમે તો આત્માને જાણવા માટે
તપ કરીએ છીએ! બાપુ! આત્માને જાણ્યા વિના તપ શી રીતે હોય? તમારું નામ
જાણવું હોય તો કેટલા ઉપવાસ કરે ત્યારે નામ જણાય? મારે તમારું નામ પૂછવું નથી,
ઉપવાસ કરીને તમારું નામ જાણવું છે, તો કેટલા ઉપવાસ કરવાથી નામ જણાય?
ભાઈ! પૂછવું પડે ને?-કે તમારું નામ-ઠામ શું? જ્ઞાન દ્વારા જ અજ્ઞાનનો નાશ થઈ શકે
છે. તેથી આત્મા પોતાના આત્માનું પ્રથમ જ્ઞાન કરે કે જાણનાર દેખનાર તે આત્મા-એમ
આત્માનો વિશ્વાસ ને શ્રદ્ધા-જ્ઞાન કરીને, રાગથી ખસીને સ્વરૂપમાં ઠરે ત્યારે તપ થાય
છે ને તેને ધર્મ કહેવામાં આવે છે.
મોક્ષસ્વરૂપ ભગવાન આત્મામાં લીન થવાથી અલ્પકાળમાં મોક્ષ દશાને પામે છે,
તેને પછી ચાર ગતિ હોતી નથી. પંચમ પરમ ગતિ પામ્યા પછી તેને ફરીથી અવતરવું
પડતું નથી. જેણે ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવનો વિશ્વાસ કરીને, વિશ્વાસે તેમાં
રમીને તે દ્વારા જેણે પરમ ગતિને પ્રાપ્ત કરી તે ફરીથી સંસાર પામતો નથી. અતીન્દ્રિય
આનંદમાં જે લીન થયો, પૂરણ લીનતા પામ્યો તે હવે ત્યાંથી પાછો ખસે-એમ
ત્રણકાળમાં બનતું નથી. માખી જેવું પ્રાણી પણ સાકરની મીઠાસમાં લીન થયા પછી તેની
પાંખ ચોંટી જાય કે બાળકના આંગળાથી થોડી દબાય તોપણ માખી તે મીઠાસને છોડતી
નથી, ઉડતી નથી. તેમ આનંદસ્વરૂપ આત્માનો જેને વિશ્વાસ આવ્યો છે, આત્માનું જ્ઞાન
કરીને તેનો વિશ્વાસ આવ્યો ને તેમાં ઠરે છે, તપે છે, લીનતા કરે છે તે અલ્પકાળમાં
પર્યાયમાં મુક્તદશાને પામે છે ને પછી તે સંસારમાં ફરી અવતરતો નથી. ૧૩.
હવે ચૌદમી ગાથા છે, આ ગાથા બહુ સમજવા જેવી છે. કહે છે કે પરિણામોથી
જ બંધ ને પરિણામોથી જ મોક્ષ થાય છે.

Page 27 of 238
PDF/HTML Page 38 of 249
single page version

background image
પરમાત્મા] [૨૭
परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि ।
इउ जाणेविणु जीव तुहुं तहभाव हुं परियाणि ।। १४।।
બંધ-મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવો જાણ. ૧૪.
ભગવાન સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માએ પરિણામોથી જ કર્મબંધ
કહ્યો છે. તારા જે પરિણામ છે તેનાથી જ બંધ થાય છે. કોઈ જીવની હિંસા કે દયાથી
બંધન થતું નથી પણ તારા પરિણામથી ભગવાને બંધ કહ્યો છે. શ્રી સમયસારમાં પણ
ભગવાન પોતે એમ કહે છે કે કોઈ વસ્તુના આશ્રયે બંધ થતો નથી, પર જીવ મરે કે
બચે તેના આશ્રયે બંધ થતો નથી. તારા જેવા શુભ ને અશુભભાવ-મિથ્યાભાવ તેનાથી
બંધ થાય છે. શુદ્ધસ્વભાવની સન્મુખતા છોડી દઈને પરસન્મુખતાના તારા પરિણામ તે
એક જ બંધનું કારણ છે.
આત્મા શુદ્ધસ્વરૂપી છે, તેની સન્મુખતાના પરિણામ તે મોક્ષનું કારણ છે અને
તેની વિમુખતાના તારા જે પરિણામ તે બંધનું કારણ છે. કર્મના લઈને બંધ થાય કે
સામો જીવ જીવે-મરે તે બંધનું કારણ છે જ નહીં. ભલે એ પરિણામમાં પર ચીજ
નિમિત્ત હો, પણ એ ચીજ બંધનું કારણ નથી. તારા સ્વસ્વભાવની વિમુખતા ને
પરચીજની સન્મુખતાના તારા મિથ્યાત્વ પરિણામ ને પુણ્ય-પાપના પરિણામ તે એક જ
બંધનનું કારણ છે.
જેમ પોતાના અશુદ્ધ પરિણામ-મિથ્યાત્વના પરિણામ, શુભાશુભભાવના,
અવ્રતના, પ્રમાદના, કષાયના તારા જે પરિણામ તે પરસન્મુખતાના પરિણામ જ બંધને
ઉત્પન્ન કરાવનારા છે. તેમ તારા પરિણામથી જ-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના
પરિણામથી જ મોક્ષ છે. સ્વસન્મુખતાના પરિણામ જ મોક્ષનું કારણ છે ને તેને છોડીને
મિથ્યાત્વના અવ્રત આદિના પરસન્મુખતાના પરિણામ જ બંધનું કારણ છે-એમ
તીર્થંકરદેવ સો ઇન્દ્રો ને ગણધરોની ઉપસ્થિતિમાં કહેતા હતા.
પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખતારૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ જ મોક્ષનું
કારણ છે-એમ તું જાણ-એમ ભગવાન ફરમાવે છે. પોતાની શુદ્ધ સંપદાને છોડીને એના
માહાત્મ્યને મૂકીને પોતાથી અધિકપણે પર વસ્તુની કિંમત કરવારૂપ મિથ્યાત્વના
પરિણામ અને તેની સાથે જે શુભ ને અશુભ પરિણામ તે એક જ બંધનું કારણ છે.
ચાર ગતિમાં રખડવાનું આ એક જ કારણ છે. નવા કર્મો જે બંધાય તે તારા
પરિણામથી બંધાય છે, પરચીજથી બંધાતા નથી. પર જીવ મરે કે પર જીવ બચે, લક્ષ્મી
જાય કે રહે, લક્ષ્મી આવવાની જે ક્રિયા થાય અથવા કંજુસાઈની જે ક્રિયા થાય તે કાંઈ
તને બંધનું કારણ નથી. પરંતુ તેના તરફની રુચિ ને આસક્તિપૂર્વકના તારા જે
પરિણામ તે એક જ બંધનું કારણ છે, બીજું બંધનું કારણ નથી, પોતાના પરિણામ
બંધનું કારણ ને કર્મ પણ બંધનું કારણ-એમ બે કારણ છે જ નહીં. બીજું નિમિત્ત ભલે
હો પણ બંધનું કારણ તો એક જ જીવના પોતાના પરિણામ જ છે.
ભગવાન આત્માના શુદ્ધ આનંદસ્વભાવને ભૂલીને પરમાં કે પુણ્ય-પાપના
ભાવમાં ક્યાંય પણ સુખ છે એવી માન્યતાના પરિણામ તે તેને સંસારના બંધનું કારણ
છે અને તે જ પરિણામથી

Page 28 of 238
PDF/HTML Page 39 of 249
single page version

background image
૨૮] [હું
ગુલાંટ ખાઈને શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના પરિણામ જ
મોક્ષનું કારણ છે, દેહની ક્રિયા મોક્ષનું કારણ નથી એમ કહે છે! મોક્ષ પણ આત્માના
પરિણામથી થાય, દેહની ક્રિયાના નિમિત્તથી થાય નહીં. સ્વભાવની મહિમાનું જ્ઞાન,
સ્વભાવની મહિમાનો વિશ્વાસ, સ્વભાવની મહિમામાં લીનતારૂપ સ્વ-અભિમુખના
પરિણામ એ જ ભગવાન આત્માને મુક્તિનું કારણ છે, પણ બે-પાંચ લાખ રૂપિયા દાન
દેવાથી કાંઈ મુક્તિ કે ધર્મ થઈ જતો નથી. અરે! દાનના શુભરાગના પરિણામ તો બંધનું
કારણ છે-એમ અહીં વાત ચાલે છે, કેમ કે એ તો પરસન્મુખતાના પરિણામ છે. ધર્મીને
દયા-દાન આદિના પરિણામ હોય ખરા, આવે ખરા, પણ એ જાણે છે કે આ
બંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને બંધનું કારણ છે, ને સ્વસન્મુખતાના
અબંધપરિણામ મારા અબંધસ્વરૂપી ભગવાન આત્માને છૂટવાનું કારણ છે.
આ તો યોગસાર છે ને! કહે છે કે સ્વરૂપની સન્મુખતાનો વેપાર એ પરિણામ
મુક્તિનું કારણ ને સ્વરૂપથી વિમુખ પરિણામ તે બંધનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિ હો કે
મિથ્યાદ્રષ્ટિ હો જે અશુદ્ધ પરિણામ થયા તે બંધનું જ કારણ છે. સમ્યગ્દ્રષ્ટિને પણ
વ્રતાદિના જેટલા પરિણામ આવે તે પરસન્મુખતાના પરિણામ છે ને જેટલા
પરસન્મુખતાના પરિણામ છે તેટલું બંધનું કારણ છે તથા જેટલા સ્વસન્મુખતાના
પરિણામ છે તે જ પરિણામ પૂરણ શુદ્ધ પરિણામરૂપી મુક્તિનું કારણ છે.
પરિણામથી જ મુક્તિ ને પરિણામથી જ સંસાર છે એમ તું જાણ. એમ જાણીને
એ બન્ને ભાવને તું ઓળખ. પરસન્મુખતાના પરિણામનું જ્ઞાન કર અને સ્વસન્મુખતાના
પરિણામનું જ્ઞાન કર. પૂર્ણાનંદના નાથની સન્મુખના પરિણામને તું જાણ અને તેની
વિમુખના પરિણામને તું જાણ. આ તો સમ્યગ્દ્રષ્ટિને કહે છે કે જ્ઞાન તો બન્નેનું કરવાનું
છે. સમકિતીને પણ વિષય-કષાયના કામ-ક્રોધના પરિણામ આવે છે, દયા-દાન-વ્રત-
ભક્તિના પરિણામ આવે છે પણ એને તું બંધના કારણ જાણ.
અરે! જ્ઞાન શું ન જાણે! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળું ચૈતન્યતત્ત્વ
સાધક સ્વભાવને ને બાધકપરિણામને કેમ ન જાણે? જેને ત્રણ કાળ ને ત્રણ લોક એક
સમયની પર્યાયમાં સમાઈ જાય છે-એવો ભગવાન આત્મા સાધકપણામાં સ્વસન્મુખના
પરિણામને અને પરસન્મુખના પરિણામને બરાબર જાણી શકે છે.
ભાઈ! તારે જન્મ-મરણ રહિત થવું હોય તો આ વાત છે. બાકી તો આ ચાર
ગતિમાં ધોકા (-માર) તો અનાદિથી ખાઈ રહ્યો છે. હેરાન હેરાન થઈ ગયો. એક
ચાર-છ કલાક બોલાય નહીં કે પડખું ફરી શકાય નહીં ત્યાં હાય હાય! ક્યાંય સખ
પડતું નથી! અકળામણ અકળામણ થાય છે! પણ અકળામણ શેની છે? અકળામણ તો
તારા રાગની છે, પડખું ન ફરવાની નથી. પરનું કરે કોણ? અહીં તો કહે છે કે જડની
અવસ્થાના અભિમાનના પરિણામ બંધના કારણ છે. તને ખબર નથી બાપુ! ભગવાન
આત્મા ચિદાનંદની મૂર્તિ પ્રભુ છે તેની સન્મુખના પરિણામ તે એક જ તને હિતકર અને
કલ્યાણનું કારણ છે, એ સિવાય કોઈ તને હિતકર કે કલ્યાણનું કારણ છે નહીં.

Page 29 of 238
PDF/HTML Page 40 of 249
single page version

background image
પરમાત્મા] [૨૯
મુનિવ્રત, શ્રાવકના વ્રત, તપ, ભક્તિ, પઠન-પાઠન-ઇત્યાદિનો રાગ, મંત્ર-જાપનો
રાગએ-એ સર્વે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ એક વીતરાગ ભાવ છે. ભગવાન
આત્માના અંતર શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતા, નિર્વિકલ્પતા, વીતરાગતા,
શુદ્ધ સ્વરૂપને અવલંબીને થયેલા શુદ્ધતાના પરિણામ એ એક જ સંવર-નિર્જરારૂપ છે ને
તે એક જ મુક્તિનો ઉપાય છે. ૧૪.
હવે ૧પમી ગાથા દ્વારા કહે છે કે પુણ્ય-કર્મ મોક્ષસુખ આપી શકતું નથી.
अह पुणु अप्पा णवि मुणहि पुण्णु जि करहि असेस ।
तो वि ण पावहि सिद्धि–सुहु पुणु संसारु भमेस ।। १५।।
નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય;
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય.
૧પ.
પોતાના શુદ્ધ આનંદ સ્વરૂપનું જ્ઞાન ને વિશ્વાસ સિવાય બધા પ્રકારના ઊંચામાં
ઊંચા શુભભાવ-દયા, દાન, વ્રત, ભક્તિ, સાધુના પાંચ મહાવ્રત, બાર તપ આદિ
શુભભાવ સાધક છે નહીં. પંચ મહાવ્રતના પરિણામ અઠ્ઠાવીસ મૂળગુણના પરિણામ,
જાવજીવ બ્રહ્મચર્ય પાળવાના પરિણામ, એક લંગોટી માત્ર પણ ન રાખવાના પરિણામ,
નવમી ગ્રૈવયેક જાય એવા શુભ પરિણામ-એ બધાય બંધના કારણ છે. આત્માના ભાવ
વિનાનું એ પુણ્ય મુક્તિનું કારણ નથી. આત્માના ભાન સહિત એ હોય તો તેને તેમાં
નિમિત્ત કહેવામાં આવે છે એટલે કે તે મુક્તિનું કારણ તો છે જ નહીં.
નિજ શુદ્ધ સ્વભાવનો ભંડાર અંતરમાં ઊંડો પડયો છે એને જેણે જ્ઞેય બનાવ્યો
નથી, એનો વિશ્વાસ ને જ્ઞાન કર્યા નથી ને ગમે તે જાતના ઊંચા શુભ પરિણામ કરે
તોપણ તે મુક્તિના સુખને પામતો નથી એટલે કે તેને સંવર-નિર્જરા થતી નથી.
પોતાના પૂર્ણાનંદની શ્રદ્ધા-જ્ઞાન ને સ્થિરતાના ભાવ શુદ્ધ ઉપાદાનથી પ્રગટ કર્યા ત્યારે
વ્રતાદિના પરિણામ કે જે બંધના કારણ છે તેને નિમિત્ત તરીકે કહેવાય. નિમિત્ત દેખીને
વાત કરી ત્યાં તેને વળગ્યો!
જેણે ભગવાન આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની કિંમત કરી નથી તે જીવો પુણ્યના
પરિણામની કિંમત કરીને દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ કરીને તેનાથી અમારું કલ્યાણ
થશે એમ માને છે તે જીવો ચાર ગતિમાં રખડશે. તેને જન્મ-મરણના અંતનો કાંઈ પણ
લાભ નહીં થાય. દેહ ને રાગથી ભિન્ન એવો જે પરમાત્માનો નિજસ્વભાવ તેને જે
જાણતો નથી તે ભલે અશેષ શુભભાવ કરે પણ એનાથી જરીએ ધર્મ થતો નથી. આટલું
કરવા છતાં-ઊંચામાં ઊંચા શુભભાવો ને તેની ક્રિયાઓ કરવા છતાં તે સિદ્ધના સુખને
પામતો નથી. ભગવાન આત્મામાં આનંદ ભર્યો છે પણ તેનો વિશ્વાસ કરતો નથી ને
શુભભાવમાં વિશ્વાસ કરે કે આનાથી મુક્તિ થશે તે ચાર ગતિમાં રખડશે એટલે કે તેને
આત્માના આનંદની પ્રાપ્તિ થશે નહીં ને ચાર ગતિમાં ફરી ફરીને રખડશે.