Page 217 of 297
PDF/HTML Page 241 of 321
single page version
પણ નિરતિચાર વ્રત પાલન થતાં નથી, તેથી તેને પાક્ષિક જ કહ્યો છે.
વળી નૈષ્ઠિક થાય છે ત્યારે અનુક્રમે પ્રતિમાની પ્રતિજ્ઞા પળાય છે. આને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અભાવ થયો છે તેથી પાંચમા ગુણસ્થાનની પ્રતિમા અતિચાર રહિત પળાય છે. ત્યાં પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર – મંદ ભેદોથી અગિયાર પ્રતિમાના ભેદ છે. જેમ જેમ કષાય મંદ થતો જાય તેમ તેમ આગલી પ્રતિમાની પ્રતિજ્ઞા થતી જાય છે. ત્યાં એમ કહ્યું છે કે ઘરનું સ્વામિપણું છોડી ગૃહકાર્ય તો પુત્રાદિકને સોંપે તથા પોતે કષાયહાનિના પ્રમાણમાં પ્રતિમાની પ્રતિજ્ઞા અંગીકાર કરતો જાય. જ્યાં સુધી સકલસંયમ ન ગ્રહણ કરે ત્યાં સુધી – અગિયારમી પ્રતિમા સુધી નૈષ્ઠિક શ્રાવક કહેવાય છે. જ્યારે મરણકાળ આવ્યો જાણે ત્યારે આરાધન સહિત થઈ, એકાગ્રચિત્ત કરી, પરમેષ્ઠીના ચિંતવનમાં રહી સમાધિપૂર્વક પ્રાણ છોડે તે સાધક કહેવાય છે. એવું વ્યાખ્યાન છે.
વળી કહ્યું છે કે ગૃહસ્થ, દ્રવ્યનું જે ઉપાર્જન કરે તેના છ ભાગ કરે. એક ભાગ તો ધર્મના અર્થે આપે, એક ભાગ કુટુંબના પોષણમાં આપે, એક ભાગ પોતાના ભોગમાં ખરચ કરે, એક ભાગ પોતાના સ્વજનસમૂહના વ્યવહારમાં ખર્ચે અને બાકીના બે ભાગ અનામત ભંડાર તરીકે રાખે. તે દ્રવ્ય કોઈ મોટા પૂજન વા પ્રભાવનામાં અથવા કાળ – દુકાળમાં કામ આવે. એ પ્રમાણે કરવાથી ગૃહસ્થને આકુળતા ઊપજે નહિ અને ધર્મ સાધી શકાય. અહીં સંસ્કૃતટીકાકારે ઘણું કથન કર્યું છે તથા પહેલાંની ગાથાના કથનમાં અન્ય ગ્રંથોનાં કથન સધાય છે. કથન ઘણું કર્યું છે તે બધું સંસ્કૃત ટીકાથી જાણવું, અહીં તો ગાથાનો જ અર્થ સંક્ષેપમાં લખ્યો છે, વિશેષ જાણવાની ઇચ્છા હોય તેણે રયણસાર, વસુનંદીકૃત શ્રાવકાચાર, રત્નકરંડશ્રાવકાચાર, પુરુષાર્થસિદ્ધિયુપાય, અમિતગતિશ્રાવકાચાર અને પ્રાકૃતદોહાબંધશ્રાવકાચાર ઇત્યાદિ ગ્રંથોથી જાણવું. અહીં સંક્ષેપમાં કથન કર્યું છે. એ પ્રમાણે બારભેદરૂપ શ્રાવકધર્મનું વર્ણન કર્યું.
Page 218 of 297
PDF/HTML Page 242 of 321
single page version
હવે મુનિધર્મનું વ્યાખ્યાન કરે છેઃ —
અર્થઃ — જે પુરુષ રત્નત્રય અર્થાત્ નિશ્ચય – વ્યવહારરૂપ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રથી યુક્ત હોય, ક્ષમાદિ ભાવ અર્થાત્ ઉત્તમ ક્ષમાથી માંડી દસ પ્રકારના ધર્મોથી નિત્ય – નિરંતર પરિણત હોય, સુખ – દુઃખ, તૃણ – કંચન, લાભ – અલાભ, શત્રુ – મિત્ર, નિન્દા – પ્રસંશા અને જીવન – મરણ આદિમાં મધ્યસ્થ એટલે કે સમભાવરૂપ વર્તે અને રાગ- દ્વેષથી રહિત હોય તેને સાધુ કહે છે, તેને જ ધર્મ કહે છે; કારણ કે જેમાં ધર્મ છે તે જ ધર્મની મૂર્તિ છે, તે જ ધર્મ છે.
ભાવાર્થઃ — અહીં રત્નત્રય સહિત કહેવામાં તેર પ્રકારનું ચારિત્ર છે તે મહાવ્રત આદિ મુનિનો ધર્મ છે, તેનું વર્ણન કરવું જોઈએ; પરન્તુ અહીં દસ પ્રકારના વિશેષ ધર્મોનું વર્ણન છે. તેમાં મહાવ્રત આદિનું વર્ણન પણ ગર્ભિત છે એમ સમજવું.
હવે દસ પ્રકારના ધર્મોનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — તે મુનિધર્મ ક્ષમાદિ ભાવોથી દસ પ્રકારનો છે. કેવો છે તે? સૌખ્યસાર એટલો તેનાથી સુખ થાય છે અથવા તેનામાં સુખ છે અથવા સુખથી સારરૂપ છે – એવો છે. હવે કહેવામાં આવનાર દસ પ્રકારના ધર્મો ભક્તિથી, ઉત્તમ ધર્માનુરાગથી જાણવા યોગ્ય છે.
Page 219 of 297
PDF/HTML Page 243 of 321
single page version
ભાવાર્થઃ — ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય – એવા દસ પ્રકારના મુનિધર્મ છે. તેમનું જુદું જુદું વ્યાખ્યાન હવે કરે છે.
હવે પ્રથમ જ ઉત્તમ ક્ષમાધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ દેવ – મનુષ્ય – તિર્યંચાદિ દ્વારા રૌદ્ર ભયાનક ઘોર ઉપસર્ગ થવા છતાં પણ ક્રોધથી તપ્તાયમાન ન થાય તે મુનિને નિર્મલ ક્ષમા હોય છે.
ભાવાર્થઃ — જેમ શ્રીદત્તમુનિ વ્યંતરદેવકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, ચિલાતીપુત્રમુનિ વ્યંતરકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા, સ્વામિકાર્તિકેયમુનિ ક્રોંચરાજાકૃત ઉપસર્ગને જીતી દેવલોક ગયા, ગુરુદત્તમુનિ કપિલબ્રાહ્મણકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, શ્રીધન્યમુનિ ચક્રરાજકૃત ઉપસર્ગને જીતી કેવળજ્ઞાન ઉપજાવી મોક્ષ ગયા, પાંચસો મુનિ દંડકરાજાકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને (મોક્ષને) પ્રાપ્ત થયા, ગજસુકુમારમુનિ પાંશુલશ્રેષ્ઠિકૃત ઉપસર્ગને જીતી સિદ્ધિને પ્રાપ્ત થયા, ચાણક્ય આદિ પાંચસો મુનિ મંત્રીકૃત ઉપસર્ગને જીતી મોક્ષ ગયા, સુકુમાલમુનિ શિયાલણીકૃત ઉપસર્ગને સહન કરી દેવ થયા, શ્રેષ્ઠિના બાવીસ પુત્રો નદીના પ્રવાહમાં પદ્માસને શુભધ્યાન કરી મરીને દેવ થયા, સુકૌશલમુનિ વાઘણકૃત ઉપસર્ગને જીતી સર્વાર્થસિદ્ધિ ગયા તથા શ્રીપણિકમુનિ જળનો ઉપસર્ગ સહીને મુક્ત થયા, તેમ દેવ
અને અચેતનકૃત ઉપસર્ગ સહન કર્યા છતાં ત્યાં ક્રોધ ન કર્યો તેમને ઉત્તમ ક્ષમા થઈ. એ પ્રમાણે ઉપસર્ગ કરવાવાળા ઉપર પણ ક્રોધ ન ઊપજે ત્યારે ઉત્તમ ક્ષમા હોય છે.
Page 220 of 297
PDF/HTML Page 244 of 321
single page version
ત્યાં ક્રોધનું નિમિત્ત આવતાં એવું ચિંતવન કરે કે જો કોઈ મારા દોષ કહે છે તે જો મારામાં વિદ્યમાન છે તો તે શું ખોટું કહે છે? – એમ વિચારી ક્ષમા કરવી. વળી જો મારામાં દોષ નથી એ તો જાણ્યા વિના કહે છે ત્યાં અજ્ઞાની ઉપર કોપ શો કરવો? – એમ વિચારી ક્ષમા કરવી; અજ્ઞાનીનો તો બાળસ્વભાવ ચિંતવવો, એટલે બાળક તો પ્રત્યક્ષ પણ કહે અને આ તો પરોક્ષ જ કહે છે એ જ ભલું છે, વળી પ્રત્યક્ષ પણ કુવચન કહે તો આમ વિચારવું કે બાળક તો તાડન પણ કરે અને આ તો કુવચન જ કહે છે — તાડતો નથી એ જ ભલું છે, વળી જો તાડન કરે તો આમ વિચારવું કે – બાળક અજ્ઞાની તો પ્રાણઘાત પણ કરે અને આ તો માત્ર તાડન જ કરે છે, પણ પ્રાણઘાત તો નથી કર્યો – એ જ ભલું છે; વળી પ્રાણઘાત કરે તો એમ વિચારવું કે અજ્ઞાની તો ધર્મનો પણ વિધ્વંસ (નાશ) કરે છે અને આ તો પ્રાણઘાત કરે છે, પણ ધર્મનો વિધ્વંસ તો નથી કરતો. વળી વિચારે કે મેં પૂર્વે પાપકર્મ ઉપજાવ્યાં તેનું આ દુર્વચનાદિ ઉપસર્ગ – ફળ છે. આ મારો જ અપરાધ છે બાકી અન્ય તો નિમિત્તમાત્ર છે, ઇત્યાદિ ચિંતવન કરતાં ઉપસર્ગાદિના નિમિત્તથી ક્રોધ ઉત્પન્ન થતો નથી અને ઉત્તમ ક્ષમાધર્મ સધાય છે.
હવે ઉત્તમ માર્દવધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ પોતાના આત્માને મદરહિત કરે – અનાદરરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.
ભાવાર્થઃ — સકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિ –
Page 221 of 297
PDF/HTML Page 245 of 321
single page version
મનઃપર્યયજ્ઞાની છે, કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું? અલ્પજ્ઞ છું. વળી ઉત્તમતપ કરે તોપણ તેનો મદ ન કરે, પોતે સર્વ જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય અને તપ આદિ વડે સર્વથી મોટો છે તોપણ પરકૃત અપમાનને પણ સહન કરે છે, પરંતુ ત્યાં ગર્વ કરી કષાય ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હવે ઉત્તમ આર્જવધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે, વચનથી વક્રતા ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિ – છુપાવે નહિ તે મુનિને ઉત્તમ આર્જવધર્મ હોય છે.
ભાવાર્થઃ — મન-વચન-કાયામાં સરળતા હોય અર્થાત્ જે મનમાં વિચારે, તે જ વચનથી કહે અને તે જ કાયાથી કરે, પણ બીજાને ભુલવણીમાં નાખવા-ઠગવા અર્થે વિચાર તો કાંઈ કરવો અને કહેવું બીજું તથા કરવું વળી કાંઈ બીજું, ત્યાં માયાકષાય પ્રબળ હોય છે. એમ ન કરે પણ નિષ્કપટ બની પ્રવર્તે, પોતાનો દોષ છુપાવે નહિ પણ જેવો હોય તેવો બાળકની માફક ગુરુની પાસે કહે ત્યાં ઉત્તમ આર્જવધર્મ હોય છે.
હવે ઉત્તમ શૌચધર્મ કહે છેેઃ —
અર્થઃ — જે મુનિ સમભાવ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણામ અને
Page 222 of 297
PDF/HTML Page 246 of 321
single page version
સંતોષ અર્થાત્ સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને ધોવે છે, ભોજનની ગૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થઃ — તૃણ – કંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા સંતોષ – સંતુષ્ટપણું – તૃપ્તભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત દ્રવ્યાદિકમાં અતિ લિપ્તપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય જ છે, પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહના રાખે નહિ, લાભ – અલાભ, સરસ – નીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે. વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન – મિત્રાદિ સંબંધી એમ બંને માટે ઇચ્છે ત્યારે તેની (લોભની) આઠ ભેદરૂપ પ્રવૃત્તિ થાય છે. જ્યાં આ પ્રમાણે બધોય લોભ ન હોય ત્યાં ઉત્તમ શૌચધર્મ હોય છે.
હવે ઉત્તમ સત્યધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ જિનસૂત્ર – અનુકૂળ જ વચન કહે, વળી તેમાં જે આચારાદિ કહ્યાં છે તે પાલન કરવામાં પોતે અસમર્થ હોય તોપણ અન્ય પ્રકારથી ન કહે, વ્યવહારથી પણ અલીક એટલે અસત્ય ન કહે તે મુનિ સત્યવાદી છે અને તે જ ઉત્તમ સત્યધર્મ હોય છે.
ભાવાર્થઃ — જૈનસિદ્ધાન્તમાં આચારાદિકનું જેવું સ્વરૂપ કહ્યું હોય તેવું જ કહે પણ એમ નહિ કે પોતાથી ન પાલન કરી શકાય, એટલે
Page 223 of 297
PDF/HTML Page 247 of 321
single page version
તેને અન્ય પ્રકારથી કહે – જેમ છે તેમ ન કહે, પોતાનું માનભંગ થાય તેથી જેમ તેમ કહે. વળી વ્યવહાર જે ભોજનાદિ વ્યાપાર તથા પૂજા – પ્રભાવનાદિ વ્યવહાર તેમાં પણ જિનસૂત્ર અનુસાર વચન કહે પણ પોતાની ઇચ્છાનુસાર જેમ તેમ ન કહે. અહીં દસ પ્રકારથી સત્યનું વર્ણન છે — નામસત્ય, રૂપસત્ય, સ્થાપનાસત્ય, પ્રતીતિસત્ય, સંવૃત્તિસત્ય, સંયોજનાસત્ય, જનપદસત્ય, દેશસત્ય, ભાવસત્ય તથા સમયસત્ય. હવે મુનિરાજનો મુનિજનની તથા શ્રાવકની સાથે વચનાલાપરૂપ વ્યવહાર છે ત્યાં ઘણો વચનાલાપ થાય તોપણ સૂત્રસિદ્ધાન્તાનુસાર આ દસ પ્રકારથી સત્યરૂપ વચનની પ્રવૃત્તિ હોય છે.
૧. ગુણ વિના પણ વક્તાની ઇચ્છાથી કોઈ વસ્તુનું નામ – સંજ્ઞા કરવામાં આવે તે નામસત્ય છે.
૨. રૂપમાત્રથી કહેવામાં આવે અર્થાત્ ચિત્રમાં જેમ કોઈનું રૂપ આલેખી કહેવામાં આવે કે ‘આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે; તે રૂપસત્ય છે.
૩. કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે સ્થાપનાસત્ય છે.
૪. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિસત્ય છે. જેમ ‘તાલ’ એવું પરિમાણ વિશેષ છે. તેના આશ્રયથી કહેવામાં આવે કે ‘આ તાલપુરુષ છે’, અથવા લાંબા કહે તો નાનાની પ્રતીતિ (આશ્રય) કરીને કહે.
૫. લોકવ્યવહારના આશ્રયથી કહે તે સંવૃત્તિસત્ય છે. જેમ કમળની ઉત્પત્તિનાં અનેક કારણો છે તો પણ પંકમાં થયું છે માટે પંકજ કહીએ છીએ.
૬. વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજનાસત્ય છે. જેમ દશલક્ષણનું મંડલ કરે તેમાં અનુક્રમપૂર્વક ચૂર્ણના કોઠા કરે અને કહે આ ઉત્તમ ક્ષમાનો (કોઠો) છે, ઇત્યાદિ જોડરૂપ નામ કહે, અથવા બીજું દ્રષ્ટાન્તઃ જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા
Page 224 of 297
PDF/HTML Page 248 of 321
single page version
સ્થાપી લીધી છે એટલે જ્યાં જેવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે.
૭. જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદસત્ય છે. ૮. ગામ – નગરાદિનું ઉપદેશક વચન તે દેશસત્ય છે. જેમ ચોતરફ વાડ હોય તેને ગામ કહે છે.
૯. છદ્મસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમાદિક પાલન અર્થે જે વચન બોલાય તે ભાવસત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છદ્મસ્થના જ્ઞાનથી અગોચર જીવ હોય તોપણ પોતાની દ્રષ્ટિમાં જીવ નહિ દેખવાથી આગમઅનુસાર કહે કે ‘આ પ્રાસુક છે’.
૧૦. આગમગોચર વસ્તુને આગમનાં વચનાનુસાર કહેવી તે સમયસત્ય છે. જેમ પલ્ય – સાગર ઇત્યાદિ કહેવા.
આ દસ પ્રકારનાં સત્યનું કથન ગોમ્મટસારમાં પણ છે. ત્યાં સાત નામ તો આમાં છે તે જ છે તથા ત્રણ નામ-દેશ, સંયોજના અને સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે અને ઉદાહરણ અન્ય પ્રકારથી છે. એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ નથી.૧ એ પ્રમાણે જિનસૂત્રાનુસાર સત્યવચનની પ્રવૃત્તિ કરે તેને (ઉત્તમ) સત્યધર્મ હોય છે.
હવે ઉત્તમ સંયમધર્મ કહે છેઃ —
અર્થ :—જનપદમાં, સંવૃત્તિ વા સમ્મતિમાં, સ્થાપનામાં, નામમાં, રૂપમાં, પ્રતીત્યમાં, વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં, ઉપમામાં — એવા દસ સ્થાનોમાં દસ પ્રકારથી સત્ય જાણવાં. (આ દસ સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગો. જી. ગા. ૨૨૩ – ૨૨૪ની ટીકા)
Page 225 of 297
PDF/HTML Page 249 of 321
single page version
અર્થઃ — જે મુનિ, જીવોની રક્ષામાં તત્પર વર્તતો થકો, ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદમાત્ર પણ ન ઇચ્છે, ન કરે તે મુનિને ઉત્તમ સંયમધર્મ હોય છે.
ભાવાર્થઃ — સંયમ બે પ્રકારનો કહ્યો છેઃ ઇન્દ્રિય મનનું વશ કરવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. મુનિને આહારવિહારાદિ કરવામાં ગમન – આગમનાદિ કામ કરવું પડે છે પણ તે કાર્યો કરતાં એવા પરિણામ રહ્યા કરે કે ‘હું તૃણમાત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તે કોઈનું અહિત ન થાઓ’. એવા યત્નરૂપ પ્રવર્તે છે, જીવદયામાં જ તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે તે અહીં ટીકાકાર સંક્ષેપમાં કહે છેઃ —
સંયમ બે પ્રકારનો છેઃ એક ઉપેક્ષાસંયમ તથા બીજો અપહૃતસંયમ. ત્યાં જે સ્વભાવથી જ રાગ-દ્વેષને છોડી ગુપ્તિધર્મમાં કાયોત્સર્ગ – ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષાસંયમ કહે છે. ‘ઉપેક્ષા’ નામ ઉદાસીનતા વા વીતરાગતાનું છે. બીજા અપહૃતસંયમના ત્રણ ભેદ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ત્યાં ચાલતાં – બેસતાં જો જીવ દેખાય તો તેને ટાળીને જાય પણ જીવને સરકાવે નહિ તે ઉત્કૃષ્ટ છે, કોમળ મોરપીંછીથી જીવને સરકાવે તે મધ્યમ છે તથા અન્ય તૃણાદિકથી સરકાવે તે જઘન્ય છે. અહીં અપહૃતસંયમીને પાંચ સમિતિનો ઉપદેશ છે. ત્યાં આહાર-વિહાર અર્થે ગમન કરે તો પ્રાસુકમાર્ગ જોઈ જુડાપ્રમાણ (ચાર હાથ) ભૂમિને જોઈ મંદ મંદ અતિ યત્નાચારપૂર્વક ગમન કરે તે ઇર્યાસમિતિ છે; ધર્મોપદેશાદિ અર્થે વચન કહે તો હિતરૂપ, મર્યાદાપૂર્વક અને સંદેહરહિત સ્પષ્ટ અક્ષરરૂપ વચન કહે, અતિ પ્રલાપાદિ વચનના દોષરહિત બોલે તે ભાષાસમિતિ છે; કાયાની સ્થિતિ અર્થે આહાર કરે, તે પણ મન-વચન-કાય-કૃત-કારિત-અનુમોદના દોષ જેમાં ન લાગે એવો, પરનો આપેલો, છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષ
Page 226 of 297
PDF/HTML Page 250 of 321
single page version
રહિત, પોતાના કરપાત્રમાં, ઊભા ઊભા, અતિ યત્નપૂર્વક શુદ્ધઆહાર કરે તે એષણાસમિતિ છે; અતિ યત્નાચારપૂર્વક ભૂમિને જોઈને ધર્મનાં ઉપકરણો ઉઠાવવાં મૂકવાં તે આદાનનિક્ષેપણસમિતિ છે ત્રસ – સ્થાવરજીવોને જોઈ – ટાળી યત્નપૂર્વક શરીરનાં મળ – મૂત્રાદિને ક્ષેપવાં (નાખવાં – દાટવાં) તે પ્રતિષ્ઠાપના સમિતિ છે. એ પ્રમાણે પાંચ સમિતિ પાલન કરે તેનાથી સંયમ પળાય છે. (સિદ્ધાન્તમાં) એમ કહ્યું છે કે – જો યત્નાચારપૂર્વક પ્રવર્તે છે તો તેનાથી બાહ્ય જીવોને બાધા થાય તોપણ તેને બંધ નથી, તથા યાત્નાચારરહિત પ્રવર્તે છે તેને બાહ્ય જીવ મરો વા ન મરો પણ બંધ અવશ્ય થાય છે.
વળી અપહૃતસંયમના પાલન અર્થે આઠ વિશુદ્ધિઓનો ઉપદેશ છે. ૧. ભાવશુદ્ધિ, ૨. કાયશુદ્ધિ, ૩. વિનયશુદ્ધિ, ૪. ઇર્યાપથશુદ્ધિ, ૫. ભિક્ષાશુદ્ધિ, ૬. પ્રતિષ્ઠાપનાશુદ્ધિ, ૭. શયનાસનશુદ્ધિ તથા ૮. વાક્યશુદ્ધિ. તેમાં ભાવશુદ્ધિ તો કર્મના ક્ષયોપશમજનિત છે, એ વિના આચાર પ્રગટ થતો નથી; જેમ શુદ્ધ ઉજ્જ્વળ ભીંત ઉપર ચિત્ર શોભાયમાન દેખાય છે તેમ. વળી દિગમ્બરરૂપ, સર્વવિકારો રહિત, યત્નપૂર્વક પ્રવૃત્તિ છે જેમાં એવી, શાન્ત મુદ્રાને જોઈ અન્યને ભય ન ઊપજે અને પોતે પણ નિર્ભય રહે એવી કાયશુદ્ધિ છે. જ્યાં અરહંતાદિમાં ભક્તિ તથા ગુરુજનને અનુકૂળ રહેવું એવી વિનયશુદ્ધિ છે. જીવોનાં સર્વ સ્થાન મુનિ જાણે છે તેથી પોતાના જ્ઞાન દ્વારા સૂર્યના ઉદ્યોતથી નેત્રઇન્દ્રિય વડે માર્ગમાં અતિ યત્નપૂર્વક જોઈને ચાલવું તે ઇર્યાપથશુદ્ધિ છે. ભોજન માટે જતાં પહેલાં પોતાના મળ-મૂત્રની બાધાને પરખે, પોતાના અંગનું બરાબર પ્રતિલેખન કરે. આચારસૂત્રમાં કહ્યા પ્રમાણે દેશ
માટે પ્રવેશ કરે નહિ — જ્યાં ગીત નૃત્ય વાજિંત્ર વડે જેની આજીવિકા હોય તેના ઘેર જાય નહિ, પ્રસૂતિ થઈ હોય ત્યાં જાય નહિ, જ્યાં મૃત્યુ થયું હોય ત્યાં જાય નહિ, વેશ્યાના ઘરે જાય નહિ, જ્યાં પાપકર્મ – હિંસાકર્મ થતું હોય ત્યાં જાય નહિ, દીનના ઘરે, અનાથના ઘરે, દાનશાળામાં, યજ્ઞશાળામાં, યજ્ઞપૂજનશાળામાં તથા વિવાહાદિ મંગળ જ્યાં હોય તેના ઘરે આહાર અર્થે જાય નહિ, ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ
Page 227 of 297
PDF/HTML Page 251 of 321
single page version
વિચારે નહિ, લોકનિંદ્ય કુળના ઘરે જાય નહિ, દીનવૃત્તિ કરે નહિ, આગમમાં કહ્યા પ્રમાણે દોષ – અંતરાય ટાળી નિર્દોષ પ્રાસુક આહાર લે તે ભિક્ષાશુદ્ધિ છે. ત્યાં લાભ – અલાભ, સરસ – નીરસમાં સમાનબુદ્ધિ રાખે. એવી ભિક્ષા પાંચ પ્રકારની કહી છે. ૧. ગોચરી, ૨. અક્ષમ્રક્ષણ, ૩. ઉદરાગ્નિપ્રશમન, ૪. ભ્રમરાહાર, ૫. ગર્તપૂરણ. ત્યાં ગાયની માફક દાતારની સંપદાદિ તરફ નહિ જોતાં જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરીવૃત્તિ છે, જેમ ગાડીને વાંગિ (ઊંજણ કરી) ગામ પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે તે અક્ષમ્રક્ષણવૃત્તિ છે. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી ઘરને બચાવે તેમ ક્ષુધાઅગ્નિને સરસ – નીરસ આહારથી બુઝાવી પોતાના પરિણામ ઉજ્જ્વળ રાખે તે ઉદરાગ્નિપ્રશમનવૃત્તિ છે. ભમરો જેમ ફૂલને બાધા ન પહોંચે અને વાસના લે તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા સિવાય આહાર લે તે ભ્રમરાહારવૃત્તિ છે. તથા જેમ ગર્તને એટલે ખાડાને જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ – બેસ્વાદ આહારથી ઉદરને ભરે તે ગર્તપૂરણવૃત્તિ છે. – એ પ્રમાણે ભિક્ષાશુદ્ધિ છે. જીવોને જોઈ યત્નપૂર્વક મળ-મૂત્ર-શ્લેષ્મ-થૂંક વગેરે ક્ષેપણ કરે તે પ્રતિષ્ઠાપનાશુદ્ધિ છે. જ્યાં સ્ત્રી, દુષ્ટ જીવ, નપુંસક, ચોર, મદ્યપાની અને જીવવધ કરવાવાળા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં (મુનિ) ન વસે તે શયનાસનશુદ્ધિ છે; વળી શ્રૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેષ ધારનારી એવી વેશ્યાદિકની જ્યાં ક્રીડા હોય, સુંદર ગીત, નૃત્ય, વાજિંત્ર જ્યાં થતાં હોય, જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુહ્યપ્રદેશ જેમાં દેખાય એવાં ચિત્ર હોય, જ્યાં હાસ્ય-મહોત્સવ, ઘોડા આદિને શિક્ષા આપવાનું સ્થાન હોય, વ્યાયામભૂમિ હોય તથા જેનાથી ક્રોધાદિક ઊપજી આવે એવા ઠેકાણે મુનિ ન વસે તે પણ શયનાસનશુદ્ધિ છે; જ્યાં સુધી કાયોત્સર્ગપૂર્વક ઊભા રહેવાની શક્તિ હોય ત્યાં સુધી સ્વરૂપમાં લીન બની ઊભા રહે પછી બેસે તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પ કાળ સૂવે (તે પણ શયનાસનશુદ્ધિ છે). જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે પણ યુદ્ધ – કામ – કર્કશ – પ્રલાપ – પૈશૂન્ય – કઠોર – પરપીડાકારક વચન ન પ્રવર્તે, અનેક વિકથારૂપ
Page 228 of 297
PDF/HTML Page 252 of 321
single page version
વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી હિત થાય એવાં મીઠાં – મનોહર – વૈરાગ્યહેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાક્યશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ છે. સંયમના પાંચ ભેદ કહ્યા છેઃ સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર- વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ આલોક – પરલોકના સુખની અપેક્ષારહિત તથા સુખ – દુઃખ, શત્રુ – મિત્ર, તૃણ – કંચન અને નિંદા – પ્રસંશાદિમાં રાગ-દ્વેષ- રહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે, તે મુનિને નિર્મલ અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
ભાવાર્થઃ — ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યંતર ભેદથી બાર પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું.
હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છેઃ —
Page 229 of 297
PDF/HTML Page 253 of 321
single page version
અર્થઃ — જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ-દ્વેષને ઉપજાવવાવાળાં ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે, તે મુનિને (ઉત્તમ) ત્યાગધર્મ હોય છે.
ભાવાર્થઃ — સંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસ – નીરસમાં મમત્વ કરતા નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મોપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસતિ – રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે (ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો.
હવે ઉત્તમ આકિંચન્યધર્મને કહે છેઃ —
અર્થઃ — જે મુનિ મન-વચન-કાય – કૃત-કારિત-અનુમોદના પૂર્વક સર્વ ચેતન – અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે – કેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છે — તે મુનિને નિર્ગ્રન્થપણું હોય છે.
ભાવાર્થઃ — મુનિ અન્ય પરિગ્રહ તો છોડે જ છે, પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તક -પીંછી-કમંડલ – આદિ ધર્મોપકરણ અને આહાર – વસતિકા – દેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે ‘હું તો એક આત્મા જ
Page 230 of 297
PDF/HTML Page 254 of 321
single page version
છું – અન્ય મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું’ — એવું નિર્મમત્વ થાય તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન નીરખે, કામની કથા તથા ‘આદિ’ શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય, એ પ્રમાણે મન-વચન-કાય, કૃત-કારિત-અનુમોદના એમ નવ પ્રકારથી તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
ભાવાર્થઃ — અહીં એમ પણ જાણવું કે – ‘બ્રહ્મ’ નામ આત્મા છે, તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પરદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે. તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવું – એ સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત) ટીકામાં શીલના અઢાર હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ —
અચેતન સ્ત્રી – કાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેના મન-વચન-કાય તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી – નૈમિત્તિક કુશીલ સાતસો વીસ ભેદ થયું.) તથાઃ —
Page 231 of 297
PDF/HTML Page 255 of 321
single page version
ચેતન સ્ત્રી — દેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત -કારિત-અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મન-વચન-કાયા એ ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો સીત્તેર ભેદ થયા, તેને આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા-લોભરૂપ સોળ કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦ – અઢાર હજાર ભેદ થાય છે. વળી એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે તે અન્ય ગ્રંથોમાંથી જાણવા.★
ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
હવે શીલવાનનું માહાત્મ્ય કહે છેઃ —
★ અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે શીલના નવ ભેદ થયા.
એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬ ભેદ થયા.
એ છત્રીસને પાંચ ઇન્દ્રિયોના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા. એ ૧૮૦ને પૃથ્વી, અપ્, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં ૧૮૦૦ ભેદ થયા.
તેને ઉત્તમક્ષમાદિ દશધર્મે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા.
Page 232 of 297
PDF/HTML Page 256 of 321
single page version
અર્થઃ — જે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે રણસંગ્રામમાં શૂરવીર છે તે (ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થઃ — યુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા છે, એ જ ઘણા સાહસી – શૂરવીર અને કામને જીતવાવાળા ખરા સુભટ છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
હવે તેને સંકોચે છેઃ —
અર્થઃ — આ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય તે ધર્મ નથી.
ભાવાર્થઃ — જ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ નિયમથી ધર્મ છે.
આ ગાથામાં કહ્યું કે — જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ નથી.
હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છેઃ —
Page 233 of 297
PDF/HTML Page 257 of 321
single page version
અર્થઃ — ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે ધર્મ છે’ એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસા -આરંભ કરવાં તે શુભ નથી.
ભાવાર્થઃ — અન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી – ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવી – ભૈરવને ચઢાવે છે અને તેનું શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે – ‘દેવ-ગુરુ -ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાંખવી; જે સાધુ આ પ્રમાણે નથી કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મદ્ય – માંસનો આહાર પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ સમજવું, જે દેવ-ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.
વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું નિર્માપન, સંઘ – યાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે. ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે ‘જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજા – પ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.’ આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ શ્રદ્ધાન — ભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું. તેના સીરી (ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે, તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજા – પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ
Page 234 of 297
PDF/HTML Page 258 of 321
single page version
છે કે – સિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે, કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થે કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
અર્થઃ — દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે ‘ધર્મ હિંસા રહિત છે’ એ વચન જૂઠ ઠરે.
ભાવાર્થઃ — ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવ -ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતાંબર કહે છે તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે, જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થઃ — જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ) એવી છે કે તેને જીવ – અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી
Page 235 of 297
PDF/HTML Page 259 of 321
single page version
અને તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અહિંસાધર્મની પ્રાપ્તિ ક્યાંથી હોય?
હવે કહે છે કે — એવા અલબ્ધપૂર્વ ધર્મને પામી તેને કેવળ પુણ્યના જ આશયથી ન સેવવોઃ —
અર્થઃ — એ દશ પ્રકારે ધર્મના ભેદ કહ્યા તે પાપકર્મનો નાશ કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા; પરંતુ તેને કેવળ પુણ્યના જ અર્થે એટલે પ્રયોજનથી અંગિકાર ન કરવા.
ભાવાર્થઃ — શાતાવેદનીય, શુભઆયુ, શુભનામ અને શુભગોત્રને તો પુણ્યકર્મ કહે છે તથા ચાર ઘાતિકર્મ, અશાતાવેદનીય, અશુભનામ, અશુભઆયુ અને અશુભગોત્રને પાપકર્મ કહે છે. હવે અહીં આ દશલક્ષણધર્મ પાપને નાશ કરવાવાળો તથા પુણ્યને ઉપજાવવાવાળો કહ્યો; ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ કે પુણ્ય પણ બંધ જ છે. અને આ ધર્મ તો પાપ જે ઘાતિકર્મ છે તેને નાશ કરવાવાળો છે. તથા અઘાતિમાં જે અશુભપ્રકૃતિ છે તેનો નાશ કરે છે. પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. હવે તેનાથી (દશલક્ષણધર્મથી) વ્યવહારઅપેક્ષાએ તેનો પણ (પુણ્યનો પણ) બંધ થાય છે તો તે સ્વયમેવ જ થાય છે, પણ તેની વાંચ્છા કરવી એ તો સંસારની જ વાંચ્છા કરવા તુલ્ય છે અને એ તો નિદાન (ચોથું આર્ત્તધ્યાન) થયું, મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંચ્છા તે શા માટે કરે? તેમ મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંચ્છા કરવી યોગ્ય નથી.
Page 236 of 297
PDF/HTML Page 260 of 321
single page version
અર્થઃ — જે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષે સંસાર ઇચ્છ્યો, કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — પુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છ્યું તેણે સંસાર વાંચ્છ્યો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની વાંચ્છા કરવી યોગ્ય નથી.
અર્થઃ — જે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય) છે મૂળ – કારણ જેનું એવું છે.
ભાવાર્થઃ — વિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ થતો નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય.